Wednesday, December 18, 2019

રૂપાણી સામેના પેંતરા

"રૂપાણી સામેના પેંતરા પરિણામ સુધી પહોંચી શકશે ?"
તખુભાઈ સાંડસુર
વિજય રૂપાણી લો પ્રોફાઇલ પર્સનાલિટી છે. તેને સપનું નહીં આવ્યું હોય કે તે ગુજરાતની ગાદી પર આસાનીથી આરૂઢ થશે." સીમ સીમ ખૂલ જા "નો જાદુઈ પટારો ૭મી ઓગસ્ટ 2016ના રોજ ખુલ્યો ત્યારે ઘણાં ના ભવાં ખેંચાઈ ગયાં હતાં. "જીભના લબરકા લે "તેટલી બહાર નીકળી ગઈ હતી.પણ કરે શું પાર્ટી લાઈન..!!!અદબ વળાવી દે છે. ભાજપ પહેલા મોદી અને પછી અમિત શાહની ઈર્દગીર્દ એક વર્તુળ છે તેમાંથી બહાર ફંગોળાઇ જવાનું કોઈને સરવાળો કરાવે તેવું નથી. માટે કેટલાયનું શુળ કોઠે જંપીને બેઠું છે ,છતાં પણ તે તકની રાહ જુએ છે. માટે સમયાંતરે માધ્યમો અને સમૂહ માધ્યમોને ટેકણલાકડી કરીને ગુબ્બારો ચડાવવામાં આવે છે .રૂપાણી જાય છે... જાય છે ..પણ તે હોય તો સ્થિર જ..!!
         2014ની પેટાચૂંટણીથી તેઓએ કેબીનેટમાં એન્ટ્રી લીધી.આનંદીબેને ભારે હ્રદયે સચીવાલયના પગથીયા ઉતરી જવું પડયું. હવે કોનો ..હવે વારો ..કોનું નામ આવે છે ? નો નારો ગુંજ્તો રહ્યો.લુજામાંથી દાણીયાએ રૂપાણીને તારવી લીધા. અને સોળમા ગુજરાતનો નાથનો મુગટ માથે તેમણે ધારણ કર્યો.આઠ-દસ મહિના માં જ કુંવરજીને ભાજપ ખેસ પહેરાવી ફરી જસદણના ચોકમાં મૂકવામાં આવ્યાં. ત્યારે ફરી હવા ફેલાવવામાં આવી જો તે હારશે તો રૂપાણી નું માથું વેતરાશે.બાવળિયાએ બળ કરીને બાહુબળે બેઠક જીતી લીધી. પાણી સમયતળ વહેવા લાગ્યાં. હવે આવ્યો 2017ના ડિસેમ્બરમાં ચુંટણી ઉત્સવ.ફરી ચૂંટણી પહેલાં એકવાર ચણભણ શરૂ થઈ. કોના નેતૃત્વમાં હવે ચૂંટણી લડાશે ?પણ છેવટે રૂપાણી જ રહ્યાં અને બહુમતી પણ લઈને આવ્યા. એકવાર પુનઃ ગણગણાટ થયો .હવે મોડી મંડળ વિજયને વરમાળા પહેરાવશે કે કોઈ વિકલ્પ આપશે.!  ત્યાં પણ ફરી ફુલ સ્ટોપ મૂકવામાં આવ્યું. રૂપાણીની ગાડી એક્સપ્રેસ વે પર ફાસ્ટ દોડવા લાગી. લાળ ટપકવાની રાહ જોનારાઓએ હજુ પ્રતીક્ષા કરવાનું ટાણું આવ્યું.
        અલ્પેશ ઠાકોર ,ઝાલાનો ભાજપનો ગાળીયો ઘણાને અપચો કરાવી ગયો.તે નિમિત્તે પેટાચૂંટણીના ઉત્સવમાં ફરી વિરોધીઓને મોં પર લાલાશ લાવવા તક આવી. ભાજપ અને મોદીની લોકપ્રિયતા હવે સર્વોપરિતામાં કન્વર્ટ થઈ ગઈ હોય તો મજાલ છે કે કોઈ તેની ક્યાંય એક બે બેઠકો આઘી પાછી કરી શકે ?તે પણ ગુજરાતમાં ..! પરંતુ ચ ભાજપમાં ત્રણ બેઠકો નું બાકોરું  પડ્યું. ઘરના જ ઘાતકી નીકળતાં છ માંથી ત્રણ ઓછી થઈ .જે આવી તે પણ લોથપોથ થઇને કાંઠે પહોંચતાં તરવૈયાની જેમ મહામહેનતે બચાવી શકાઈ, એવું તારણ નીકળ્યું. ફરી એ ચહેરાઓની ચટપટી વધી વિવેચન અને ચર્ચા ચોરે રૂપાણીને "કવર "કર્યા. એક રીતે તેનો વિકલ્પ દૂર સુધી દેખાતો ન લાગ્યો . જ્યારે જ્યારે મોદી કે શાહ ગુજરાતમાં એરપોર્ટ પર પગ મૂકે કે તરત  "રુપાણી જાય છે.. જાય છે ..ના બૂમ-બરાડા સંભળાવા લાગે.
        રૂપાણીની મર્યાદાઓ હશે. તેની શાર્પનેસમા માઈનસ દેખાતું હોય.તેના મીસયુઝને મીસમેનેજમેન્ટ ગણવામાં આવતો હોય. પરીક્ષાઓના ગોટાળા અને ભોપાળાં, ખેડૂતોના ભાવતાલ -ઘાસચારો ,પાણી અને કાયદો-વ્યવસ્થાના લબડતતડ બેહાલ,શિક્ષણની ગુણવત્તાની ગરીબી કે અસમર્થતા આ બધું હોવાં છતાં તેઓ નેતૃત્વ આપવામાં સક્ષમ સાબિત થયાં કહેવાય .કોઈ એવા મોટા ઈસ્યુને બળ મળ્યું નથી. જેથી સરકાર ડિસ્ટર્બ થઈ શકે બધાં આંદોલનો તેના સુબાઓએ સફળ રીતે મેનેજ કરીને કરંડિયામાં પુરી દિધા. બીજું હવે તેનો વિકલ્પ શોધવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે..? હજુ તાજેતરમાં કોઈ ચૂંટણીઓ આવવાની શક્યતાઓ પણ નથી .તેથી નેતૃત્વના બદલાવ લાવીને એક નવી બળવાની હવા શા માટે પેદા કરાય ?
         જિલ્લા -તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 2020 ના ઓક્ટોબરમાં યોજાવાની છે સરકાર તેને સમયસર યોજીને લિટમસ ટેસ્ટ કરશે. તે લગભગ સમગ્ર ગુજરાતમાં એક જનમત તરીકે જોવામાં આવશે .પરંતુ ત્યાં સુધી કોઈ આઘું પાછું થવાની સંભાવના ઓછી.તાજેતરના સંજોગો એવા કોઈ રાજકીય સમીકરણો દેખાતા નથી કે મોવડી મંડળ નેતૃત્વ પરિવર્તનની ફોર્મ્યુલા અમલમાં મૂકે. રૂપાણી નો વિકલ્પ ખોળવો પણ કઠિન છે. જે નામો સામે આવે છે તે મોવડીમંડળની "પોલિટિકલ કેમેસ્ટ્રી"માં સ્યુટ થતાં નથી. એક પાસુ બરાબર હોય તો બીજું બગડે.. માટે રૂપાણીને હાલ ઉજાગરો કરવા જેવું નથી. તોપણ રાજનીતિમાં જો ને તો નો ફાંસલો ખૂબ બારીક હોય છે, તે પણ એટલુ જ ટકોરાબંધ સાચું છે.

Saturday, December 14, 2019

સંબંધનો સહેલો પાસવર્ડ

તખુભાઈ સાંડસુર

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.
       કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે.."સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં."..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ "દેવત્વ 'ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.' જવા દો હવે','તેનું કરેલું તે જાણે', 'મારાથી આ ન થાય', નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં 'હું 'ની હાજરી નથી પણ 'આપણે' નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ " મિલા સો ગિલા હો ગયા.."!!!
                   જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.
       સંબંધનો એન્ટિવાયરસ 'ઝટ મંગની પટ બ્યાહ' ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ.છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.
      ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે
"લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી,
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી"
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
    
સંબંધનો સહેલો પાસવર્ડ

તખુભાઈ સાંડસુર

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.
       કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે.."સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં."..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ "દેવત્વ 'ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.' જવા દો હવે','તેનું કરેલું તે જાણે', 'મારાથી આ ન થાય', નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં 'હું 'ની હાજરી નથી પણ 'આપણે' નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ " મિલા સો ગિલા હો ગયા.."!!!
                   જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.
       સંબંધનો એન્ટિવાયરસ 'ઝટ મંગની પટ બ્યાહ' ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ.છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.
      ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે
"જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે "
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
   

Thursday, December 12, 2019

Haidrabad encounter fact file

હૈદરાબાદ એનકાઉન્ટર :કાઉન્ટેડ જ્યુડીસીયરી અને લોકશાહી
                               - તખુભાઈ સાંડસુર

મેં  મારા પ્રવાસમાં જાતે અનુભવ્યું છે કે યુ. એ. ઈ.અને આફ્રિકાનો રવાન્ડા બંને દેશોના લોકોને કાયદાનો એટલો ખોફ છે કે રાત્રે બે વાગ્યે પણ તેઓ સિગ્નલ લાઇટને નિગ્લેટ કરી શકતા નથી. રવાન્ડાના નાગરિક તો ઘરની દિવાલોમાં પણ દેશના કાયદાના ઉલ્લંઘનની વાત એકદમ દબાતા સ્વરે કરે છે,ત્યાં ગુન્હાખોરીનું પ્રમાણ લગભગ નગણ્ય છે. આપણી પદ્ધતિના છીન્ડાઓ,અમલીકરણનો વિલંબ ગુનાઓનો વધુ વિસ્તાર કરવા ગુનેગારના ચેતના જગતને જકજોડે છે. તેથી જ હૈદરાબાદ જેવી રેપ વિથ મર્ડરની નિંદનીય ઘટનાઓને અંજામ મળતો રહે છે.તેનો ગુન્હેગાર ઝડપથી ફાંસીએ લટકે તે જરૂરી. સવાલ તે છે કે આ બન્યું તેના પાયામાં ઘણી પોષણયુક્ત સામગ્રી છે .તે ગુન્હેગારોને અભયવચન આપે છે.પછી નો સવાલ તેનાથી પણ પરોક્ષ રીતે ગંભીર છે કે આપણે આ રીતે ગોળી ધરબી દઈને કેવી રીતે ન્યાય કરી શકીએ?
    પાકિસ્તાનની  સરખામણીમાં અહીં એન્કાઉન્ટરનું પ્રમાણ ઓછું છે. 2014 થી 2018 સુધીમાં પાકિસ્તાનનાં 3345 લોકોએ એનકાઉન્ટરથી જાન ગુમાવવા પડ્યા.ભારતના સત્તાવાર આંકડાઓ જવલ્લે જ આવી ઘટનાઓને બનવાની ગવાહી આપે છે.પરંતુ તે છતાં ભારતે મજબૂત લોકતંત્ર અને મહાસત્તા તરીકે વિશ્વમાં સ્થાપિત થવા આ પ્રકારની ઘટનાઓ કોરાણે કરવી જ રહી. તાજેતરમાં યુપીમાં યોગીના આગમન પછી દસ માસમાં 1142 પોલીસ વર્સીસ ક્રીમીનલની ઘટનાઓ બની જેમાંથી માત્ર 24 વ્યક્તિઓની કેજયુલીટી થઈ. આપણાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર પ્રદીપ શર્માના ખાતે 312 અને દયા નાયકના 83 ઍનકાઉન્ટર થયેલાં નોંધાયેલાં છે .લોકશાહી વ્યવસ્થામાં આ આંકડાઓ પણ બાકોરું પાડી શકે.
   ભારતીય ન્યાયપ્રણાલીની પિરામિડ પદ્ધતિ
 અંતિમ પડાવ સુધી પહોંચતાં વ્યક્તિને લોથપોથ કરી દે છે. માટે ક્યાંક આ પદ્ધતિ પરથી શ્રદ્ધા ડગમગે છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા માંથી નીકળતાં નીકળતાં સમય પણ હાંફી જાય છે. ત્વરીત નિર્ણયશક્તિ કાયદાને વધુ ને વધુ તાકાત આપી શકે. કેસની ઉતરોતર સંખ્યામાં થઇ રહેલો વધારો અને તેની સામે આપણી વ્યવસ્થાઓ ઉણી ઉતરે છે. સને 2014માં ભારતમાં બળાત્કારની સંખ્યા 122783 હતી તે વધીને 2017 માં 146201 થઈ છે.તેમાં સજા તો માત્ર અનુક્રમે 27.4 ટકા અને 31.8 ટકા લોકોને જ થઈ.  કેવી રીતે કાયદો ભય ઉભો કરી શકે? કોઈપણ ખટલાનો પાયો તેની તપાસ એજન્સી છે તેની કાર્યરીતિ ઉદાહરણરૂપ અને મજબૂત ન હોય તો સ્વાભાવિક છે કે કલમનો ગાળીયો ગુન્હેગારના ગળામાં કસાતો નથી.તેને છટકી જવાની પૂરતી તકો મળી રહે છે. બીજું વિલંબીત ન્યાયપ્રક્રિયા પણ ફરિયાદી ,સાક્ષી વગેરેના રોષને સમયે-સમયે ઠંડો પાડે છે. તેથી અદાલતી કાર્યવાહીમાં સૌ ટુંકા પડે છે. ગુન્હેગારોને ફરી પછી તક તક મળતી જાય છે. દેશની અદાલતોમાં વધી રહેલા કેસોની સંખ્યા પણ નજર કરો, તો ભારતની 25 હાઈકોર્ટમાં 42.55 લાખ કેસ જેમાંથી 12.15 લાખ ફોજદારી અને સર્વોચ્ચ અદાલતમાં 1.58 લાખ કેસ ચુકાદાની પ્રતીક્ષામાં છે. બોલો ક્યાંરે પાર આવે ?!! ન્યાયધીશોની જગ્યાઓ વડી અદાલતમાં 399 એટલે કે 37 ટકા વણપુરાયેલી છે,ત્યારે ઝડપી ન્યાયની અપેક્ષા ન્યાયોચિત લાગે ખરી ? સરકાર તેની આર્થિક, વ્યવસ્થાપનની પણ મર્યાદાઓને કારણે તેની પૂર્તતા ન કરી શકતી હોય પરંતુ આ પ્રકારના મુદ્દાઓથી મોઢું ફેરવી શકાય નહીં,તે તેણે સ્વીકારવું જ રહ્યું. ભાવનાત્મક મુદ્દાઓને બાજુના ટેબલ ગોઠવીને આ બાબતે ક્રિયાશીલતા ખૂબ મોટું રાષ્ટ્રહિતનું કાર્ય બની શકે.
    એન્કાઉન્ટર એક પરમેનેન્ટ સોલ્યુશન નથી.  ભારતીય સંવિધાનના પાયાઓ પૈકીના ન્યાયાલય સિસ્ટમને સીધો પડકાર છે.જ્યારે તમે કોઈ પદ્ધતિમાંથી શ્રદ્ધાનો દીપક બુઝાતો જુઓ ત્યારે તમે અન્ય જગ્યા પર નજર દોડાવો છો. એનકાઉન્ટરની રીતરસમો જે હોય તે પરંતુ અગાઉ પ્રકાશ કદમ વર્સીસ રામપ્રસાદ ગુપ્તામાં આવી કાર્યવાહી સામે સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ નારાજગી દર્શાવી છે. કારણ કે ન્યાય પ્રણાલીમાં દરેકને પોતાનો બચાવ કરવાનો પુરતો અધિકાર અપાયો છે.ભારતીય સંવિધાનની કલમ 21 માં તમામ નાગરિકને પોતાના જીવનનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ભારતના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી શરદ અરવિંદ બોબડેજીએ જોધપુરમાં કહ્યું કે ન્યાય ઉતાવળમાં ન થઈ શકે અને તે જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું ચરિત્ર ગુમાવી દે છે. આપનું આ વિધાન નાનું છતાં ઘણું સૂચક છે.
છેલ્લે ..
સમગ્ર ન્યાય પદ્ધતિમાં સુધારાઓની ઝડપ ભારતના આમ નાગરિકને લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ વધુ દ્ઢ્ઢ બનાવી શકે છે !

