Saturday, May 23, 2020

લાગણી: બેરિકેટની બબાલ

લાગણી: બેરીકેટની બબાલ
     ‌-- તખુભાઈ સાંડસુર
સ્નેહનો તંતુ સુતરફેણીની માફક સર્જાય છે.તેની બારીકાઇ અને ગુંથણ ફેન્ટાસ્ટિક હોય છે. મને યાદ છે ,નાનપણમાં પ્રાથમિક શાળાની ખડકી બહાર સુતરફેણી વાળો  લોખંડની ગોળ પેટી લઈને આવતો,તે ત્યાં બનાવી વેચતો. તે સુતરફેણીના રચાતા તંતુઓ જોવાની મને ખૂબ મજા પડતી ,કદાચ તેના સ્વાદથી પણ વધુ. આવી જ ગુલાબી ગુંથણી આનંદઘારાથી સ્નેહ ધીમા પગલે સંધાતો હોય છે.
      કોઈ એવો કિસ્સો ધ્યાનમાં નથી કે રસ્તે જતી કોઈ ફૂલજડી યૌવના, ફૂટડાં રસિકને સાદ પાડીને ઉભો રાખે." એ ઉભો રે..ને યાર", અને પેલો આશ્ચર્યથી પાછું વળીને નજર કરે, તો રસિકડી લાંબો હાથ કરીને પેલાની મુઠ્ઠીમાં પોતાનું  દિલ પકડાવી દે.. અને કહે ..અલ્યા તને સોગાદ આપું છું. હા ,આવો અકસ્માત થાય ખરો ..! પરંતુ તેના ગર્ભમાં કોઈ ભૌતિક સ્વાર્થ છૂપાયેલો હોય..! પ્રણયની અમીધારા પોતાના મકામે જવા નીકળે  તો તેના નિયત સમયે જ તે એકમેકને આવી મળે. પ્રેમની વ્યાખ્યાને ત્યાં અનુભૂતિમાં બદલી દેવામાં આવે. આવી અનુભૂતિ રોમાંચિત કરે કારણ કે તે શિખર સુધી વાણી ,વ્યવહાર ,કૌશલ્ય ,પ્રતિભા અને પમરાટ બધું સોળુ દેખાતું હોય તો જ પહોચાયું હોય. આવી રેશમ ગાંઠોની હારમાળા સંજોગો અને સમય જ સર્જી શકે.
    વહેતો પ્રવાહ એક સરખો અને એકધારો રહેતો નથી.પરંતુ સમય ઉપક્રમે તેમાં ઉછાળા -ઉફાળા અને ઓટ આવતાં રહે છે.સ્ત્રી કે પુરૂષ પોતાની પસંદિદા મણકાથી ચળકાટ ધરાવતાં મોતી તરફ ખેંચાઈ, લોભાઈ તે 'બટ નેચરલ'છે. સહજીવનથી વાણી, વ્યવહાર, કૌશલ્ય વગેરેથી નિર્મિત થતા મતભેદો ઘણાં સંજોગોમાં મતભેદો સુધી પણ જાય છે. અને ત્યારે ત્રીજો મોરચો રચાતો હોય.જીવન એક ઢસડાતાં હવા વગરના વ્હીલના ગાડા જેવું બની જાય ત્યારે સમય તેને ડાયવર્ટ કરે છે. પોતાની લાગણીઓ અન્ય માટે પ્રફુલ્લિત થઈને દોડવાં લાગે છે.આ વાતની જાણ જ્યારે તેને થાય ત્યારે ઘણાં અર્ધ મૃત્યુ પામે છે,  કેટલાક સંજોગો એને અંત સુધી પણ દોરી જાય છે. તાજેતરમાં નેહા કક્કરે ગાયેલું એ ગીત યુટ્યુબ પર લાખો લોકોની ચાહના મેળવી રહ્યું છે તેના શબ્દો અહીં બખૂબી લાગુ પડે છે.
"जीनके लिए हम रोते हैं, वह किसी और की बाहों में सोते हैं।, हम गलियों में भटकते फिरते हैं ,वह समंदर किनारे होते हैं।"
   લાગણીદ્વેષ સ્વાભાવિક છે પરંતુ એ પણ સત્ય છે કે ચઢાવ-ઉતારના સમયને જીરવી જાણવું પડે.નહીતો અનર્થોનો જનક આ દ્વેષ ઉથલપાથલનો મહાઇતિહાસ સર્જે છે. ભર્તુહરીને પોતાના જીવ કરતા પિંગલાં પહેલી હતી. તેથી જ અમરફળ પોતે નથી ખાતો પણ પિંગલા આપે છે. આ ફળ પિંગલા પોતાના પ્રિય અશ્ર્વપાળને અને અશ્વપાળ ગણિકાને અને ગણિકા ભર્તુહરીને જ્યારે પહોંચાડે છે ત્યારે અલખ નિરંજનનુ કમંડળ અને ચીપીયો તેના હાથમાં આવી પડે છે. કુટુંબ,સમાજમાં આવી સુનામી આવ્યાનું અનુભવ્યું છે.
     સ્ત્રી-પુરુષોના પોતાના ગમા-અણગમા કે વધુ ગમતામાં આ આફતના મુળ દેખાય છે.પોતાના સાથીમાં રહેલી અધૂરપ કે ઉણપ અને અન્યમાં તે શોધવા મથે છે.અથવા પોતાના જીવનમાં કોઈ ખાલીપાનો ખુણો ભર્યો- ભાદર્યો કરવા તે હડી કાઢે છે.સમજની ગેરહાજરી ત્રિકોણના ખુણા બને છે.પ્રેમ જાતિય જીવન નથી પંરતુ જાતિય જીવન પ્રણયફાગનો એક અંશમાત્ર છે.ઉરની ઉછાળકુદમા આ તથ્ય પણ ઓશિકે રાખવું જોઈએ.ભારતીય સમાજ વ્યવસ્થાનું બંધારણ દ્વિમુખી જીવન કે દાંપત્ય પદ્ધતિને સ્વીકારતું નથી.જો કે હવે તેમાં બાકોરાં પડ્યા છે .યુરોપ અને અમેરિકામાં લગ્નજીવન વ્યવસ્થા ડૂબી ગઈ છે,એટલું જ નહીં ત્યાં મનમેળની સાથે સમયમેળનુ અનુસંધાન સાધી દેવામાં આવ્યું છે. પોતાની અનુકુળતા સુધી સાથ સાથ ચલે અને નહિતર 'થુઈયા'. ત્યાં બ્રેકઅપ દુખીયારું નથી. પરંતુ નવી સવારનો નવો નશો આવી જતો હોય છે.અન્ડરસ્ટેન્ડ અને એડજેસ્ટમેન્ટનું સમીકરણ તેમને જીવનની રફતારમાં કામ આપે છે. સમર્પણ, શિસ્તના નામે શૂન્યતા રચનારી આ પ્રજા ભોગને ભૌતિકતામાં રમમાણ છે.
     એવું કહેવાય છે કે સમંદરમાં તરતાં લાકડાંના ટુકડાંઓ કોઈ એવા હલેસાઓથી જોડાઈ જતાં હોય છે અને વળી ફરી એ જ મોજુ તેને વિખૂટાં પણ પાડી જતું હોય ,તો અહીં શોકનો શા માટે્.? આ ઝેરી કોબ્રાનો લબકારો સ્વ અને ત્વ બંનેને હણી હેઠો બેસે છે. વિખ્યાત ઉપન્યાસકાર,પત્રકાર શ્રી ખુશવંતસિંહ પોતાના આત્મવૃત્તાંત નિવેદનમાં કહ્યુ હતું કે પોતાને એવી અનેક સ્ત્રી મિત્રો સાથે જાતીય સંબંધો હતાં. અને પોતાની આત્મકથા "મેરે મિત્ર"માં આવી ૧૬ સમર્પિત મહિલાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. આવું બેબાક બયાન કરનાર આ પ્રક્રિયાને સહજતાથી લઈ લે છે .તેથી તેનું આખું સદીમાં એકાદ વર્ષ ઓછાં સુધી ચાલ્યું. આ તોફાનને સહ્ય બનાવવા જાતને તૈયાર કરવી રહી. એકાધિકારવાદી માનસિકતા આપણી પરંપરા સિવાય લગભગ ઓછી જોવા મળે છે. વિકસિત દેશો અને અવિકસિત દેશોમાં સમાન ગણ રચાય છે, કારણ કે જેની પાસે સમજની ચાવી છે તે મનની ગરદન મચકોડીને નાખે છે. બીજું જ્યાં વિચાર જ નથી એવા અવિકસિતો પ્રાણીઓથી વધુ છે જ નહીં  !ત્યાં છોછ  કેવો ? મધ્યાંતરે સૌ વિહ્વળ છે.
  ખેર..લાગણીની બેરીકેટ સૌ માટે ડંડો લઈ સ્ટેન્ડબાય છે તો બધું ભેળાણું નથી.ભગવદ્ ગીતાન ૧૬મા અધ્યાયનો આ શ્લોક ભુંગળ વગાડીને આ જ વાત કરે છે.
'અનેકચિતવિભ્રાંતા  મોહ જાલ સમાવૃતા ।પ્રસકતા: કામભોગેષુ પતન્તિ નરકેડ્શુચો।'
    ‌અર્થાત્ ધન,દાન યજ્ઞમાં મોહરુપી જાળથી વિટંળાયેલો,વિષયભોગમા રચ્યો પચ્યો રહેનાર અપવિત્ર નકૅમા પડે છે.