Saturday, September 28, 2019

મોરારીબાપુ "મોરારીબાપુ" છે

મોરારીબાપુ" મોરારીબાપુ "છે
-તખુભાઈ સાંડસુર
મોરારીબાપુ માટે લખવું ,વિચારવું કે કંઈક વહાવવુ તે આકાશને ગજ લઈને માપવા જેવું કાર્ય છે. સમુદ્રની અતલતા કે અનંતતાને જોવા જાણવાનો પ્રયાસ અંતને આહ્વાન કરવા જેવુ ! પુ.મોરારીબાપુના જીવનને નજીકથી પીછાણનારને ખબર જ હોય કે બાપુ આટલું કરે ,આવું ન કરે !! જે જગતની પીડા, સંવેદનાઓ સહ્ય બનાવીને હસતાં ચહેરે સૌને અમૃતનો અહેસાસ કરાવે તે જ મુઠી ઉંચેરા હોયને !!
     વાત કરવી છે નાનકડા શબ્દોને
તુલ આપીને વતેસર કરવાની ઘટનાની. માધ્યમોને સમય પસાર કરવાનો મોકો પણ મળ્યો. પરંતુ મોરારીબાપુ તે વિષયમાં ક્યાંય કેન્દ્રિત ન હતાં. તેનો આગોતરો અંદેશો હતો.બાપુએ જામનગરની "માનસ -ક્ષમા" વિષયના ઈદૅગીદૅ બોલતાં (જોકે આ વિષય પણ અગાઉથી નિર્ધારિત થયેલો હતો) કહ્યું ,'મારે કોઈને માફી મંગાવવી નથી. હું સંવાદનો માણસ છું. તપસ્વીઓનું ઘરેણું- રૂપ ક્ષમા હોય છે. મારા હાથમાં પોથી છે તથા પગમાં નિતાંત શરણાગતિ છે. વિવાદ નહીં પ્રેમનો સંવાદ યજ્ઞ પ્રગટાવ્યો છે. આવજો, તલગાજરડા આવો સૌનો સ્વીકાર થશે. મારો સ્વીકારધર્મ છે તે હું બખૂબી નિભાવીશ. જેણે જે કહ્યું તે તેને મુબારક, સૌને આવકાર. કોઈક બોલાવશે તો પણ મારા સિદ્ધાંતો મુજબ જઈશ ય ખરો!? આને કહેવાય મોરારીબાપુ.બસ..બસ..પુરતુ..!
પૂ. મોરારીબાપુના વ્યક્તિત્વને દુષ્યંત કુમાર ના શબ્દોમાં આ રીતે નિરુપિત કરતાં કહી શકાય.
"મૈ તુજે ભૂલને કી કોશીશ મેં,
 આજ કિતને કરીબ પાતા હું ,
કૌન યે ફાંસલા નિભાયેગા,
 મેં ફરિશ્તા હું સચ નિભાતા હું...
      જે જગતને પોતીકું ગણતો હોય એને કોઈ ભૂલી શકે ખરો ??! કોઈની વચ્ચે જરાય અંતર નહીં,માત્ર સત્યનો જ પ્રભાવ.મહાપુરુષો અણસાર આપે પરંતુ તેને ઝીલવાનું ઓદાયૅ શ્રોતાઓમાં હોવું ઘટે. ધર્મ અને સંપ્રદાયનો તુલનાત્મક અભ્યાસ જરુર થઈ ગયો. વિવાદ નહીં સૌને ધાર્મિક વ્યાસંગની આવશ્યકતા સતત પડધાવી જોઇએ.
       બાપુ કોઈ વિષય પર ક્યારેય માધ્યમો સાથે ફક્ત એકજ દ્રષ્ટિકોણથી નિવેદન કરવાનું યોગ્ય ગણતા નથી.પરંતુ કથાના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાત જરૂર કરે .બાપુએ કહ્યું કે 'તલગાજરડા સૌને હેતાળવા હાથે આવકારે છે. કોઈથી પરહેજ નહીં સૌનો સ્વીકાર .ત્યાં બાપુ એ બધાને પધારવા નિમંત્રિત કર્યા પરંતુ એ સત્ય તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો કે સનાતનની પરંપરા માટે અવિવેક ત્યાં જ શરણાગતિમાં પરિવર્તિત થવો જોઈએ.
    પુ.બાપુની કથા કે પ્રસંગોમાં તેમના સમગ્રતયા વ્યક્તિત્વને નીરખવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. તેઓએ મહુવાના હસનભાઈ રિક્ષાવાળા, તળાજા ના એક ગામડાંના દેવીપુજક શાંતિભાઈને પણ સ્વીકાર્યા છે તો તેઓ કોઈ માટે કેવી રીતે કટુ હોઈ શકે ? હા, જરૂર એટલી જ કે તેમને નીરખવાની સૌષ્ઠવયુક્ત આંખની બાદબાકી થયેલ ન હોય. એશ્વર્ય એ જ પોતાની ઓળખ સાબિત કરનાર કે પછી અદનો આદમી બાપુની પંગતમાં સાથે જ ઉભેલાં દેખાય છે.
   જેઓ બાપુની પ્રતિભા, પાંડિત્ય તથા પોતને ઓળખી શક્યા નથી તે નિવેદનબાજીની અવિવેકી બાલિશતા દર્શાવે તેમાં તેઓની ગરિમા ઝંખવાય છે. જે માઈનસ થાય છે તે ત્યાંજ થાય,આ પક્ષે જરા સરખું ય નહીં. હવે કલ્પના કરો કે તેમના માટે પણ કરુણતા પ્રગટ કરવાની ચેષ્ટાનો અર્થ થાય છે કે બાપુ જીસસની એ વૈચારીક કક્ષાની લગોલગ છે કે જેણે કહ્યું હતું કે' તે શું કરે છે તેની તેને ખબર નથી'. બાપુએ તેમને સ્વિકારી લઈને કેટલી ઊંચાઇ હાંસલ કરી.આપ આગળ પણ કહો છો" સર્વત્ર સુખિનઃ સંતુ ,સર્વે સંતુ નિરામયા" આ સૌની કલ્યાણ ભાવના દર્શાવે છે .આપણાં ગુજરાતી ચિંતક આ.ગુણવંતભાઈ શાહ પણ બાપુની આ ગરીમા માટે કહે છે કે પૂ. મોરારીબાપુનો જામીન થવા હું તૈયાર છું. ત્યાં તેમની છબીનો ઉઘાડ થાય છે.
      એટલું જ કહેવાય બાપુનો ધર્મ છે ."સ્વીકારધર્મ, પરમાથૅધર્મ, સંવાદધર્મ, સત્યધર્મ, કરુણાધર્મ, અહેતુક પ્રેમધર્મ, આતિથ્યધર્મ ,સમાનતાધર્મ, ક્ષમાધર્મ અરે ..,એમ જ કહો ને આ બધાનો સરવાળો એટલે "મોરારીધર્મ "
-છેલ્લે-
 મારી આટલી વાત છે નિજાનંદીકર્મ ! લવ યુ બાપુ !