Monday, March 30, 2020

29-3 tatha 30-3-20 Harikatha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

"ઈચ્છા ને પરમાત્મા સામર્થ્ય સાથે જોડો"
સંકલન- તખુભાઈ સાંડસુર
ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનના છઠ્ઠા દિવસે આપ સૌને પ્રણામ્ શ્રીમદ્ ભાગવતના ચોથા અધ્યાયનો એક શ્લોક-મંત્ર છે
"દ્રવ્ય યજ્ઞા,તપો યજ્ઞા,યોગ યજ્ઞાચ્ તથાપરે,
 સ્વાધ્યાય,જ્ઞાનયજ્ઞાયચ્ યતઃ શસંતિય રતાઃ"
અર્થાત્ ભગવદ ગીતાના આ શ્લોકનું ભાષ્ય છે કે પાંચ પ્રકારના યજ્ઞ, કોઈ તેને ચાર પણ કહે છે પણ હું તેને પાંચ પ્રકાર કહીશ. દ્રવ્ય, તપ, યોગ, સ્વાધ્યાય અને પાંચમો જ્ઞાન યજ્ઞ. તિક્ષ્ણ વ્રતો સાથે યતિગણ આ યજ્ઞ કરે છે .આજના સંદર્ભમાં વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય, જીવનમાં આ પાંચ યજ્ઞ ચાલી રહ્યાં છે.જે ચાલે છે તેને ગતિ આપો અને જેણે શરૂ નથી કર્યા તે કરે. આવો,આપણે સૌ તેનાથી પરિણામ સુધી પહોંચશુ.
   દ્રવ્ય યજ્ઞ જે સ્થૂળ રૂપમાં ચાલે છે તે સરાહનીય છે. મારાં માટે નહીં બધા માટે છે સ્વાહા કરવા.. વાહ વાહ કરવા નહીં. ધર્મ થી શરૂ કરીને ઉદ્યોગ સુધીના સૌ કોઇ જે જરૂરિયાતમંદ લોકોની સેવામાં જોડાઈ ગયાં છે. એટલું જ નહીં બીજી વિવિધ પ્રકારની સેવાઓ માં જે જોતરાયેલા છે તેમને ખૂબ ખૂબ સાધુઆત.
     બુદ્ધુ પુરુષોના વચનથી બળ મળે છે. વિચાર માત્રથી ન પહોંચી શકાય વિશ્વાસ પણ કરતાં રહીએ. તે આગળ નીકળી જાય પુષ્ટિમાર્ગ કહે છે કે" ભરોસો દઢ્ ચરનન કેરો."વિચાર યાત્રા કરે પણ શ્રદ્ધા ન કરે.શિવ બેસી ગયા તર્ક-વિતર્ક છોડી દીધો તેથી તે મુકામ સુધી પહોંચી ગયાં. સંત દાદુ કહે છે' રામનામ મન નીજ ઔષધિ કોટી કોટી. વિચાર, વિષય, વ્યાધિ વ્યાપે ઉબ રહી કાયા કંચન સાર.'ભીતરની ઔષધી કોટી કોટી વિકારને કાઢી નાખે. દુનિયાના ઘણાં દેશોમાં લોકડાઉનથી તપયજ્ઞ પણ ચાલી રહ્યો છે. રામરાજ્ય આવ્યું ત્યારે પણ રોગ, શોક અને ભયનો નાશ થયો હતો.
       યોગ ત્રીજો યજ્ઞ છે. તેના ત્રણ પ્રકાર છે વિયોગ, સ્થિર -સંયોગનો યોગ અને ત્રીજો ક્ષમતા પ્રમાણેનો ઉપયોગ. આ પ્રકારના સંકટોનું એક કારણ જડનો ઉપયોગ કરવો જોઈએ અને ચૈતન્ય સાથે પ્રેમ કરવો જોઈએ ,પરંતુ આજે તેનાથી ઊલટું થઈ રહ્યું છે. જડ સંસાધન, દ્રવ્ય-ભૌતિક સાધનો વગેરે સાથે મોહ છે.સજીવ વ્યક્તિઓ સાથે નથી.
    જ્ઞાન યજ્ઞ છે. તેથી સાંપ્રત સમય અધ્યયનનો સમય છે .તે પણ એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ અને સ્વાધ્યાય બંને એમ તો એક જ છે. પરંતુ તેમાં થોડો ભેદ છે. સ્વ અધ્યયન એટલે સ્વાધ્યાય. જ્યારે જ્ઞાન એટલે એમા માહિતી પણ આવી જાય. કોઈ મુમુક્ષુને પૂછેલું કે ઇન્ફર્મેશન અને નોલેજમાં શું તફાવત મેં જવાબ વાળેલો કે માહિતી એ માર્ગ છે અને જ્ઞાન એ મંઝિલ છે.આમ સ્વાધ્યાય અને જ્ઞાન પણ ચાલી રહ્યું છે. વિનય પત્રિકા કહે છે સૂર્ય પરમાત્માની આંખ છે જ્યારે ચંદ્ર મન છે. તે પરમાત્માથી વિમૂખ થયાં માટે ભટકી રહ્યાં છે. ઈચ્છા અને પરમાત્માનું સામર્થ્ય જો જોડાઈ જાય તો પરિણામ સુધી સરળતાથી પહોંચી શકાય.
    આજની હરિકથા શ્રી શોભિતભાઈ દેસાઇના એક લેખમાંથી મળી છે. એક ભિખારી એક મંદિર પાસે રોજ ઊભો રહેતો. કૃષ્ણ અને અર્જુન તેને મળે છે .અર્જુન તેને ભિક્ષામાં ઘણું બધું દ્રવ્ય આપે છે. ભિખારી રાજી થઈને ઘર તરફ જઈ રહ્યો છે્ ને કોઈ ઠગ એ બધુ લૂંટી જાય છે .ભિખારી પોતાની પત્નીને ઘરે જઈને આ વાત કરે છે. તે તેના માટે શોક ન કરવા જણાવે છે .ફરી ભિક્ષા માટે તે કટીબદ્ધ થઇ પહોંચે છે. બીજા દિવસે ફરી ભીખારીને આવેલો જોઈને અર્જુન તેને એક મોટો હીરો આપે છે,  જે તે પોતાના ઘરે જઈ અવાવરૂં માટલામાં મૂકી દે છે .તેની પત્ની તે માટલું લઈ કૂવામાં પાણી ભરવા જાય છે. ત્યારે હીરો તેમાંથી નીકળીને પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભિખારી ફરી ખૂબ દુઃખી થાય છે.  ફરી પાછો ભીખ માંગવા જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે 'કોઈને આપવાથી પદાર્થ આપી શકાય, પ્રારબ્ધ નહીં. કૃષ્ણ ભગવાન તેને બે પૈસા આપે છે. એક માછીમાર ભિખારીને સામે મળે છે. માછીમારની માછલી છોડી દેવાં માટે ભિખારી તેને બે પૈસા આપી દે છે. માછલી જેવી કૂવામાં નાખવામાં આવે છે એટલે અંદર ગયેલો હીરો બહાર આવે છે.હીરો લઈને જ્યારે તે ઘર તરફ જઈ રહ્યો છે. ત્યારે પેલો ઠગ પોતે પકડાઈ જવાની બીકે તે દ્રવ્ય પણ તેને આપી દે છે. આમ તેને બધું પ્રાપ્ત થાય છે. પણ તે ક્યારે પ્રારબ્ધથી જ.કૃષ્ણ ભગવાન પ્રારબ્ધનું મહત્ત્વ સમજાવે છે. જો બોલે સો હરિ કથા. આજ બસ આટલું જ.
 જય સીયારામ.
તા.૩૦-૩-૨૦