Sunday, August 18, 2019


રવાન્ડા સફરનામા -૪

એકેગેરામાં આટો

-- તખુભાઈ સાંડસુર

આફ્રિકાખંડ વરસાદ, લીલોતરી અને પ્રાણીઓનાં વૈવિધ્ય માટે પહેલાં યાદ કરવો પડે.વિષુવવૃતનુ પસાર થવું ,ગરમી, વરસાદ, હરિયાળીનું કારક છે .જેથી આ ખંડના થોડાં દેશોને બાદ કરતાં બધા દેશોમાં પ્રાણી-પક્ષી,લીલીકુંજાર ધરા રોમહર્ષણ જોવાની લહેર કલમથી ટપકાવતા તેને અન્યાયકતૉ થાય.રવાન્ડાના પ્રવાસમાં નક્કી જ હતું કે ત્યાં જંગલો, તેના સ્વરૂપને ઢુકડેથી જોવાની ખૂબ મજા પડશે.
           ૨૫ એપ્રિલ ગુરુવારે એકેગેરા અભ્યારણમાં લટાર મારવા માટે નીકળી પડ્યાં. તે કિગાલથી પશ્ચિમમાં ૧૦૦ કિલોમીટર દૂર છે. રસ્તો થોડો કાચો, જેથી બે -અઢી કલાકની મુસાફરી ખરી ..! આ આયોજનનો પાયો  નાંખનાર અને અમને રવાન્ડી આતિથ્ય કરાવનાર શ્રી આશિષભાઈ ઠક્કર હતાં. અમે લગભગ ચાર-પાંચ મોટી જીપોમાં ખડકાય ને સાત- સાડા સાતે નીકળ્યા.
          રસ્તામાં ડ્રાઇવર એલેનએ અમને આ જંગલની ઘણી વિશેષતાઓથી અવગત કર્યા. કેગેરા એક નદીનું નામ હતું અને તેના પરથી આ પાર્ક નું નામ આપવામાં આવ્યું.સને ૧૯૩૪મા અસ્તિત્વમાં આવેલા આ જંગલનો વન વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિલોમીટર છે.પછીથી તેને વિવિધ રીતે વિકસાવવા સરકારે કમર કસી. અહીં કાળો હિપ્પોપોટેમસ બેલ્જિયમથી લાવવામાં આવ્યો. જિરાફને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યું છે.જેની સંખ્યા આજે ૮૦ છે. પાર્કમાં સિંહ ૨૫૦ ની મોટી સંખ્યામાં હતાં. પરંતુ ૧૯૯૪ના નરસંહાર પછી પુનઃ સ્થાપિત થયેલા ખેડૂતો, લોકોએ બધા સિંહનો શિકાર કર્યૉ. ૨૦૧૫ માં સાત જેટલા સિંહને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યા છે.
  અમારી ગાડી હવે પાકૅના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી. તમામ સાથીઓનું રજીસ્ટ્રેશન વગેરે ત્યાં થયા પછી અમે ફરી જીપમાં ગોઠવાયા. દરમિયાન કોઈકે સમાચાર આપ્યા કે નજીકમાં હાથીનું એક ઝુંડ છે,પહેલા તેને જોઈ લઈએ. રીસેપ્શન પરથી વનવિભાગનો ગાઈડ અમારી સાથે જોડાયો. રસ્તાઓ કાચા પરંતુ વિસ્તાર ટેકરાવાળો હોવાથી ચોમાસામાં પણ વાહનો ચાલી શકે તેવો. જંગલ બહુ ગાઢ નથી, મોટા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. તર્ક એવો થયો કે આજુબાજુના વસાહતીઓએ જંગલ રક્ષિત હોવા છતાં તેને કાપતા રહ્યા હોય.વૃક્ષો બોરડી, નીલગીરી અને બીજા અડબાઉ જંગલી વૃક્ષો જોવા મળ્યાં. નાનું ઘાંસ જેમાં નાનાં પ્રાણી દેખાય પણ નહીં. હવે જીપ ઉભી રહી અને તેનું ઉપરનું ફોલ્ડર છાપરું ખોલી નાખ્યું. એક તરફ જંગલી ભેંસોનુ એક ટોળું ચરતુ હતું,સાથે નજીકમાં ત્રણ જેટલા જીરાફ ઊભેલાં જોયાં.  જીરાફના ત્રણ પ્રકાર છે પણ આ જીરાફ મસાઈ જીરાફ તરીકે ઓળખવામાં આવે છે. સફેદ જેવો રંગ દેખાતો હતો તે હાથીઓ હતા.દુરથી તે સફેદ લાગતા હોય. જીપ તેની નજીક લઈ જવા કોશિશ કરી,પણ રસ્તાથી આગળ જઈ શકાય તેમ ન હતું. કોઈ પણ પ્રવાસીને જીપની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો.અમારું એક મુકામ પૂરું થાય એ પહેલાં જિબ્રાના ટોળાંઓ સાવ લગોલગથી પસાર થયાં. ગધેડાના કદના પીળા -કાળા ચટ્ટાપટ્ટા ધરાવતું આ પ્રાણી માનવ સ્વભાવ સાથે થોડું 'મેચ' થઈ ગયેલું લાગ્યું. મુકાભાઈ, જીતુભાઈના કેમેરાની ફ્લેશ હવે ફટાફટ ક્લિક થતી હતી. ૨૫ -૩૦ ના ટોળામાં ફરતાં આ જીબ્રાની સંખ્યા નોંધપાત્ર હશે એમ કલ્પી શકાય.
          અમારી જીપ હવે ક્યાંથી ક્યાં નીકળે છે, તેનો ખ્યાલ રહેતો નહોતો. પાકૅના રસ્તાઓ બધાં સરખા લાગે.  પાંચ છ કિ.મી.ના અંતર પછી અમે રિફરેશમેન્ટ સેન્ટર પર આવીને ઊભા રહ્યાં. અહીં થોડો વિરામ ને ચા- નાસ્તો કરવાનો હતો. તેના ખોરાકની ચીજવસ્તુઓ શાકાહારી ખરી પણ વૈવિધ્યપૂર્ણ હતી. તેમાંથી કેટલાકના સ્વાદ ખૂબ ભૂલભૂલૈયા જેવાં હતા.ચાખી ચાખીને ખાઓ નામેય યાદ રાખવા અઘરા.નજીકમાં એહેમા નામક તળાવ દેખાતું હતું. તે ટેકરી ઉપર મુગટ સમાન આ સેન્ટર પરથી આખું તળાવ, જંગલ અને તેના દ્રશ્યો અદ્ભુત હતા. બાથ ભરીને ભાથું લઇ જવાં જેવા જ.લંચબોક્ષ તૈયાર થઈ ગાડીમાં ગોઠવાયા. અડધાં કલાકનો પડાવ પૂરો કરીને ફરી જીપડાઓએ ચાલતી પકડી. હરણ ,રોઝ, મોર, એનું પચરંગી પક્ષી રસ્તામાં જોતાં ગયાં. જ્યારે અમે એહેમા સરોવરના કાંઠે આવી ઉભાં રહ્યાં તો તળાવના કાંઠે બનાવેલી દીવાલ થી દસ-પંદર ફુટના અંતરે કાળો હિપોપોટેમસ પાણીમાંથી બહાર નીકળ્યો. એક બે મિનિટ માટે પોતાનું શરીર બહાર કાઢે અને ફરી પાણીમાં ગરકાવ થઈ જાય. સાથે આવેલા ગાઈડે અમને તળાવની નજીક ન જવા જણાવ્યું. તેની શિકારી,હિસંક હોવાની તેની ઓળખ હતી. અહીં અમને જંગલના કેટલાક તાલીમી રવાન્ડી વન કર્મચારીઓની મુલાકાત થઇ. તેઓ વન વિભાગમાં નવાં જોડાયેલાં હતાં.પ્રથમ તાલીમ મેળવતાં હતાં તેવું જાણવા મળ્યું. જંગલના એક વિશ્રાંતિસ્થાને અમે ફરી અટક્યાં. સમય બપોરા કરવાનાં ટાણાંથી પણ આગળ નીકળી ગયો હતો. દાળ-ભાત, કેળાં ,કાકડી ને કેરીના રસથી થોડું ભોજન સંપન્ન થયું.
    જંગલી, ભેંસો ,હાથી ,જિરાફ બઘું સમયાંતરે નજરે પડતું રહ્યું. રિસેપ્શન પર ફરી ચેક આઉટ કરાવવાનું હતું. અમારા જૂથ સિવાયના બે- ત્રણ વાહનો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓનાં જોવાં મળ્યા.આ નેશનલ પાર્કની મુલાકાતની ફી ૧૫૦ અમેરિકન ડોલર હોવાનું બોર્ડ જોવા મળ્યુ.માટી વાંસમાંથી બનેલું નાનકડું મકાન ખૂબ કલાત્મક હતું.પ્લાસ્ટિક, અન્ય કોઈ કચરો અહીં ફેંકવા પર પ્રતિબંધ હતો. તેનું ચુસ્તપણે પાલન થતું હોવાનો અનુભવ થયો. વન તેનુ પોતીકાપણું જાળવી રાખવા સફળ થયાનું અનુભવાય છે. સરકાર અને તેના કર્મચારીઓની કાર્ય પ્રતિબદ્ધતા ખૂબ સ્પર્શી ગઈ. અહીં તમને પ્રવાસની કોઈ મુશ્કેલી પડતી નથી.
        એકાએક અમારાં ગ્રુપમાંથી કોઈનો અવાજ સંભળાયો 'દિપડો'.બારીમાંથી જમણી તરફ મેં નજર કરી. લગભગ દસ-પંદર ના ફુટના અંતરે મોટા ઘાસમાં દિપડો જોવા મળ્યો.નાના ધાસમા દેખાય, ફરી આગળ નીકળે ત્યારે નાનું ઘાસ હોયતો જોઈ શકાય તે એકદમ બિન્દાસ, બાદશાહી ધીમી ચાલે આગળ જતો હતો.
    ઘણાનાં મોબાઇલમાં ટાન્ઝાનિયાનો ટાવર આવવાં લાગ્યો હતો. અમે તેની સરહદ પર હતાં. અમારા પસાર થવાનો મુખ્ય રસ્તો ટાન્ઝાનિયા તરફ જતો હતો. અમારી જીપમા થોડી ખરાબી આવી ત્યારે અમે તેનાં ગામડાંમા પણ એક ચક્કર મારી આવ્યાં. ત્યાંની ગરીબી પર ખૂબ કરુણા ઉપજી.
         સાંજ ઢળતા જ્યારે અમે કિગાલીની રેડિશન બ્લુ હોટેલ પર પાછા ફર્યા ત્યારે લાગ્યું કે અમારો આજનો એકેગેરાનો આંટો નહોતો પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની અંઘોળ હતી. એક સફર બધાએ કરવાની જરૂર થાય.
 --- તખુભાઈ સાંડસુર
પ્રિય જીંદગી, જત લખવાનું કે

-તખુભાઈ સાંડસુર

તને જીવતાં, પામતાં શીખવું તે એક કળા જ નથી પણ કૌવત હોય છે. જે તેમ નથી કરી શક્યા કે સમજવાં, પામવાં અધૂરાં સાબિત થયાં તે રગદોળાયા, રડ્યાં, રઝળ્યા છે.કાશ..! તું પોતેજ ટ્યુટર હોત તો!
           તારી નાસમજનો આનંદ કે અનુભૂતિ પછી કદીય થઈ નથી.એ શૈશવના દિવસોમાં તારી નિર્દોષતા મને તથા અનેકોને તારી પાસે ખેંચી લાવવા કેવી ચુંબકીય તાકાત દશૉવતી હતી.યૌવનના એ દિવસો જીવી જાણ્યા કે જ્યારે કોઈ પળ બેસુરી લાગતી નહોતી. સ્વર્ગીય સુખનો 'ગલેમર ટચ ' તેં સતત કરાવ્યો છે. મસ્ત, મસ્તાનગીની ગુલછડીનો સમય તારી સાર્થકતામાં ન્યોછાવર હતો. કોઈ માનુનીના હોઠનું સ્મીત કે ગુલાબની ગુલ્બો તારી પાસે ઝાંખી લાગતી. પછી જાતને ગૌરવ કરવા જેવી તારી કથની અન્યોને કહેતાં જીભ સુકાય કેમ!? કેટલાયની છિન્ન થયેલી સમજ તેને મારી સાથે દ્વેષાત્મક અંકુરોને મહોરતા રાખવા મજબૂર કરતી.
          તું સુખ દુખના હથોડા ઝીલીને કસાયેલી બની ગઈ છે. લાગે છે યમદૂતોનું આહ્વાન પણ તું પરત કરી શકે.હા, સૌંદર્યયુક્ત દિવસોમા તારા ઉલ્લાસનો અતિરેક અષાઢી વીજના ચમકારા જેવો પણ દેખાયો નથી. તે સંયમને દાદ આપવી જ રહી. મને તારામાં ક્યાંક જીવતાં આવડ્યુ ,તો ક્યાંક પછડાયો પણ ખરો, પણ શીખ્યો અને ચાલતો થયો .પશુ-પક્ષીઓની ઈર્ષા થઈ આવે છે કે તેમાં વિચાર તથા વ્યવહારના ખાલીપાએ તેને કેવા હળવાફૂલ રાખ્યાં છે. સામાજિક શિસ્ત,બંધનો,હડિયાપાટીમાં તને પીછાણતા અડધું આયખું તો એમ જ પૂરું થયું. જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
તારો રોજિંદો ઘટનાક્રમ તો ઘાંચીના બળદ સરખો લાગે છે. પરંતુ તારા અટપટા રસ્તાઓ ક્યાંથી ક્યાં નીકળી જાય તે કલ્પનાસુદ્ધામાં આવતું નથી.તે ચિત્રણો ગોથા ખવડાવતાં અનેકને જોયાં છે.જે સંગાથી છે તેને તું અળખામણી લાગે અને "બિછડે હુએ યા નહિ પા સકે"તેનો તેને ઇન્તજાર રહે. ઢુંકડાને ઢુંબો અને દરિયાપારના દિદાર ! વાહ ક્યા બાત.!
        ગુલઝારના શબ્દો જે માસુમ ફિલ્મ માટે લખાયાં હતાં.
"તુજસે નારાજ નહીં જિન્દગી, હેરાન હું મેં ,
   તેરે માસુમ સવાલોસે પરેશાન હું મૈ."
ફરિયાદમાં પૂરતો દમ છે તોય તને સૌ જીવી જાય છે. અંત તરફ તારું ધકેલાવું જાણે બોજ થઈ પડ્યું હોય એમ તેને ઉપાડવાનો હવે ભાર લાગે છે. સૌને જ્યાં‌ સુધી તારી ઉપયોગીતા હતી ત્યાં લગ તને અપાર ચાહી, મમળાવી, બચકાવી છે. શું નથી કર્યું તારા માટે !તારી અસમર્થતા હવે નોનપ્રોડકટીવ બની ગઈ છે. તારી સાથે જીવનારા પણ તને અવગણે છે.તેથી જ તો મારો નાતો'ય તારી સાથે તીતર બીતર થઈ રહ્યો છે.મને હવે તારા અંતનો ભય ડરાવતો નથી. બલ્કે તે શાતા આપી રહ્યો છે.
         તને જીવવાનો નફો-તોટો કરતાં તેમાં નફાનું પલડું ભારે છે.સફળતાના કિનારાઓને પકડી પાડવા તેં ધસમસતાં પ્રવાહમાં કુદી પડતા મને રોક્યો નહીં, બળ આપ્યું છે. તું આવી જ સૌ કોઈ માટે પેશ થતી રહે ,તો કેવું સારું ! થેન્ક્યુ જિંદગી..

- તખુભાઈ સાંડસુર

Sunday, August 11, 2019

આફત આખરી નથી, અવસર બનાવો..
-- તખુભાઈ સાંડસુર
લગભગ  ચોમેરથી ભાગો- દોડો ,ભેગું કરો ,ભોગવી લો,અને ભુસાઈ જાવ નો નારો અનેકોના જીવનમાં રોજ આફતના બુંગિયા વગાડે છે. મેટ્રોસિટીની મોડૅન લાઈફને સેટ કરવામાં અપસેટ થઇ જનારાં મોતની ચિતામાં છલાંગ લગાવનારની સંખ્યા ગણનાપાત્ર ઉપર જઈ રહી છે.પ્રાચિન દુહો કહે છે,"વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય ."
યુગો પહેલાં કહેવાયેલી વાત કેટલી સાંપ્રત છે.? મથામણ કરનાર માર્ગ શોધી કાઢે છે .સમયની રફતારમાં આવતાં વળાંકો જરૂર અટપટાં હશે પરંતુ તે અશક્ય કે અઘરા નથી. શ્વાસ લઈ લો થાક સમય નું પરિણામ છે. હતોત્સાહ થવાના સરિતા વહેણને ત્યાં જ છોડો અને આગળ વધો .કોઈ નવા કિરણો તમને આવકારી રહ્યા છે. તેની કુમાશ જીવનના ચમૅ સૌંદર્યને નવી આભાઓથી મઢી દેશે.