Saturday, March 28, 2020

27-28 march 50 Hari katha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
૨૬-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦


Ta 25-26 march 20 harikatha

"હરિકથા" પુ. મોરારીબાપુના શ્રી મુખેથી

 સંકલન -  તખુભાઈ સાંડસુર

આપણાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલું ૨૧ દિવસનું લોકડાઉન એક અનુષ્ઠાન છે. પૂરી પ્રમાણિકતાથી તેમાં આપણે સહયોગ કરીએ.અરણ્યકાંડ કહે છે
" ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપાતકાલ પરીખે ઈ ચારી "
અનસુયા માતાનું આ કથન આપદ્ કાળમાં ખૂબ સાર્થક છે .આપદ્દ્કાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્ર અને વિશ્વ સામે એક મહા સંકટ ઊભું થયું છે. રામચરિતમાનસ ઉપર સંવાદ કરીએ. હું આપને નિવેદન કરવું કરું છું કે "ડરવું નહીં પણ ગંભીરતાથી ધૈર્ય રાખી પરમતત્વમાં ભરોસો રાખીએ.ભીતરથી ઉદભવેલું ધૈર્ય એટલે સત્ય પ્રેમ અને કરૂણાં આ ત્રણની કસોટી પણ મુશ્કેલ સમયમાં થાય છે.
સૌથી મોટો મિત્ર પરમાત્મા છે અર્જુનની સાથે સખ્ય કર્યું હોય તો આપણી સાથે પણ કેમ ન કરે ? જો આપણાંમાં અર્જુન હોય.! તો તે યથા માત્રા તથા સંભવ હોવું ઘટે.પરમાત્મા સુખમાં પણ છે અને દુઃખમા પણ સાથે છે. વિપત્તિ આવે ત્યારે આપણે એ પણ સમજવું, માનવું ભગવાન કૃષ્ણ આપણી સાથે છે. આ સત્યને કેટલું નિભાવી શકીએ છીએ તેની આજે કસોટી છે.
માતૃશક્તિ માત્ર શરીરથી નહીં પણ આપણી અંદર રહેલી ઉર્જા "યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, દયા રૂપેણ સંસ્થિતા, હું તો એમ કહું અહિંસા રૂપેણ સંસ્થિતા 'સત્ય પ્રેમ અને કરુણા વાળા ધીરજની કસોટી છે. ત્યારે આપણે આપણી ઊર્જામાં અને તેની આરાધનામાં ખરા ઉતરીએ.
તમારી સાથે યથા સંભવ ગુરુકૃપાથી સંવાદ કરવો છે. એક ગુરુ હતાં તેમને એક શિષ્ય હતો એક બીજા શિષ્યને તે પ્રથમ શિષ્યે પૂછ્યું કે તને તારાં ગુરુજીએ સાધનાનો કયો માર્ગ બતાવ્યો? ત્યારે શિષ્ય જવાબ આપે છે .' મને ગુરુજી  સૌ પ્રથમ એક કુવામાં ઊતરવા કહ્યું અને પછી મને તેમાં નિસરણી નાખીને બહાર નીકળવા જણાવ્યું. હું બહાર આવી ગયો. એક મહિનો ચાલ્યા પછી બીજો મહિનો આવ્યો. પછી તેમણે મને ફરી કુવામાં ઉતારીને એક ગાંઠ વાળો રસ્સો આપ્યો. હું સફળતાપૂર્વકએ ગાંઠવાળા રસ્સાથી કૂવામાંથી બહાર આવ્યો. ત્રીજા મહિને કૂવામાંથી બહાર નીકળવા મને ગાંઠ વગરનો રસ્સો આપવામાં આવ્યો. તે પરીક્ષામાં પણ હું સફળ રહ્યો .ચોથા મહિને મને કોઈ રસ્સો કે નિસરણી આપવામાં ન આવી તો પણ હું સફળ રીતે કૂવામાંથી બહાર નીકળી આવ્યો. અને છેલ્લે જ્યારે ગુરુજીએ કહ્યું હવે તું કૂવામાં ઉત્તર અને બહાર નીકળી આવ તો મેં કહ્યું કે કૂવો જ  ક્યાં છે. એમ કોઈપણ સાધના- આરાધના મુશ્કેલીઓને આપત્તિઓને આસન બનાવવાનું અને ધૈર્ય રાખવાનું શીખવે છે. આજે આ સંકટની સીડીમાંથી વિવિધ પ્રકારની ગ્રંથિઓ વાળી રસ્સી છોડીને આપણે બહાર આવીએ.તેવી શ્રદ્ધા છે .
'તેન પરહી ભવ કુપ'
સંયમની બહુ જરૂર છે. તે આપણને સારી રીતે પ્રાપ્ત થાય. આ નવરાત્રિમાં આપણે  નીજ થી નિખિલ સુધી અને પીંડ થી બ્રહ્માંડ સુધી આપોઆપ બહાર આવીએ. જે બોલીએ તે બધી હરિ કથા છે .આપ સૌ પ્રસન્ન રહો, હસતાં રહો કારણ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ." સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા" જયસિયારામ
તા ૨૫-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

અધિક અપેક્ષા આપણને વિસર્જીત કરે..
લે.મોરારિબાપુ
આજની કથામાં વાત તરફ લક્ષ આપવું જોઈએ. વ્યાસ અને દ્રુપદજી નો સંવાદ છે. તેમાં વ્યાસજી એ કહ્યું "જીવન વિશાળ જ્ઞાન માટે પર્યાપ્ત છે. તેથી ત્રૃષ્ણા એ સંયમિત હોવી જૉઇએ.ક્રૃષ્ણ તારું નામ તૃષ્ણા હોવું જોઈએ.જો તૃષ્ણાની સીમા નહોય તો જીવન ખારું થઈ જાય.

                માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
સંકલન- તખુભાઈ સાંડસુર

Wednesday, March 25, 2020

Aveg article

આવેગો આશિર્વાદ
- તખુભાઈ સાંડસુર
આવેગ શબ્દને મર્યાદિત રેખાઓમાં અંકિત કરીને વાયરસ ફેલાવાની છૂટ નથી. આવેગ એટલે શરીરની અનુભૂતિઓનું પરિણામ. તમારા મન પર થી પસાર થનારી ઘટના કે વિચારથી થતાં શારીરિક પરિવર્તનને આપણે આવેગ ગણીએ.હસવું, રડવું, નાચવું, કુદવું, ગમગીન થવું આ બધુંજ તે વર્તુળમાં મૂકી શકાય. તેના આત્યંતિક સ્વરૂપોને વળી નવા પરિવેશમાં ગોઠવી શકાય. જેમ કે બેફામ રડવું એટલે આક્રંદ, અસ્ખલિત અને અડાબીડ હાસ્ય એટલે અટહાસ્ય વગેરે, વગેરે. માત્ર અનુભૂતિ બધાં પ્રાણીઓમાં માનવ ને જ બક્ષવામાં આવી છે. તેથી તેનો યત્કિંચિત પ્રયોગ જીવનનો એક ભાગ રસમ માનવામાં આવે છે. બદલાયેલી જીવનશૈલીએ ઘણું કરવા જેવું ભુલાયું અને જાપલી બંધ કરવા જેવી વાતમાં મેદાન મોકળા કર્યા છે. આપણાં શરીરમાં ઉભી થતી આનંદ, દુઃખ,ગ્લાનિ વગેરે અનુભૂતિઓ હાસ્ય, રડારોળ અને ગમગીની લઈને આવે છે.જ્યારે જેની જરૂર છે ત્યારે તેનો ઉપયોગ જો પૂરતી માત્રામાં ન થાય તો તેના જવાબો સો ટચ મળતાં નથી.
      જીવનના સંતુલિત ક્રમને જાળવી રાખવાં આ અંકુરોને મુર્છિત કરી શકાય નહીં.તેને રોકી રાખવા તે પણ એક સાપેક્ષ હિંસા જ ગણાય.તેનો ભોગ શરીર અને મન બંને બનતું હોય છે. તમારી એવી કોઈપણ જાણી કે પિછાણી બાબતોના દુઃખદ દ્રશ્ય માટે નેત્રો પાછળ ગોઠવેલા ખારાં સમુદ્રને ઉલેચી જ નાખો. ભાવનાત્મક લાગણીને કોશવાથી મનોજગતની રંગોળીઓ ફેલાઈ જવા પૂરી શક્યતા છે.એમ પણ રડવું કોઈ સામાજિક દ્રોહ નથી માટે ઉદાહરણ તરીકે રડવાની ઘટનાને જીવનની આવશ્યકતા સાથે જોડાયેલી માનવામાં આવે છે. મોટાભાગના ને ખબર છે કે બાળકના જન્મ સાથે જ જો તે રડે નહીં તો તે સામાન્ય નથી તેમ તબીબો માને છે. તેથી રડવું અને માનવ હોવું એક સિક્કાની બે બાજુ છે.હા, તમે કોઈ પ્રતિષ્ઠાને કારણે તેને જાહેર અભિવ્યક્તિ તરીકે ન મૂકી શકો તો પણ તેનાથી સંપૂર્ણ પરહેજ કરી શકાય તેમ નથી. માનવ ને વળી ઈશ્વરગત અનુભૂતિઓ માટે ઘૂમટો શા માટે તાણવો..?રામાયણ કે મહાભારત ની કરુણાંતિકાને પ્રસ્તુત કરતાં ઘણાં કથાવાચકો એવા છે કે જેઓ રીતસર તારતાર થઇને બીખરાઈ ગયાં હોય, ત્યારે ત્યાં સરસ્વતીની સ્થાપના થાય છે. આંસુ એ સત્યનું સહોદર છે તેથી જ્યાં એકબીજાનો સંગાથ હોય ત્યાં છળ અને જૂઠાણાં માટે જગ્યા બચતી નથી.તમે જ્યારે રડી લો છો ત્યારે તમે હળવાં થઈ,ક્ષણને જીવી જાણી છે તેમ નક્કી થાય.
       આનંદનું માપન હાસ્યનો હેલ્લારો છે. રમતાં રમતાં જીવી જાણવું એટલે હાસ્ય.મૃત્યુની સમીપે પહોંચી ગયા પછી પણ ભય નામે કોઈ આંખો તેને ડરાવી ન શકે. તમે છો ને તાડ જેટલી ઊંચાઈનો યશ પ્રાપ્ત કર્યો હોય જો તમે બાળકની જેમ જ ખિલખિલાટ કરી શકો તો સમજો તમારું સ્થાયીકરણ ખૂબ મોટું છે. શરીર સમાજ અને સંબંધોને કોરાણે કરીને હસવાની મજા લઈ લો.બધું ખોઈ દીધા છતાં જો તમારા હોઠનું હાસ્ય અકબંધ છે તો સમજો કે તમે સારા થી શ્રેષ્ઠ નું પ્રમોશન મેળવી લીધું છે. સાંપ્રત હાલતમાં મનોરોગીઓની સંખ્યાનો ગ્રાફ પશ્ચિમી દેશોના પ્રમાણમાં વધુ છે. ભારતના 20 ટકા ગરીબો પૈકીના 5 ટકા એવા છે જેનું કોઈ નથી ત્યાં છે તેની પાસે સમય. જ્યારે તમારી પાસે સમગ્ર તત્વ હતું અને તેની આભાસી હાજરીની સમજણ તમે કેળવી શકતા નથી તો સમજીએ કે ગમગીની તેના શરીરમાં સ્ટેથોસ્કોપ મૂકવાથી પણ મળી શકશે નહીં.ચલતે ચલતે ફીલ્મના ગીતના શબ્દો સ્પર્શી જાય છે.
"રોતે હસતે બસ યુ હી તુમ ગુનગુનાતે રહેના"