     ' સમય સમય બલવાન હૈ 'ના સૂત્ર મુજબ માનવ પોતાની અપરિપક્વતા થી ભૂલો કરતો રહે છે છતાં પણ હરણફાળને ત્યજી દો.મંદ ગતિ મુકામ સુધી લઈ જાય છે મજધારે પહોંચતા નૈયાને ડુબવાના સંજોગો નિર્માણ થાય તો તમે આફતને ટાળી શકશો.ખર્ચ વ્યસન શોટૅકટને શોર્ટઆઉટ કરતા શીખો .લાંબા સમયનું આયોજન તમને જીવનના સંગીત તરીકે સાથ આપશે. મૂંઝવણોથી માર્ગ શોધનારા માર્ગદર્શકો પણ તમારા માટે હાથ લંબાવી રહ્યા છે ,તૈયાર છે. એવું કંઈ નથી કે જે અન્યોને સાથે હવે "શેર "ન કરી શકાય .ઉઠો ,જાગો મદદ તૈયાર છે
      આપણી શિક્ષણપ્રથા ખોખલી અને બોદી સાબિત થઇ રહી છે. શાળા ગુણાંક મેળવવાનુ મશીન નથી, પણ ગુણગ્રહણ કરવાની પ્રયોગશાળા છે. શિક્ષક વેપારી નથી જીવનનો અર્થ અને તર્કપૂજં છે. યુરોપ અમેરિકાએ તેની ભૌતિકતાવાદી શિક્ષણપ્રથા ને ફગાવી દીધી છે. જે ત્યાંથી નીકળી જાય તેને આપણે ગ્રહણ કરીએ છીએ. અરે.. તું મેળવવાની માથાઝીક નહીં મેળવેલાંની મજા લેવામાં સમય સાચવી લે.

લાસ્ટ ટોક.
ચલો એકબાર ફીર સે અજનબી -અનજાન બન જાયે હમ સબ.
-  તખુભાઈ સાંડસુર

Thursday, July 18, 2019

યૌન અપરાધ: ઉછાળો અને ઉપાધિ

--- તખુભાઈ સાંડસુર

"બેટી બચાવો બેટી પઢાવો "નો નારો બુલંદ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક એવો બચાવસાદ સંભળાય છે.બેટી કહે છે." બચાવો મને બચાવો". દેશ, રાજ્યની ઘટનાઓ, અપરાધો પર નજર કરવા તમે કોઈપણ અખબારો ઉથલાવો તો તમને યૌન અપરાધોની ઘટનાઓ એક નહીં રોજ ચાર-છ નજરે પડે. આ વાતની ચિંતા એટલે છે કે એક તરફ બેટીને જન્મ જમાવવાના નારો અને બીજી તરફ તેને બચાવવાનું દેકરો. વધી રહેલી આ ઘટનાઓ સત્તાતંત્ર, સમાજસેવી સૌ કોઈની આંખો ઉઘાડનારી છે.
              નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 1971માં બળાત્કારના કેસ 2043 હતા 2011માં 24000થયા .સને 2016માં તેની સંખ્યા 38947 નો આંકડડો બતાવે છે. મોફાડ વધારો...! તમે તકૅ કરો કે 1971 પછી વસ્તીનો વધારો થયો જેથી ઘટના વધી પરંતુ સને 2011 અને 2016 ના આંકડાઓ માં પણ 50 ટકા જેટલો વધારો દર્શાવે છે. 2019 ના આંકડાઓ સામે આવશે ત્યારે આપણી આંખો, મોઢું, મન ફાટી જશે.
        જયપુરમાં સિકંદર નામના વિકૃત વ્યક્તિએ 24 થી વધુ બાળા ઉપર બળાત્કાર કર્યો.જેમાંથી કેટલીક બાલિકાઓની તેણે હત્યા પણ કરી. અમરેલી, રાજકોટ ,ધોરાજી જેવા ગુજરાતના શહેરોમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવી. અમરેલીમાં સગીરા પર ત્રણ ચાર વ્યક્તિઓએ મહિનાઓ સુધી તેનું યૌન શોષણ કર્યું. તેની વિડીયો ક્લીપ,ફોટાઓથી તેને વારંવાર મજબૂર કરવામાં આવી. રાજકોટમાં પણ આવો જ પારિવારિક શોષણનો કિસ્સો સામે આવ્યો..!  બધુ ચિંતાજનક છે.
         અદાલતી ઝડપી કાર્યવાહી કરી આત્યંતિક યૌન અપરાધને રોકી શકાય.જો તેને સખત સજા આપવામાં આવે તો અન્ય લોકો પર તેનો ભય બેસે. સને 2016માં ભારતમાં 109 વ્યક્તિઓ ને ફાંસી અપાઈ તે પૈકીના 43 વ્યક્તિઓ યૌન અપરાધીઓ હતાં. નરેન્દ્ર મોદીજીએ સુરતની યુથ કોન્કલેવમાં દાવો કર્યો હતો કે મારી સરકાર ઝડપી ન્યાય અપાવે છે.  હજુ તેમાં વધુ ગતિશીલતા લાવવી જોઈએ. આપણે ત્યાં ફાંસીની સજા ઓછી અપાય છે સને 2016માં ભારતમાં 109 ને ફાંસી અપાય જ્યારે ચીનમાં 1000 વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી જે દસ ગણો વધારો સૂચવે .વસ્તીમાં ચીન આપણાથી દસ- પંદર ટકા વધુ છે તો આવો તફાવત શા માટે?
  આજનો યુવાન ,કિશોર ઇન્ટરનેટના ઉપયોગથી વધુ માત્રમાં વિકૃત થઈ રહ્યો છે.પોર્ન સાઇટ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જાતીય ઉશ્કેરાટ ના લાઇવ વિડિયો અનહદ માત્રામાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે તાકીદે નિયંત્રિત કરવું જ રહ્યું. કિશોર-કિશોરીઓ ના હાથમાંથી મોબાઇલ આંચકી લેવાનો સમય આવી ગયો છે. જો તમારું બાળક એકાંતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતું હોય તો ચેતવણી ઘંટ તમારા દરવાજે જ વાગે છે.શિક્ષણની પદ્ધતિમાં આમૂલ બદલાવ આવશ્યક છે .વિચાર અને વ્યવહારમાં સંયમ, સમાનતા, શિસ્તની કેળવણી સમયની માંગ છે.
               સત્તા,સમાજને શાળા સૌના સહિયારા પ્રયાસોથી જ બેટીને અપરાધ સકંજામાંથી બચાવી શકાશે.

Wednesday, May 29, 2019

રવાન્ડા સફરનામા ૩

રવાન્ડા સફરનામા --3

ચોરાણુંનુ રક્તટપકતું રોણું

--તખુભાઈ સાંડસુર

રવાન્ડા દેશના ઇતિહાસ સાથે એક કરુણ ઓળખ જોડાઈ ગઈ છે, તે છે સને ૧૯૯૪ જાતિ સંહાર .માત્ર ૧૦૦ દિવસમાં ૧૨ લાખથી વધુ લોકોની કત્લ.
લોહીના ખાબોચીયામાં તરફડતું જીવન, હજારો હાથ પગ અને માનવ અંગો થી સડકો લથબથ, માનવ ખોપરીઓ રઝળતી જોવા મળી એટલું જ નહી સ્થાનિકોના કહેવા મુજબ કિગાલીના એક મેદાનમાં કેટલાક લોકોએ ખોપરીઓને ફૂટબોલ બનાવીને રમત રમી.સન ૯૪ ની ૭ મી એપ્રિલથી શરૂ થયેલાં આ નરસંહારની કાળમુખી શાબ્દિક તસવીરો.એક પંકિતમાં કહેવાય.
   " શ્ર્વાસનો ભાર લાગે છે,મોત લાચાર લાગે છે.
    લાગણી સૌ હણાઇ પછી? દર્દ આધાર લાગે છે."
   માણસની લાગણીઓને સતત ઉશ્કેરવામાં આવે તેને સતત દૂષ્પ્રેરિત કરવામાં આવે ત્યારે સંવેદનાઓ રુઢ થઈ જાય. વિચાર ગાંઠ ફ્રીજ થાય, તે માણસ કેવું કૃત્ય કરે ..! શું કરે તે નક્કી નહીં .ત્યારે આવી ઘટનાઓને અંજામ મળે છે.
      સન ૧૯૬૫થી રવાન્ડાને સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા મળ્યો. પણ બહુમત હુતું જાતિના લોકો સત્તાના સિંહાસન પર ચડી બેઠા હતાં. એનકેન પ્રકારે તે જાતિના લોકો લઘુમતી તુત્સી જાતિને કે તેને પ્રતિનિધિત્વ આપતાં ન હતાં. એટલું જ નહીં તે લોકો સતત એવું માનતાં હતાં કે આ રાજસત્તામાં અમને પુરતું મહત્વ હોવું જોઈએ.તેની અવગણના અકળામણમાં પરિણમી.તેનાથી બંને જાતિ વચ્ચે તનાવ પેદા થયો આ તનાવ હિંસામા તબદીલ થયો.
           સન ૧૯૯૦થી આ બન્ને જાતિઓ વચ્ચે નાના-મોટા સંઘર્ષ અને અથડામણની શરૂઆત થઇ. ૧૦-૨૦-૫૦ લોકોની આપસઆપસમાં હત્યાઓની ઘટનાઓ લગભગ રોજિંદી બની હતી.એકબીજા જુથ વચ્ચે વૈમનસ્ય વધતું ચાલ્યું.સરકાર કે તેના પાડોશી દેશોએ આગને ઠારવાં કોઇ નક્કર પરિણામલક્ષી પગલાં ન લીધા. પરંતુ કોઈ દેશના નામ લખ્યા વગર કહેવાય કે જે દેશો તેની પ્રાકૃતિક સંપદાને શોષિત કરવા ઈચ્છતાં હતાં તેની નિયત આ દેશ માટે શ્ર્વેત ન હતી.માનવ સહજ દૂષિતગ્રંથિ હોય તેનો લાભ લેવાનો તર્ક તેઓએ વધારે લડાવ્યો.હવે સંઘર્ષ છેલ્લા ને આખરી તબક્કામાં હતો તેમાં એક ઘટનાએ આ ક્રોધના દાવાનળને જાણે બ્લાસ્ટમાં બદલી દિધો.
     ૬ એપ્રિલ ૧૯૯૪ ના દિવસે પાડોશી દેશ બરૂડ્ડીના પ્રમુખ સિપ્રેન અને રવાન્ડીયન પ્રમુખ  હિબોઅરીનામા એરપોર્ટ પર હવાઈજહાજમાં બોર્ડ થતાં હતાં, બંને પ્રમુખો હુતુ જાતિના હતાં.અને ક્યાંકથી રોકેટ હુમલો થયો,હવાઇ જહાજના ફુરચા ઉડી ગયાં, કલ્પના થાય કે તેમાં બંનેના મૃતદેહોને શોધવા પણ અઘરાં થયાં હોય.ત્યારે હુતુ જાતિના લોકોની માનસિક સંતુલિતતા તીતર બીતર થઈ ગઈ. સમગ્ર દેશમાં હુતુ લોકોએ તુત્સિ લોકોની કત્લેઆમ શરૂ કરી.'થામ્બા' નામનું એક ધારદાર હથિયાર જે પશુઓની કતલ માટે વપરાય છે, ત્રણેક ફૂટનું ધારિયું સમજી લો. તેને લઈ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. તે સમયે ત્યાં ઓળખપત્ર પર જાતિનો ઉલ્લેખ થયેલો હતો જેની તુત્સિ જાતિ હતી તેની હત્યાઓ કરવામાં આવી. કેપિટલ કિગાલીમાં જ બાર લાખથી વધુ લોકોના લોહીથી સડકો રક્તવર્ણી બની.દેશ આખો કાપાકાપી ને અરાજકતામાં ડૂબી ગયો.આંતરરાષ્ટ્રિય મંચ પણ આ દેશની વહારે ન આવ્યો.
   ગુજરાતી દંપતિએ આ દિવસોનું વર્ણન કરતા કહ્યું, "  અમે લગભગ બે દિવસ સુધી અમારા ઘરના કબાટ પાછળ સંતાયેલા રહ્યા.સતત બે દિવસ સુધી માનવ ચિચિયારીઓ,ગ્રેનેડના ધમાકાઓ, બંદૂકના ધડાકા સંભળાતાં રહ્યા. જોકે અમે ત્યારે એક ગામડામાં હતા,ત્યાં પણ આવી સ્થિતિ હતી તો કિગાલીની તો વાત જ શું કરવી ?!! લગભગ અમો બે -ચાર દિવસ સુધી સતત સુનમુન , ભૂખ્યાં, તરસ્યાં બેસી રહ્યા હતાં. એ દિવસો આજે પણ યાદ કરીએ છીએ તો ભોજન ભુલાઈ જાય છે."
         મેં ૨૩ એપ્રિલ ૧૯ ના રોજ જ્યારે જેનો સાઈડ મેમોરિયલની મુલાકાત લીધી.ત્યારે આ અતિ હ્રદયદ્રાવક પ્રકરણને બરાબર ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. મેમોરિયલમાં બનાવેલ સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા આવનાર એક મહિલાની પાંપણમાં આજે પણ સાવન ભાદોનું ચોમાસું ઉમડી આવ્યું. તે મારી નરી આંખે અનુભવ કર્યો.ત્યારે મારી આંખો પણ નમી ને રોકી ન શકી !! મારો તાદ્રશ્ય અનુભવ ૨૫ વર્ષ પહેલાની કલ્પનાઓથી મન એકદમ વિચલિત થઈ ગયું,અરે....!!!? આવા અનેક મેમોરિયલ ગામડે ગામડે પણ છે તેવું જાણવા મળ્યું.
             તુત્સિ જાતિના પોલ કગામે સાંપ્રત સરકારનાં સુબા છે. તેઓએ આર.પી.એફ.એટલે કે રવાન્ડીયન પેટ્રીએટ ફ્રન્ટ નામની એક સંસ્થા ઊભી કરી હતી.જે તુત્સિ જાતિના હક- હિતો માટે હિંસક રીતે લડતી હતી. તેઓ શરીરે ખડતલ, કદાવર હોવાથી હુતુ જાતિના લોકો પર સારો પ્રભાવ પાથરી શક્યાં.તેણે કેપિટલ કિગાલી કબ્જે કરવા તે તરફ કૂચ કરી. ત્યાંની સ્થાનિક મિલિટરીમાં પણ તેમનું ખાસ વર્ચસ્વ હશે. તેથી તેનો પણ ટેકો મળી રહ્યો હોય.
                                 આખરે આર.પી.એફે જૂન મહિનાના અંતમાં કિગાલી શહેર પર કબજો કરી લીધો.સતાના સૂત્રો પોતાના હાથમાં લઈ ૧૦૦ દિવસના મહાવિનાશક ક્ષણોનો હવે અંત આણ્યો. નવોન્મેષિ રવાન્ડાની આગેકદમનો પ્રારંભ થયો.આજે દુનિયાના બધા દેશોમા આ રાષ્ટ્ર અગ્રહરોળનો વિકાસ ધરાવે છે.જે ગૌરવ પ્રદાન ગણી શકાય.જાપાનની જેમ જ આ દેશની પ્રગતિની દુનિયાએ નોંધ લેવી પડે.
      ------તખુભાઈ સાંડસુર