Sunday, March 15, 2020

સંબંધ લેખ

સબંધો : સમયની ચોખટે
-  તખુભાઈ સાંડસુર
સંબંધ એટલે આંતરમનનુ આવિષ્કરણ. ત્યાં વિચાર નહિ વિહાર હોય.બુધ્ધિની હાજરી નહીં દલડાનો નામે ધોધ હોય..! સરવાળા બાદબાકી થાય તો સમજ કેળવવી કે કંઈક ખૂટે છે,પણ હોળીમાં કુદી પડવાની દઢ્ઢતાનું પ્રાગટ્ય કોર કાઢે તમે તેના આદર્શ સ્વરૂપના એવરેસ્ટ પર છો. મન જો આઘેરુક જઈને પાછું વળે તો હજી અધૂરપ છે, પરંતુ ભૂખ, તરસ અને શ્ર્વાસનો ખ્યાલ ગુબ્બારો થઈને ઊડી જાય,જો તમે સહરાના રણમાં પણ હડેડાટ હડીયું કાઢતાં રહો તો સંબંધની વ્યાખ્યા સાર્થક થઈ છે એમ જાણવું. અપેક્ષાથી આકારિત થયેલી સંબંધોની લાલાયિત કુમાશ ચિરંજીવ નથી. સ્વાર્થની પુષ્ટિ પછી તે સંબંધ છળમાં ફેરવાઈ જાય છે.છળ અને સંબંધ એક જ બાજોઠે બેસીને ભોજનનો રસાસ્વાદ ન માણી શકે !
            સમયની 'ટીક ટીકે' વ્યક્તિની સમજને વિશાળતા બક્ષીને સંબંધો પર હારાકીરી કરી છે. આજે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટેનું કર્તવ્ય પોતાના માપદંડોમાં બદલાયું. સાધનોનો વધારો કર્યો પણ સાધનાનો દુકાળ પડ્યો. તાજેતરમાં યુ.એસ.થી આવેલાં ઍક્ શ્રેષ્ઠીએ પોતાની જીવનની કિતાબ ખોલતાં દહેશત વ્યક્ત કરી." મેં ભલે મારા સમગ્ર જીવનને મારા પુત્ર માટે ઘસી નાખ્યું,પણ મારાં પત્નીના દેહવિલય પછી મારી જગ્યા "સિનિયર સિટીઝન હોમ"માં જ હશે."તે બતાવે છે કે' પિતૃ દેવો ભવ' ભોં માં ભંડારાય ગયું છે. સંબંધ સાથે સાંસ્કૃતિક વિરાસત પણ ધરાશયી થઇ. જીવનની ઘટમાળ સંબંધોને એરણે ચડાવે છે. તાવડી ટેકો લઈ જાય તેદી કોણ તમારી ડેલી ખખડાવીને કહે "મૈ હું ના !" સુખમાં આગળ રહેનારાઓ આપત્તિમાં અલોપ થઈ જાય છે.ફેસબુકિયા,વોટસેપિયા મનરંજન છે પણ રજમાત્ર આપણાં નથી. સ્મરણ કરો ભાવનગરના મહારાજ સાથે જોગીદાસ ખુમાણના બહારવટાનુ.  મહારાજા સાહેબના પિતાના 'ગામતરા'ટાણે જોગીદાસ તેના આગંણે ઉભા રહે,તે વાત સાબિત કરે છે કે તે મહારાજા સામે વેર હતું ઝેર ન હતું. ઉર્દૂ કવિ નીદા ફાજલીનો એક શેર કહે છે.
 "દુશ્મની લાખ સહી ખત્મ ન કીજે રિસ્તા
   દિલ ન મીલે યા ન મીલે હાથ મીલાતે રહીએ "
ખાનદાની ઇતિહાસ વગાડીને કહે છે.
        સબંધોને ત્રણ ખાનામાં ગોઠવી શકાય, અતલ,અર્ધતલ અને આભાસી.સ્વાર્પણ,ફનાગીરી હોય તે અતલ જેની ઉંડાઈ માપી ન શકાય.અર્ધતલમા બહુ વધારે સ્નેહાદરની આશા ન હોય એટલે કે સમત્વ અને આભાસી એટલે આપણે માનતા હોઈએ તેમ ન પણ હોય..! દુઃખદ ફેસબુક પોસ્ટમાં 'સેડ ઈમોજી 'મુકવાની તસ્દી ન લે તે બધા આવા મહાપુરુષો ગણાય ! આજે ટોળું થોડું મોટું થતું જાય છે.સૌરાષ્ટ્રના કાઠી દરબારોની એક પ્રથા આખા જગતે નોંધવા જેવી છે. કાઠી કોઈને ત્યાં લગ્ન પ્રસંગે ભલે ન પહોંચ્યાં હોય પણ એવું ભાગ્યે જ બને કે જેની સાથે નાતો હોય ત્યાં કોઈનું ગામતરુ થયું.બસ,એ આવીને ઉભાજ હોય.તેથી આ જ્ઞાતિમાં એકબીજા વચ્ચે સારાં પ્રસંગનો વહેવાર નથી, પણ માઠું ટાણું સાચવવું જ પડે. જે આપદટાણુના ઓળખે તેને આપણાં કોન્ટેક્ટ લિસ્ટમાંથી ઈમીજીયેટ ડીલીટ કરવો જોઈએ. વધી રહેલું 'એદીપણુ'પણ સૌને એક કોચલામાં જીવવા લાચાર કરે છે.
      જીવનની કેડીના વળાંકે અવનવું મળતું રહે. કંટકોથી સરકીને નહીં પણ સાફ કરીને સુખ સમજીએ. પ્રસન્નતા એક 'પોરહ' છે. તે જેટલો લઈએ એટલી ચિરતા પામી શકાય. એકાંત એકાગ્રતા અને અનુભવનો નિચોડ શ્રેષ્ઠતાના ઓશિંગણ બને છે.કોઈનો હાથ પકડી રાખવાથી તેની સ્વતંત્રતાને ઘા વાગશે.પરંતુ તેના હાથમાં તમારો હાથ આપશો તો તેને છોડી દેવાની પણ આઝાદી અને પકડી રાખવાનો અ
અંહકાર પ્રાપ્ત થશે. એમ કરીને પણ તેને તમે પ્રસન્નતા આપી શકશો. દુઃખી દિન ઓસરે તો કુમળાં સૂર્યકિરણો જરૂર નવા દિવસોને નોંતરે. મંગલ ઈચ્છીએ તો જરૂર સર્વત્ર મંગલ ધ્વનિ ગુંજે છે.તે આપણાં કાન સુધી પણ પહોંચે. નિરંજન ભગતની એ કવિતાના શબ્દો ખૂબ માર્મિક છે.
 "કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ આપણો ઘડીક સંગ
 ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળાં વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા, તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશુ ભેળાં
 હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશુ હેતની ગંગ !
રે ભાઈ આપણો ઘડીક સંગ."

Wednesday, February 26, 2020

ટ્રંપ વિઝીટ: પ્લસ-માઇનસ પૃથ્થકરણ
    -   તખુભાઈ સાંડસુર
કોઈ બે રાષ્ટ્રોના મેળાપીપણાનું માધ્યમ બને છે, એકબીજાના નેતૃત્વની આવન-જાવન અને ઘનિષ્ટતા .કોઈ દેશના વડા ભારતમાં આવે ત્યારે રખેને આવો મેગા શો જેને ઘણા 'રિસેપ્શન ઇવેન્ટ 'તરીકે ઓળખે છે તેવું લાંબુ કર્યાનો દાખલો લગભગ ભારતીય વિદેશ નીતિના ઇતિહાસમાં નોંધાયો નહીં હોય..!!!? કોઈ આવે ..દિલ્હીમાં મંત્રણા  કરે, ડિપ્લોમસી ડિગ્નિટિ સાથે થાય અને વાર્તા પૂરી થાય. ઘણાં પ્રસંગો એવા થાય છે કે કોઈ નાના દેશના વડા વાણિજ્ય કે વિદેશ મંત્રી ની વિઝીટને દિલ્હી સિવાયના અખબારોએ એક કોલમની જગ્યા પણ ફાળવી ન હોય. પણ અહીંયા તો આખું લશ્કર ટ્રમ્પની પાછળ દોડતું હતું. એરપોર્ટ, રોડ અને મોટેરા.. ત્યાંથી તાજમહેલ, હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર માધ્યમોને મસાલેદાર રહી. પરંતુ ભારતને શું પ્લસ-માઇનસ થયું તે વાત પણ માઈક્રોસ્કોપ મૂકવી જોઇએ.
             ટ્રમ્પના ભાષણનો પહેલો ભાગ 20% મોદીજી માટે, ૩૫ ટકા ભારતની હિસ્ટ્રી -હેરિટેજ માટે, થોડું ઘણું ઈન્ડો-અમેરિકન કલ્ચરના ભાગે. 10% ભારતની પોલીસી અને પડકારો માટે લાભદાયી ગણી શકાય. ટ્રમ્પ- મોદીની દોસ્તી એકમેકને પૂરક છે, કારણ કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પ અમેરિકન ઇલેક્શન કન્ટેસ્ટ કરવાના છે. ત્યારે ત્યાંના ૩૦ લાખથી વધુ ભારતીય મતદારો અને 'વીકટરી સાઈન' માટે શુકન બની શકે તેમ છે. ભારતીય અર્થતંત્રની ડામાડોળ હાલતથી એક મહાસત્તાના વિવિધ ફંડોથી ઉગારી શકે તે મોદી ની જરૂરિયાત છે. આમ તેઓ અનોન્ય એકબીજા માટે સરવાળા બને એવું કહેવાય.
     ટ્રમ્પનુ વ્યક્તિત્વ કહેતું હતું કે ભારતના ઉમળકાથી તે ખૂબ રાજી થયાં છે. મોટેરા ભાષણમાં મોદી અને ભારતના નામનો વારંવાર ઉલ્લેખ કરી પોતાની મુલાકાત અર્થપૂર્ણ છે તેવો સંકેત આપ્યો. ભારતની આંતરિક બાબતોમાં તેણે ટાંગો અડાડવાનું મુનાસિબ માન્યું નથી. પરંતુ તેણે ભારત સાથેના અમેરિકી સંબંધો વધુ ઊંચાઇ પર લઇ જવા ખાતરી પણ આપી. તે આવકારદાયક ગણાય. મોટેરા અને હૈદરાબાદ હાઉસમાં ઈસ્લામિક આતંકવાદનો ઉલ્લેખ કરીને કાશ્મીરમાં પ્રવૃત્ત ટેરર એજન્સીઓ અને ઇરાન સહિતના દેશોમાં દુનિયાને ભયભીત કરનારા ઈસ્લામિક સંગઠનોને સ્પષ્ટ ચેતવણી આપી, કોઇ પણ ભોગે તેને કચડી નાંખવા ઇચ્છાશક્તિ જાહેર કરી. ભારત-પાક.ના સંબંધોને અનુલક્ષીને પરોક્ષ રીતે તેણે જણાવ્યું કે પાકિસ્તાન તમારી કોઈપણ માનવતા વિરોધી પ્રવૃત્તિને યુ.