Saturday, May 25, 2019

Rawanda tour 2

રવાન્ડા સફરનામા  --૨

રવાન્ડિયન લોકજીવન

  -તખુભાઈ સાંડસુર

હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ ' "ગુમનામ" નું શૈલેન્દ્રજીનું ગીત રવાંડાની પ્રજાને બરાબર બંધ બેસે છે.તમને ત્યાં લગભગ તમામ લોકો ફ્લાઈંગ સ્માઇલ કરતાં જોવા મળે છે. એનો પહેલો અનુભવ મને રવાન્ડએરની હવાઈચારિકાની ઓળખથી થયો.આ પ્રજા છે તો માંસાહારી પરંતુ તો પણ આટલી શાલીન કેમ એવો પ્રશ્ન જરૂર થાય.
                રવાન્ડા અને તેની આસપાસના દેશોમાં પણ યુગોથી જંગલપેદાશ ઉપર સૌ કોઈ નિર્ભર હતા. કદાચ આજે પણ છે.લગભગ વનવાસીઓ વનસંપદાઓનો ઉપભોગ તે તેમના નિર્વાહનું માધ્યમ છે.જે અહીં પણ લાગુ પડે છે. ત્વા,હુતુ અને તુત્સી જાતિના આદિવાસીઓની વસ્તી અહીં મુખ્ય છે. તુત્સી જાતી લઘુમતીમાં છે પરંતુ તે ઉંચાઈમાં મોટા તથા ખડતલ છે. તેથી તેને લાંબા કહે છે.જ્યારે હુતુ થોડાક કદમાં પ્રમાણસર છે તેથી તેને ટૂંકા તરીકે ઓળખવામાં આવે છે.
    શિક્ષણ જાગૃતિએ તેને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડ્યા છે.સ્ત્રી-પુરુષો બધાના વાળ કાળાં, એકદમ વાંકડિયા,ટુંકા પણ એટલા જ છે.સ્ત્રીઓ પોતાના વાળને લાંબા કરવા માટે કુત્રિમ વાળની ગૂંથણી કરાવે છે.સલુનકારો નાના વાળની સેર કરી તેની સાથે કુત્રિમ વાળને જોડે તેની લાંબી લાંબી સેર બનાવે છે.ગુથાયેલી સેરને આપસ આપસમાં જોડે છે.ઘણા તેમાં વિવિધ પ્રકારની પીનો પણ નાંખે છે.આ કારીગરીના હેરડ્રેસરના રવાન્ડિયન ૩૦૦૦ ફ્રાન્ક થાય છે. બઘાંના માંસલ શરીરને કારણે હોઠ, પગ,ખભા વગેરેમાં ચરબીનું પ્રમાણ ખાસ્સુ છે. ક્યાંક સ્ત્રી-પુરુષોનો રંગ થોડો શ્યામ જરૂર લાગે. ગામડાંના પુરુષો અંગરખું, કછોટો ધારણ કરે છે.સ્ત્રીઓ પણ સાડી બ્લાઉઝ,ચણિયો એવો સાદો પોશાક પહેરે છે.ગાય, જંગલી પશુપક્ષીઓનું તે માંસ ખાય છે. હમણાં સુધી તે કાચું માંસ ખાનાર હતા. હવે તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કોસ્મેટિક્સનો ઉપયોગ ખૂબ વધારે કરે છે. ઘણી બધી સ્ત્રીઓને મેં આખા શરીરે કંઈક તેલ જેવું પ્રવાહી લગાવીને નીકળેલી જોઈ. રસ્તા ઉપર તે ઝગમગતી,તગમગતી લાગે.સ્ત્રીઓ તેના બાળકોને પીઠ પાછળ સાડીમાં બાંધીને પોતાનું કામ કરે છે. તેની ભાષા કિનિયારવાન્ડિયન છે. તે રવાન્ડામાં બોલાય છે પરંતુ બાજુના દેશ કેન્યામાં સુવાલી ભાષાનો ઉપયોગ થાય છે.તે કેન્યા રવાન્ડિયનને મળતી આવે છે.કેન્યાના રીટાબેને કહ્યું."'પાન્ગા ‌ગાપી 'એટલે કેટલાં પૈસા.'મગાના તાન્દા તુ' એટલે ૬૦૦ફ્રાન્ક.'મગાના રીંગલી 'એટલે ૭૦૦ ફ્રાન્ક."
                    ગ્રામજગત નાનાં નાનાં ખેતરો, ટેકરીઓમાં વહેંચાયેલું છે. જ્યાં પોતાનું નાનકડું ખેતર ત્યાં જ તેનું એક માટીનું બનાવેલું નાનકડું ઘર હોય. જેમાં વાંસને ઊભા-આડા બાંધી દેવામાં આવ્યાં છે વચ્ચેનાં ભાગમાં ગારા- માટીને ચાંદીને પેક કરી દેવાય. એટલે તેની ચારે બાજુ દિવાલ થઈ જાય. છત ઉપર હવે પતરાં મુકાય છે. અન્યથા તે ઘાસ, પશુના ચામડાથી ઘરને ઢાંકી દેવામાં આવતું. અમે એક ગામડામાં  વાલ્કાનોઝ અભયારણ્યમાં જતાં એક ઘરની મુલાકાત લીધી.થોડા બટેટા પડેલાં, થોડું રાચરચીલું,વાસણ એક ચૂલો બસ પુરું. આ મકાન લગભગ ઢોળાવમાં હોય છે. જેથી પાણી આવે તો પણ તે ઘરમાં ટકી રહેતું નથી, કારણ કે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે.
            ખેતી ઢોળાવ ઉપર નાનકડાં સ્ટેપમાં થાય છે. જેમાં મકાઈ, જુવાર, કેળા, બટેટા વગેરેનો પાક લેવામાં આવે છે. ધાન્ય પાકો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.કેળા,બટેટા,શાકભાજીને નજીકનાં માર્કેટમાં વેચી નાખે છે. સાઈકલ પર આવી ચીજ-વસ્તુઓનો વહન કરતાં લોકોને અમે જોયાં. બળદ કે અન્ય કોઈ સાધનો આજે પણ ત્યાં ઉપયોગ થતો જણાયો નથી. એટલે તેની ખેતી આજે પણ પ્રાથમિક અવસ્થામાં છે તેમજ ગણાય. તેનું ઉત્પાદન ખૂબ મર્યાદિત હશે.ભણેલા,મજૂર લોકો નાના નગરોમાં કામ કરવા માટે પહોંચી જાય છે જંતુનાશક દવાઓ કે આધુનિક બિયારણોનો ઉપયોગ જોવા ન મળ્યો.
        જર્મન, ફ્રેન્ચ વગેરે યુરોપિયનોએ આ ખંડના વિવિધ ભાગો પર પોતાની સત્તા જમાવી હતી. કાળક્રમે આ સતાનુ તેમની એકબીજા વચ્ચે હસ્તાંતર પણ થતું રહ્યું .છતાં એમાંથી એક વાત નક્કી કે તેમનો ધર્મ ખ્રિસ્તી હતો. માટે સૌ કોઈને એમણે ખ્રિસ્તીઓના અનુયાયીઓ બનાવ્યાં. ત્યાંના લોકોના નામો પણ તેને મળતાં આવે છે. લગભગ તમામ ગામડાં કે કસ્બામાં થોડા અંતરે એક ચર્ચ જોવા મળે. તે આપણા મોટાં ગોડાઉન જેવાં હોય તેમાં લોકો રજાના દિવસે એકત્રિત થાય .ધાર્મિક પ્રવૃત્તિ ની સાથે-સાથે પોતાની સાંસ્કૃતિકતાની પણ મજા માણતાં હોયછે.ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધાઓ ખાસ ડોકા કાઢતી નથી.લગ્નોની પ્રથામાં સંપૂર્ણ લચીલાપણું,સ્વતંત્રતા છે. બધા પોતપોતાના તડાં કે ગોળમાં તેને ગોઠવે છે.પ્રતિકૂળતાઓમાં તે છુટાં પડે અને અન્યની સાથે પૂનઃલગ્નથી જોડાઈ જાય. યોગેશભાઈ જોશીના કહેવા મુજબ જાતીય સંબંધોમાં કોઈ ખાસ સીમારેખા નથી.સૌ પોતપોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકે છે .પરંતુ તેમાં કોઈ બળજબરી કે મજબૂરીને અવકાશ નથી. જો આવું થાય તો કાયદો પેશ આવે છે.
     તહેવારોમાં લોકો ઢોલ કૃત્ય,તૂમાર કૃત્ય કરે છે. પ્રજામાં ખાસ બીજા વ્યસનો નથી. પરંતુ એ પોતાની જાતે બનાવેલો દારૂ વધારે પ્રમાણમાં સેવન કરે છે. માટે તેમનું સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય વધારે નથી. પરિવાર નિયોજન નો વિચાર અહીં સુધી પહોંચ્યો નથી, દરેકના ઘરમાં વસ્તી ખાસ્સી છે.
             મોજ ,મસ્તી, મશગુલ થઈને કેવી રીતે જીવી શકાય તે તો‌ રવાન્ડિયનો પાસેથી જ શીખવું પડે.
 --તખુભાઈ સાંડસુર

Sunday, May 19, 2019

રવાન્ડા સફરનામા ૧

લેખમાળા --રવાન્ડા સફરનામા
-----------------------------------------------
એરાઇવલ એટ કિગાલી

--- તખુભાઈ સાંડસુર
બ્રહ્મમુહૂર્ત નો સમય ,સુરજદાદો આળસ મરડીને બેઠો થવાની વેતરણમાં છે.અમારું હવાઈ જહાજ લેન્ડ થઈ રહ્યું છે, તેવી જાહેરાત થઈ.જહાજની બારીમાંથી મેં નજર કરી, ટેકરીઓ દેખાઈ અને તેમાં અત્યંત સુંદર મજાની લાઈટો પણ જોઈ શકાઈ. રંગબેરંગી લાઇટો જોઈને મને થોડાં સમય પહેલા જોયેલાં હિમાલયના અલમોડા શહેરની સ્મૃતિ થઈ આવી. પરંતુ આ શહેર હતું આફ્રિકા ખંડના રવાન્ડા દેશનું કેપિટલ કિગાલી.
       અમારી એરબસ હવે સડસડાટ ભોભીંતર થવા નીચે સરકી રહી હતી. એરપોર્ટ નાનું છે, પરંતુ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગણાય.જોકે આ દેશમાં એકમાત્ર એરપોર્ટ છે માટે તે આંતરરાષ્ટ્રીય હોય,તે સ્વાભાવિક છે. કારણ કે આ દેશની સીમાઓ દોઢ સો ચોરસ કિલોમીટરથી વધુ ના હતી.અમારા વીઝા, ઇમિગ્રેશનનું કામ ખૂબ ઝડપથી પત્યું.અમને આવકારવા શ્રી હેતલભાઈ શાહ ત્યાં ઉપસ્થિત હતા. એ આયોજનના એક્કો છે,તે અનુભવ મને અબુધાબીમાં થયો હતો.
   બસની રાઈડ કરી અમે કિગાલી કન્વેશન સેન્ટરની બાજુમાં જ આવેલી પંચતારક હોટેલ રેડિસન બ્લૂ પહોંચ્યા. બેગેજ ઉતારીને થોડા હળવા થયા.ત્યાં કવિ મિત્ર હરદ્વાર ગોસ્વામીનો ભેટો થયો. અમારી રૂમ મેળવવાની વિધિ પૂર્ણ થઈ.મિત્રએ ચા-નાસ્તાનુ સરનામું દેખાડ્યું, તે માટે ગયા.અમદાવાદ થી દુબઇ અને દુબઈથી કિગાલીની આખી રાતની સફર, ઉજાગરો, થાક અહકનું કારણ હતું. રુમમાં આડે પડખે થઈ દિવસ પુરો કર્યો.
                        રવિવારે અમે કીગાલી શહેર માં ફરવા નીકળ્યા.હોટેલના રીસેપ્શનીસ્ટે ટેક્ષીવાળાને બોલાવી તો દીધો.પરંતુ એના ભાવતાલ વગેરે નક્કી કરવાનું ખૂબ અઘરું હતુ.કારણ કે અમે તેની ભાષા ન જાણીએ અને તે અમારી જાણે નહિ. પરંતુ હોટલના એક વેઈટરની મદદથી એ અમારી આવવા-જવાની ટૂરના 40 અમેરિકન ડોલર કહે છે એવું જાણ્યું.પણ પછીથી અમે તેને 30 ડોલરમાં નક્કી કર્યો. તે માની પણ ગયો એ અમારું રવાન્ડા દેશનું પહેલું વ્યવહાર વાણુ હતું.અહીં પણ ભાવતાલ કરવાની જરૂરિયાત લાગી. નહિતર છેતરાવાનો ભય અહીં પણ આગળ દોડતો જણાયો.
            બજાર લગભગ આપણી જેવી છે.આજે રવિવાર છે તેથી કોઈક દુકાન બંધ છે.નાના-મોટા થડા લઈને નાની નાની ચીજ-વસ્તુ વેચનારા હતા. અમે માત્ર લટાર મારી લગભગ તમામ ચીજ- વસ્તુઓનો ભાવ ભારતથી બે-ત્રણ ગણો વધુ જોવા મળ્યો. ત્યાંના ચલણને બદલવા અમને ટેક્સીવાળો દુકાનમાં લઈ ગયો,તે કરન્સી એક્સચેન્જની શોપ હતી.
            રસ્તા સુંદર મજાના છે, ડિવાઇડરમાં ફૂલ, અને નાળિયેરીના વૃક્ષો સુશોભિત લાગે છે.સ્વચ્છતા માટે આ શહેરને ભારતમાં ક્યાંય ન જોયેલા નગર તરીકે પ્રથમ ક્રમે મૂકવું પડે. પ્લાસ્ટિક કે કચરો ક્યાંય નથી. જો કે આખા દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે, એ બાબત આવકાર્ય છે. મોટર સાયકલ ધારકો માટે હેલ્મેટ ફરજીયાત છે.અહીં મોટરસાયકલ ટેક્સી પણ છે, કોઈપણ વ્યક્તિ રસ્તામાં કે પાર્કિંગમા ઉભેલા ચાલકની સાથે મોટર સાયકલનું ભાડું નિયત કરી જ્યાં જવું હોય ત્યાં તેની પાછળ બેસીને જઈ શકે છે. તેમની પાસે એક્સ્ટ્રા હેલમેટ હોય છે.તે તમને પહેરવા આપે છે. સ્ત્રી-પુરુષોના લિંગભેદ બહુ જોવા ન મળે‌.મોટાભાગના મોટરસાયકલ ચાલકો પુરુષો હતાં. પણ સ્ત્રીઓ તેની પાછળ સવારી કરતી જોવા મળે.મકાનો બહુમાળી છે, કેટલાક સિમેન્ટ કોન્ક્રીટના છે બાકીના ઘણાં બધાં મકાનોની છત પતરાની છે.તે એક મજલાના છે. હેન્ડીક્રાફ્ટ નું એક નાનકડું માર્કેટ જોયું, દોરા,કાપડમાંથી બનાવેલું કલાત્મક હેન્ડીક્રાફ્ટ છે .પરંતુ તે ખુબ મોંઘુ, છે બધા લટાર મારે ખરા પણ ખરીદવાનું ભાગ્યે જ પસંદ કરે.
                                          અમો એક દિવસના અંતરાલ પછી બધા કિગાલી શહેરની વિધિવત મુલાકાતે ગયા.ત્યારે સૌપ્રથમ સ્થળ હતું, જેનોસાઈડ મેમોરિયલ.જેનોસાઈડનો અર્થ છે,જાતિસંહાર. 1994માં અહીં થયેલો બર્બર જાતીસંહારની સ્મૃતિઓ આજે પણ રડતી સંભળાઈ રહી છે.આ એવું શહેર હતું જ્યાં અઢી લાખ લોકોની કતલ કરવામાં આવી હતી. તેના દ્રશ્યો ફોટોગ્રાફીમાં પણ કમકમા ઉપજાવે તેવા હતા. મોટા મોટા ઓટા જેવા સ્મૃતિ સ્મારકો બનાવેલા છે. બધા લોકો આવી પોતાના સ્વજનને યાદ કરી તેમના માટે ફૂલોની સુગંધ છોડતાં જાય છે. અને ઘડીભર પોતાની સ્મૃત્તિઓને વાગોળે છે.પુષ્પોની આવી ટોકરી લઈને આવેલી એક સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈને 25 વર્ષ પહેલાં બનેલી ઘટના હજુ ગઈકાલની હોય તેવી અનુભવાય.
                    આખો દેશ યુરોપના કબજામાં હતો. તેથી અહીં ખ્રિસ્તી ધર્મજ મહત્વનો હોય.જ્યારે ધર્મના નામે શૂન્યાવકાશ હતો ત્યારે યુરોપની પ્રજાએ  ત્યાં ખ્રિસ્તીધર્મના બીજ વાવ્યા. તેથી બધા લોકોનો ધર્મ ખ્રિસ્તી છે.હિન્દુ ધર્મનું આ 12 લાખની વસ્તીવાળા શહેરમાં આ એકમાત્ર મંદિર છે જેનું નામ છે સનાતન હિન્દુમંદિર. આ મંદિરમાં હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. સંભવતઃ પંદરેક દિવસે તમામ ભારતીયો આ સ્થળને 'ગેટ ટુ ગેધર' ના કાર્યક્રમ તરીકે પ્રયોજે છે. અમે આ મંદિરની મુલાકાતે ગયા. સરસ સભાખંડ,એવો જ બીજો હોલ જેમાં તમામ મૂર્તિઓ સ્થાપિત છે.
        કિગાલી શહેરમાં ફરતા ફરતા ગાઇડે પ્રેસિડેન્ટ હાઉસ, વિવિધ યુનિવર્સિટીઓ,સ્લમ્સ વિસ્તારો વગેરે પણ બતાવ્યા.તેમાં યુનિવર્સિટીઓ નાના મકાનોમાં ચાલતી હોવાથી આપણી કોલેજો પણ તેનાથી મોટી લાગે.ઝુપડપટ્ટીઓની સ્વચ્છતા આપણાં 'પોશ' વિસ્તારોને પાછળ છોડી દે તેવી છે.
   સિસ્ટમ અને શિસ્તથી ચાલતુ શહેર ૨૧મી સદીના ઔદ્યોગિક આભડછેટ વિહોણું,તંદુરસ્ત બાળક જેવું અનુભવવા મળ્યું.
  ----- તખુભાઈ સાંડસુર

Election results 2019

૨૩ મે:--એમ.પી. ટ્રેડિંગ ડે...!!!???

-- તખુભાઈ સાંડસુર

લોકસભા ચૂંટણીના પરિણામો બે ક્ષેત્રોને ઘણું કામ આપી રહ્યા છે."મામાનું ઘર કેટલે "ના અડસટ્ટા લગાવવા અખબારો, મીડિયા જગત ને ગલીપચી કરાવવાની મજા પડી ગઈ છે. સટોડિયાઓ પોતાના આંકડાઓની ભરમારથી સૌને એવા કઠોડે ચઢાવે છે કે વાત જવા દો .2014ની 16મી લોકસભા એનડીએના સાથી પક્ષો સહિતના ની બેઠકોની સંખ્યા 350થી વધુ હતી. માત્ર ભાજપ માટે આ મેજિકલ ફિગર 282નો હતો. જે સૌના ભવા ખેચવા નિમિત હતો.હવે અડસટ્ટા કે એનાલિસિસ માં ન પડીએ તો પણ એટલું પાકકુ છે કે 2014ની અને આ વખતની સ્થિતિ જરા બદલાયેલી તો છે જ. એટલે કે ભાજપાને આ આંકડાઓ જાળવી રાખવા માત્ર એક જ મુદ્દો હાવી દેખાઈ રહ્યો છે, તે છે સર્જીકલ સ્ટ્રાઈક, આતંકવાદીઓનો ખાત્મો.
   
         2014 અને 2019 માં એક સ્પષ્ટ ભેદ છે કે મોદીની ઈમેજ બિલ્ડીંગ ત્યારે દીપ-પ્રાગટ્ય હતું.મોદી માં અનેક લોકોએ નવા ભારતના, યુવા બેરોજગારના તારણહાર,  પડકારો અને સમસ્યાઓના સંહારક તરીકેના સ્વપ્નાઓ કંડાર્યા હતા.એટલે અણધાર્યો આત્મવિશ્વાસ જનતામાં ઉભો થયેલો દેખાયો હતો. 2019માં તેના સાથી પક્ષો તેલુગુ દેશમ 16 બેઠક, બીજુ જનતા દળ 20 બેઠક, તને એઆઈડીએમકે ૩૭ બેઠક પૈકીના મોટા આંકડાધારી પક્ષો આજે મોદીપક્ષમા નથી.કોંગ્રેસનો વાવટો 40- 45 સુધીમાં સંકેલાઈ ગયો હતો.આજે તેની પાસે ત્રણ રાજ્યોને સ્વતંત્ર સરકાર છે. કર્ણાટકમાં જેડીએસના ટેકાથી ચાલતી સરકાર છે.તેથી ત્યાં કોંગી પક્ષ પોતાનો દેખાવ કંગાળ કરે એવું લાગતું નથી.એમની પાસે હિન્દી બેલ્ટમાં યુપી-બિહારમાં વિરોધીઓ એકઠા થઈને ખાંડા ખખડાવે છે, એટલે ત્યા મત નુ ડિવિઝન આ વખતે શક્ય નથી. તેનો લાભ ભાજપને મળી શકે તેમ નથી. હવે જો લોકમિજાજ
બદલાયેલો હશે તો પરિણામો મોદી પ્રોજેક્ટેડ દેખાશે. તો તે 2014થી પણ આગળ નીકળી જાય એમ પણ બને.પરંતુ તમામ દિશાના પવનો મોદી ઈફકટેડ નથી પણ ડિફેક્ટેડ જરૂર છે. ત્યારે શું થશે.., તેવો સવાલ આમ આદમી માં ચકરાવા લઇ રહ્યો છે. મારા બુજર્ગ મિત્ર બાલાભાઈ કહે છે એ "ભાગ્યમાં હોય તો ભરાય નહિતર તો ધબોય નમઃ"

  જો ભાજપના સાથીઓ ઓ 225 -230 ના આંકડાથી આગળ ન નીકળે તો હંગ પાર્લામેન્ટ સર્જાય. તો શું થાય ......!??? પ્રાદેશિક તમામ પક્ષો એક એવા મુકામ પર છે કે મોદીનો તે કોઈ કાળે સપોર્ટ કરી શકે તેમ નથી,કારણ કે તેના વિરોધમાં જનાદેશ લઈને દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. હવે જો તે લોકેચ્છાને અવગણે તો પોતાનો જનાધાર ખોઈ દેવો પડે. જેથી તેને પોતાના રાજ્યની જાગીરી મેળવવામાં ય નાહી નાખવું પડે. માટે તે કોઈ પણ સંજોગોમાં મોદી સાથે જશે નહિ .તો શું થાય...!!? બીજુ જનતા દળ અને તેલંગણા માં ટી આર એસ માટે ભાજપામા સોફટલાઈન દેખાઈ રહી છે. તેથી તેની થોડી બેઠકો આવે ને તેનો ટેકો મળવાની સંભાવના છે .પછી ઘટતા સંસદસભ્યો મેળવવા દરેક રાજ્ય વીનેબીલીટી ધરાવતા એમપી નો સંપર્ક કરવામાં આવી રહ્યો હશે. છે.જેથી વિપક્ષના ૩૩ ટકા સભ્યોને અલગ કરી સ્પલિટ પાર્ટી તરીકે ભાજપ ટેકો મેળવી શકે.અથવા તે સાંસદોને એનકેન પ્રકારે લોકસભામાં બહુમતી મેળવતા સમયે ગેરહાજર રાખી શકાય. ભાજપા તેની આ રીતે લોકસભાના ફ્લોર પર બહુમતી પુરવાર કરવા પ્રયત્ન કરશે.
      ત્રિશંકુ સ્થિતિ ખાસ કરીને સાંસદો માટે ધર્મસંકટ સર્જી શકે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ ભારતીય રાજનીતિ એ સારી રીતે જોઈ છે.તેનું પુનરાવર્તન કરશે કે કેમ તે તો સમય બતાવે .નાના પક્ષો એ તેના સાંસદોને અકબંધ રાખવા ખુબ મથામણ કરવી પડશે તેના શિરોધાર્ય નેતાઓ અત્યારથી કેટલીક સૌને "મોપાટ "'લેવડાવી રહ્યા છે .આવવા દો 23 મે ને જોઈએ શું થાય છે?