એસ. ટેકો આપી શકે નહીં. ભારતને તેની આંતરિક સુરક્ષા બાબતે સ્વતંત્ર હોવાનો મત વ્યક્ત કરીને તેનું આ વિધાન ભારતના અત્યાર સુધીના પાક. સામેના અથવા કાશ્મીરમાં લેવાયેલા નિર્ણયોને સમર્થન આપનાર ગણી શકાય. મોદી-ટ્રમ્પ સંબંધોની મજબૂતાઈથી ભારતને ટેકનોલોજી, દવાઓ, સંરક્ષણ, સર્વિસ સેકટરની બાબતોમાં ટેકો મળવા સંભાવના છે. ભારતના લગભગ ૩૦ લાખથી વધુ લોકો જે અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. તેના હિતોના રક્ષણની તથા ૧૦ લાખથી આસપાસ એવા લોકો જે નાગરિકતાની પ્રતીક્ષા માટે તેના હિતોને પણ વધુ બળ મળે તેવી શ્રદ્ધા ઊભી થઈ છે. તેનાથી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તાકતવર નેતા તરીકે ઉભરી આવવાની એક ઉમદા તક પણ પ્રાપ્ત થઈ. 300 કરોડ ડોલરના સંરક્ષણ સોદાથી ભારતનું સુરક્ષાકવચ વધુ અસરકારક બને છે. તેનાથી એક એવો સંદેશ પણ વિશ્વને જશે કે ભારતને લશ્કરી તાકાતથી પણ તમે માપી ન શકો, ચકાસી ન શકો છો. એમ પણ મેસેજ ગયો  જરા વિચારજો. આ ડિફેન્સ ડીલથી ભારતીય સૈન્યમાંના મનોબળમાં સરવાળો થશે.પાક તથા ચીન જેવા દેશો જે આપણી સરહદોની સમસ્યાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકીને ખાંડા ખખડાવવાની વેતરણમાં હતાં. તેને 'રુક જાવ 'નો સંદેશો મળી ગયો છે. આ બધી બાબતોને ભારતના પ્લસ પ્લેસમાં રાખવી પડશે.
      ભારતને મુંબઈ, દિલ્હી સિવાયની વધુ એલચી કચેરી મળવાની જે આશાઓ હતી તે ફળીભૂત થઈ નથી. અમેરિકન વિઝા પોલીસી વધુ સરળ બનાવીને ભારતના યુવા વર્ગને વધુ પ્રમાણમાં તક મળવાની અપેક્ષા છે પણ આવી કોઈ જાહેરાત સામે આવી નથી હ.અમેરિકન નાગરિક તેની પ્રતીક્ષામાં સ્થાયી થયેલાં લોકોના એક કાયમી ઉચાટ છે કે ટ્રમ્પ હવે નાગરીકતા આપશે કે કેમ તેના કોઈ નવીન વાત સામે આવી નથી .સને 2016માં ટ્રમ્પના આગમન પછી અમેરિકાએ તેની વિઝાનીતિ વધુ અસરદાર બનાવી છે ,જેથી ભારતમાંથી ત્યાં જવા ઈચ્છનારા હજારો લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.ભારતનુ અર્થતંત્ર કટોકટીની સ્થિતિમાં છે. રાષ્ટ્રીય ઉત્પાદન આંક અસાધારણ રીતે ઘટી રહ્યો છે .દરેક ક્વાર્ટરમાં એના આંકડાઓએ છેલ્લાં ઘણાં સમયથી ઘટ જ બતાવી છે. તેમાં નવો સંચાર કરવાનો કોઈ નવા પ્રોજેક્ટ માટે નાણાં મળવાની અપેક્ષા ફળીભૂત થઈ નથી. ભારતીય સોશિયલ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમગ્ર ખર્ચ પર અનેક સવાલો ઉભા કર્યા છે. એટલું જ નહીં મોદી વિરોધી ખેમાએ ડોનાલ્ડની રસિકતાને ધ્યાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ કીરકિરી કરી છે. ભારત જેવા દેશોને બિન ઉત્પાદક એવી 21,000 કરોડ રૂપિયા જેવી રકમ ડિફેન્સને ફાળવવી તે તેની યોગ્યતા પર આશ્ચર્ય થયેલું જણાયી છે...!!!?
તો પણ એક મહાસત્તા પાસેથી ભારતને મળેલું અભૂતપૂર્વ સન્માન ઓછું આંકી શકાય નહીં તે માટે મોદીને બે લાઈક આપવી પડશે.