 ---------:::તખુભાઈ સાંડસુર

Tuesday, May 7, 2019

My interview on Rwanda

મોરારીબાપુ :
વૈશ્વિક સંસ્કૃતિ આદાન પ્રદાનના જ્યોતિર્ધર

તખુભાઈ સાંડસુરનું રવાન્ડા સફરનામા :
ધીમંત પુરોહિત સાથે

      ----ધીમંત પુરોહિત

**ધીમંત પુરોહિત ---તખુભાઈ, રવાન્ડા સફરનું પ્રયોજન શું?  તે કેવી રીતે પાર પાડ્યું?

**તખુભાઈ-----રવાન્ડા પૂર્વ આફ્રિકાના કોંગો ,યુગાન્ડા, ટાન્ઝાનિયા, બરૂન્ડી ,કેન્યા સહિતના દેશો પૈકીનો એક નાનકડો દેશ છે.અહીં જવાનું 'અસંભવામિ યુગે યુગે 'જેવું ગણાય. કારણ કે, ત્યાં આપણો  તંતું કે સેતુ સાવ પાતળો લેખાય. પ્રવાસન સ્થળ તરીકે તે ખ્યાત નથી. પરંતુ મોરારીબાપુની ત્યાં રામકથાનું આયોજન, તેમાં મને નિમંત્રણ મળવું. બાપુ ગુજરાતના સાક્ષરો ,સર્જકો, લોક કલાકારો , નવોદિતો અને ઉપેક્ષિતોને વિશ્વના અન્ય પ્રદેશોનો પરિચય કરાવવા પ્રવાસમાં જોડે છે. એવું કહેવાય. પૂ. બાપુ વૈશ્વિક સંસ્કૃતિનાં આદાનપ્રદાનના જ્યોતિર્ધર છે. તે સમાંતર સરકાર જેવું કાર્ય કરી રહ્યા છે. સરકાર જે કોઈપણ બે દેશના સાંસ્કૃત્તિક ,ભૌગોલિક પરિચય માટે સૌને જોડી શકે. પૂ.બાપુના આ કાર્ય માટે લખવા પાના ઓછાં પડે, પણ કવિવર રવિન્દ્રનાથ ઠાકુરના  શબ્દોમાં આટલું કહી શકાય :
"જયારે દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઇ,
ત્યારે આભની વીજે તું સળગી જઇને,
સૌ નો દીવો એકલો થાને રે."
વધુ ઉમેરું ;
भारतवर्ष का वह अकेला फकिर है जिसके जोले में सत्य ,प्रेम ,करुणा का प्रसाद है।जो चाहे, जितना चाहे पा सकता है। 
કહું ,બાપુની કરુણા જ અમને અહીં સુધી પહોંચાડી લાવી.

 **ધીમંત પુરોહિત ---આફ્રિકાખંડના રવાન્ડાની ધરતી પર પગ મુકતા તમને કેવો અનુભવ થયો?

** તખુભાઈ--અમે દુબઈના ત્રણ- ચાર કલાકના રોકાણ પછી હવાઈજહાજ બદલી શનિવારે તેના કેપિટલ કિગાલીમાં ઉતર્યાં. ત્યારે તારીખ હતી ૨૦ એપ્રિલ ૨૦૧૯.પહેલી નજરે લીલોતરી જોઈને આંખો ઠરી ગઈ.સૌરાષ્ટ્રના સુકા ભઠ્ઠ જેવા પ્રદેશમાંથી ચોમેર લીલીધરા...અમારા નિવાસનો હોટલ સ્ટાફ, રસ્તા પર અવરજવર કરતાં રાહદારીઓ ,બધાંના ચહેરામાં એક નિર્દોષતા સતત ડોકાતી હતી. અડદમાં ઓગળી જાય તેવો રંગ ભલે હોય ,પણ તેનાં હૃદયની કુમાશ ગુલાબની મખમલી પાંદડીઓથી જરાય ઓછી ન હતી. લગભગ તમામનાં ભાવજગતમાં એક ગ્લાની,માયુષી હોવાનો સતત અહેસાસ થતો હતો. મને તો આ ઇતિહાસની બહુ વિશેષ જાણકારી ન હતી. પણ પાછળથી એક મહાભયાનક પાનું ઊંચકાયું, જેણે સૌને દંગ કરી દીધાં. તે હતો દસલાખથી વધુ લોકોનો સને ૧૯૯૪નો જાતિસંહાર.જેનોસાઈડ મેમોરિયલ પર પોતાના આપ્તજનો માટે આંખોની અશ્રુધારા લુંછતી એક સ્ત્રીને જોઈ હું પણ મારી આંખોની નમીને રોકી ન શક્યો. આંસુ કોઈ ભાષા કે પ્રદેશનો ઈજારો નથી, તે વિદિત છે.

 **ધીમંત પુરોહિત---હા, રવાંડાનો જેનોસાઇડ નરસંહારની વાસ્તવિકતા તમારા મતે શું છે ? સાંપ્રત સ્થિતિનો કેવો અનુભવ?
**તખુભાઈ--અમારા ઉતારાનું કિગાલી શહેર ૧૨ લાખની વસ્તીનું તથા રવાન્ડા આખા દેશની વસ્તી ૧.૨૦ કરોડ છે. સૌરાષ્ટ્રથી પણ નાનું ગણી લો .અહીં તુત્સિ,ત્વા અને હૂતુ આદિવાસીઓની વસ્તી છે.સને ૧૯૬૨માં આઝાદી મળી પછી બહુમત હુતુ લોકો સત્તામાં હતા. તુત્સી જાતિની લઘુમતી હોવા છતાં તેને સતત આથી અકળામણ થતી હતી. હૂતુ અને તુત્સિ જાતિઓ વચ્ચે સને ૧૯૯૦ પછી નાની-મોટી હિંસક અથડામણો થયા કરતી હતી. પરંતુ ૬ એપ્રિલ ૧૯૯૪ ના રોજ હૂતુ જાતિના રંવાડી પ્રમુખ હિબોઅરીનામા અને  પાડોશી દેશ બરુન્ડીના પ્રમુખ સિપ્રેન જ્યારે કિગાલી એરપોર્ટ પર હવાઈજહાજમા બોડૅ થતા હતાં. ત્યારે તેના પ્લેનને રોકેટથી ઉડાવી દેવામા આવ્યું. બંને પ્રમુખોની હત્યાથી ભડકેલી હુતુ જાતિના લોકોએ ચોમેર તુત્સિ જાતિના લોકોની કત્લેઆમ શરૂ કરી. ત્યાંનું એક 'થામ્બા'નામનું હથિયાર  જે ધારિયાં જેવું ગણાય તેનાથી લગભગ બધાંનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી. એકલા કિગાલી શહેરમાં જ ૨-૫ લાખ લોકોની હત્યા થઈ.  સો દિવસમાં રવાન્ડામાં કુલ ૧૦ લાખ તુત્સિ અને બે લાખથી વધુ હૂતુ, મળીને૧૨ લાખ લોકોનો સંહાર થયો. આવી બેરહમીથી થયેલી કત્લેઆમ માનવ તરીકેની ઓળખને ભુલાવી દેનારી હતી. જોકે આજે હવે આ આઘાતમાંથી ત્યાંની પ્રજા બહાર આવી ગઈ છે. કોઇને તેની જાતિ પૂછવાની અહીં મનાઈ છે. જાતિનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેઓ હવે રવાન્ડિયન તરીકે પોતાની જાતને ઓળખે છે .ટુરની બસમાં મારી સાથેના ગાઈડને જ્યારે મેં જાતિ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે મિહિર સોની નામના ગુજરાતી યુવાને મને રોકીને પુનઃ કોઈની જાતિ નહિ પૂછવા મને ચેતવ્યો હતો. અને પેલા ગાઈડનો જવાબ હતો, 'આઈ એમ રવાન્ડિયન.'

 **ધીમંત પુરોહિત--આફ્રિકા જંગલો માટે જાણીતું છે તમારો એ શો રોમાંચક અનુભવ?
**તખુભાઈ --હા ,આફ્રિકાનો મધ્યભાગ વિષુવવૃત્તિય છે, તેથી આ પ્રદેશ વરસાદ, પ્રાકૃતિક વૈભવનો રાજા છે. અહીં ત્રણેક જેટલા નેશનલ પાર્ક છે. તે પૈકીના પશ્ચિમ ભાગમાં આવેલું એકેગેરા અને પૂર્વમાં આવેલું વાંલ્કાનોઝ નેશનલ પાર્કની મુલાકાત લેવાનું શક્ય બન્યું. એકેગેરા ટાન્ઝાનિયાની સરહદ ઉપર આવેલું, એહેમા તળાવનું રુપ છોગું ધરાવતું માણવા જેવું જંગલ છે. અમને મહાલતા હાથીઓ,એહેમા તળાવમાં જબોળાતો હિપોપોટેમસ, ઘાસિયા મેદાનોમાં તબડાટી કરતાં ઝીબ્રા અને લાંબી ગ્રિવાધારી જિરાફને નજીકથી જોવાનો રોમાંચક અનુભવ થયો. પક્ષીઓની સંખ્યા એમાં માતબર જોવા ન મળી. માંસાહારી પ્રજાની તે તૃપ્તિ બની ગયાનું લાગ્યું. આવી જ બીજી સવાર વાલ્કાનોઝ ના ગોરીલા નેશનલ પાર્કમાં ઉઘાડ પામી .બે-ત્રણ ફૂટના અંતરેથી તસવીરો ખેંચી ને સ્પર્શ કરી લેવા જેવી બીના રોમટા બેઠાં કરે તેવી હતી. અદ્ભુત.. અદ્ભુત..

 **ધીમંત પુરોહિત-- --રવાન્ડિયન અને ભારતીય લોકજીવનમાં આપને શું તફાવત જોવા મળ્યો? તે ફેરફારોને કઈ રીતે આલેખી શકાય?
**તખુભાઈ----રવાન્ડી રંગે કાળા છે. દસ હજારમાંથી કોઈ એકાદ વ્યક્તિ તમને આછું કાળું જોવા મળે. તમામ લોકો માંસાહારી, ખડતલ છે. ગરીબીનું પ્રમાણ ગ્રામપ્રદેશમાં વધુ છે. ગામડાંનાં નામો ઘણીવાર અટપટા છે. જેમકે સેન્ડુઝ,તુનુધેસ જે યાદ રાખવા પણ મુશ્કેલ હોય. તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેથી તેનાં નામો તેને લગતાં જ હોય છે. જેમ કે; વિલિયમ, એલન ,એમીના, મેરી, ટ્વીંકલ, એન્ટી વગેરે. શરીરમાં ખૂબ તાકાત હોવાં છતાં અંદરથી કોઈ મોટા શોકમાં ડૂબેલા,ભાગ્યે જ હસતાં- સ્મિત રેલાવતાં તેઓ જોવાં મળ્યાં. બધાં હવે કોઈ જાતિના નામને બદલે રવાન્ડી તરીકે ઓળખાય છે. કોફી ,જુવાર, મકાઈ, કેળાંની ખેતી કરે છે. મોટાભાગનો માલ- સામાન સાયકલમાં હેરફેર કરે છે. પર્વતમાળાઓમાં નાના ખેતરો બનાવીને બધાં ત્યાં જ ખેતરના છેડે ઝૂંપડું બનાવીને રહે છે. મોટેભાગે મકાનની છત પતરાની હોય છે, વાંસ અને માટીમાંથી ઝૂંપડું બનાવે છે. પહેરવેશમાં ભારતીયથી હવે જુદાં નથી.

**ધીમંત પુરોહિત --રાજનીતિ અને વહીવટી બાબતોમાં  તે દેશ કઈ રીતે જુદો પડે છે?
**તખુભાઈ------ રવાન્ડિયન પેટ્રીયેટ ફ્રન્ટના પોલ કગામે ૧૯૯૪થી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાતા આવે છે. વિરોધ પક્ષ નહિવત છે .૯૯ ટકા લોકો તેના પક્ષમાં જ છે. તેના વિરુદ્ધ કોઇ વાત થઇ શકતી નથી મોટેભાગે તે સરમુખત્યાર જ પરોક્ષ રીતે ગણાય. દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. તે તુત્સિ જાતિના છે. ૧૯૯૪ના બળવા પછી તેના પક્ષે પાટનગર કિગાલી પર કબજો કરી લીધો. કાયદાઓ ખૂબ કડક છે, જે તેને તોડે તેને તરત સજા મળે. ઝિબ્રા ક્રોસિંગ સિવાય કોઈ રોડ ક્રોસ કરવાની પણ હિંમત કરતું નથી. તે મેં નજરે જોયું. હત્યા કે બળાત્કાર જેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. કારણકે તે આરોપીને જીવતો રાખે છે કે નહીં એ ત્યાંના લોકો સંદેહ વ્યક્ત કરે છે..! સ્થાનિક ગૃહસ્થ વાય.પી. જોશીએ કહ્યું "અહીં પ્રીપેડ ઇલેક્ટ્રિસિટી છે. ટેક્સ પણ બધાએ સમયસર ભરવો પડે છે. એરાઈવલ વીઝા છે. હવે ઇસ્ટ આફ્રિકાના બધા દેશોનો એક કોમન પાસપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.જેથી એકબીજા દેશો વચ્ચે સરળતાથી આવ-જા કરી શકાય. અહીં સમુદ્ર કિનારો નથી. જેથી બધો માલ સામાન ટાન્ઝાનિયાના દારે સલામ બંદરથી આવ-જા કરે છે .તેથી બધી વસ્તુ થોડી મોંઘી હોય. ભારતના એક રૂપિયા સામે ત્યાનુ ચલણ રવાન્ડિયન ફ્રાન્કનો ભાવ દસ રૂપિયા છે એટલે કે ભારતીય ૧૦ રૂપિયાના ૧૦૦ રવાન્ડિયન ફ્રાન્ક આવે. મોંઘવારી ઘણી છે એક ચાના કપ નો ભાવ બે‌ હજાર ફ્રાન્ક છે. અહીં મોટરસાયકલ ટેક્સી છે, એટલે કે તમે કોઈપણ મોટર સાયકલ રીક્ષાની જેમ ભાડે કરી શકો છો. ટેક્સી ધારક પાસે હેલ્મેટ પણ હોય છે, જે તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી હેલ્મેટ પૂરો પાડે છે. લિગંભેદ ઓછો છે તેથી પુરુષ મોટરસાયકલ ચાલક પાછળ સ્ત્રીઓ ફરતી જોવા મળી.

**ધીમંત પુરોહિત -----એવી કોઈ ઘટના જે તમને હંમેશા યાદ રહી જશે.?
 **તખુભાઈ-----હા,વાત એ હતી કે રવાન્ડાનું મુખ્ય આકર્ષણ ગોરીલા દર્શન, ટ્રેકિંગ હતું .પરંતુ આ પાર્કની પરમિટ ફી રૂપિયા ૧૫૦૦ અમેરિકન ડોલર હતા. એટલે કે તે ભારતીય ચલણમાં રૂપિયા ૧ લાખથી વધુ થાય .જે ચૂકવી શકવા અમે સક્ષમ નહોતા. અમે ત્યાની સરકારના એક મંત્રી ગાત્રેજી સાથે આપસ- આપસમાં પરિચય કેળવ્યો હતો. તેમણે ટુરીઝમ ડેવલોપમેન્ટ સાથે સર્જકો, સાક્ષરો, પત્રકારોને સરકાર મંજૂરી આપે છે એમ જણાવ્યું. અમે ત્યાંની સરકાર સાથે, તેના પ્રવાસન વિભાગ સાથે પત્ર વ્યવહાર કર્યો, વિનંતી કરી. જેથી એની પારદર્શકતા, તુમારનિકાલ નીતિઓથી અમો ચાર મિત્રો મારા સહિત જિતુભાઈ જોશી,મુકેશ પંડિત, મનોજ જોશીને ૨૭-૪-૧૯ ના  રોજ વાલ્કાનોઝ નેશનલ પાર્કની ગોરીલા ટ્રેકિંગમાં જવા માટેની કોમ્પ્લીમેન્ટરી પરમિશન ગ્રાંટ થઈ. તેનો લેટર ઇમેલથી અમોને મોકલવામાં આવ્યો. અમો તેનાથી ખૂબ રોમાંચિત, પ્રભાવિત થયા. સવારે ત્યાંની સરકારી ગાડીમાં સવાર થઈ વાલ્કાનોઝ નેશનલ પાર્ક જોઈ શક્યા.એટલું નહિ ૨૨ વર્ષના સિલ્વરબેક કેવાય એવા ગોરીલાની પીઠ ઉપર હાથ અડાડવા જેવો અનુભવ યાદગાર બની રહ્યો.
 ** ધીમંત પુરોહિત- --તમારા સફરનામાના અકૅ તરીકે કંઈ કહેવું હોય તો શું કહો?
 **તખુભાઈ ---પુ.મોરારીબાપુના શબ્દોમાં જ કહું. ; 
" બાપ ,આનંદ હી આનંદ..."

 (તખુભાઈ ઈમેલ-bapusaheb1961@gmail.com)

Monday, April 8, 2019

અજનબી લેખ

અજનબી થી અજાયબીની સફર.

--તખુભાઈ સાંડસુર

માનવ પદ-પ્રતિષ્ઠા અને પૈસા માટે ખપી જતો સૌએ અનુભવ્યો છે. અરે ,કલૌયુગે આ  માત્રામા વાયરસ ફેલાતી અને ફૂંકાતી રહી છે . પરંતુ આખરે અને અંતે શુ ??! પ્રતિષ્ઠાનો અનુબંધ ઓળખ સાથે છે, પણ ઓળખ આફત બની શકે છે .આફતના ગર્ભમાં ઓળખ છે .આપત્તિનો પાયો ઓળખીતા જ નાખે છે. જ્યાં તમારી અજાણતા છે ત્યાં શૂન્યાવકાશ છે. નિજાનંદ ની પાક્કી અનુભૂતિ છે. સમજણ નું આગમન અજનબી થવામાં આડખીલીરૂપ છે. જ્યાં સુધી સમજયાત્રા શરૂ થઇ નથી. ત્યાં તેના અંત નો સવાલ રહેતો નથી .પછી દુઃખ કે સંવેદના ક્યાં હોય ?

       કોઈ જંગલમાં સ્થિતપ્રજ્ઞ, બુદ્ધ પુરુષ કે સાધક રીતરસમો,ગોકીરાથી 'અનટચ' છે ,તેને આપત્તિ આડશ ન બની શકે .તે 'સ્વ'માં ઉતરી ગયો છે. ખુદને પામી ગયો ,ઓળખી ગયો  છે.ઓશો આ સત્ય અંગે કહે છે
"જે વ્યક્તિ નિતાંત એકલો રહે છે કે જાતને રાખે છે તે જ ખરા 'સ્વ'ની ઓળખ કરી શકે."
      બુદ્ધની ઘટનામાં તેમને જ્યારે પેલો ખેડૂત પૂછે છે કે મારા બળદ ક્યાં ? ત્યારે બુદ્ધ તો પોતાની જાતને પણ ભૂલી ગયા હતા. અજનબી થઈને અજાયબીમાં બદલાઈ ગયા હતા .બળદ ,ખેડુત ,જગત બધાથી સાવ જ  અજાણ ..!! બળદના બદલામાં બુદ્ધના કાનમાં ભોંકાયેલા શૂળ પણ તેના પરમાનંદને બગાડી શક્યા નહોતા ..! છે ને કેવું તથ્ય ? કોઈ શિશુ ને પોતાના શરીર ની સમજ નથી. તેથી તે ગમે તેમ વર્તે તો દુઃખ અનુભવતો નથી . પછી ભલે તે નિર્વસ્ત્ર પણ કેમ ન હોય ?  સામેવાળા કે જેના ખંધોલે ઝડતાની નાગ કન્યા તેના શરીરમાં ઘર કરી ગઈ છે. તે ક્યાંક પીડીત હશે .પણ બાળકના નીજાનંદનું સ્મિત ક્યારેય મૂરજાતું નથી .તે ત્યારે ઈશ્વરાનુભુત થઈ ગયો છે . અજનબીપણું નિર્દોષતાના કમળ સાથે સંકળાયેલું ઝાકળબિંદુ છે.
         કમ્પ્યુટર કે ડિજિટલ સિસ્ટમમાં ડીલિટેડ વ્યવસ્થાને સલામ કરવી પડે .તે આખા પ્રોગ્રામ ને ખાલી કરતા કેવું હળવું થઈ જાય છે,તેની ચાલમાં પણ ઉમેરો થાય .તમારી આવી ટેવ સૌષ્ઠવ કે સંવર્ધનમાં પૂરક બની રહે છે.યોગ ,ધ્યાન આ  જ દિશાનો મહાભિયોગ છે.શૂન્યતાના પ્રદેશમાં શરીર, મનને લઈ જતા તમે સંપૂર્ણ ખાલી થઈ પુનઃરીચાજૅ થાવ છો .આપણા ઋષિમુનિઓ ,સંતોની ભુમીકા ત્યા સમષ્ટિમાં પોતે અને પોતાના સમગ્રત્વ રહ્યું હોય છે માટે તેના આયુની ય ધારણા  ન થઈ શકે .આજે પણ એવા અવધૂતોની પ્રસતુતાની અનુભૂતિ કેટલા સ્થળોમાં થયા કર્યાની વાત વહેતી રહી છે.
           મનો જગતમાંથી બધું ખાલી કરવાની ચેષ્ટા અજનબી થવાનો એક ભાગ છે .વ્યક્તિના ગમા- અણગમાઓના ભૂલવાની કે દફનાવવાની એબિલિટી દરેકની પાસે નથી .તેની કેળવણી અધ્યાત્મ ,શ્રદ્ધા કે ધાર્મિકતા જ આપી શકે. સાંપ્રત યુગ માહિતીક્રાંતિ કે મેસેજક્રાંતિ તરીકે નામકરણ કરીએ તો જો તમે ખાલી થવાની કસરત ન કરો તો માનસિકતાના ગંભીર કે ગહન પરિણામો તમારા બારણે ટકોરા પાડતા રહે!!!?
     અજનબીનો ખાલીપો પોતાના ધ્યેય સુધી પહોંચવામાં સફળ અને ઝડપી છે. આ શૂન્યાવકાશ તેને ડૂબાડતો નથી ,પરંતુ તારે છે .તુલસીદાસનું પોતાની પત્ની રત્નાવલીને મળવાની તાલાવેલી કે તબડપાટી સુખની અઢાર સેલ્સિયસ શીતળતાનો ભાગ જ હતી.  માટે એ દૈવી સ્વરૂપા રત્નાવલી ના શબ્દો તેને ભોગ માંથી યોગ તરફ અને કામ થી રામ તરફ દોરી ગયા. સંતત્વનુ પગરણ કે પરાકાષ્ઠા જે ગણવુ હોય પણ હતું તે બીજરુપ.
         માનવ વિકૃતિઓ આપણી આસપાસ અગ્નિની જેમ પ્રજ્વલિત છે.આગિયાને જો સમજણ કે તર્કશક્તિ હોત તો !? બસ સૌ કોઈ માનવસહજ નબળાઈઓથી પોતાની જાતને 'સેઈફ 'કરતા રહે તો અજાયબી બનવું અ શક્ય નથી જ નથી !કામ-ક્રોધ-લોભ, દ્વેષ  તેના પ્રારંભિક કે અતિ મહત્વના તબક્કાઓ છે. પ્રયાસ જરૂર પ્રાપ્તિમાં પરિણમે છે.
                 છેલ્લે પલ્લવી મિશ્રાની થોડી લાઈનો કહેતો જાવ.
"અજનબી લગતી હૈ, કભી પહેચાની લગતી હૈ. જિંદગી મુજ કો તો અધુરી કહાની લગતી હૈ.
ખાલી હાથ આયે હૈ, ઓર જાના ખાલી હાથ,
 ફિર દોલત કે પીછે દુનિયા દિવાની લગતી "

     -- - તખુભાઈ સાંડસુર

Friday, March 29, 2019

શરમ --લેખ

શરમ:-- વિવેક ,વ્યવહાર અને વ્યવસ્થાનુ પોત
   
---તખુભાઈ સાંડસુર
   શરમ સ્ત્રીસૌંદર્ય નું સંગીન આભૂષણ ખરું પરંતુ તેને એમાં લપેટાયેલી રાખવી 'માઈક્રો વાયોલન્સ' ગણાય. શરમ નો પર્યાય લજ્જા છે.માટે તેને  લાજવંતી તરીકે નવાજીએ છીએ .સ્ત્રીનો આ ગુણ સર્વગુણ સંપન્નતા ના ગ્રાફને ઉપર લઈ જાય  છે .આ બાબત માત્ર સ્ત્રી જગતને લાગુ પડતી નથી. માનવના અધિકાધિક અપેક્ષિત ગુણોમાં શરમને સમાવિષ્ટ કરવાની વાત તેને શિષ્ટતા તરફ દોરી જવાનું મહાપ્રસ્થાન છે. તેને મર્યાદા, ભાર તરીકે પણ ઓળખવામાં આવે .આપણા વ્યવહારમાં પ્રયોગ કરતા કહીએ છીએ કે 'તેણે મારી પાસે આ માગણી મૂકી હું શરમ ના મૂકી શક્યો '.આ ચીજની વ્યાપકતા વ્યવસ્થા, વિવેક અને વ્યવહારના કોઈ બાકોરાં પડવા દેતી નથી. બધું સમુસુતરું રાખવા તેનું મહત્વ સબ્જીમાં સબરસ જેટલું છે .પરંતુ કેટલાક સામેનાની શરમ સામનામાં બદલાવા મજબુર કરે છે .ચલચિત્ર 'ચૌદવી કા ચાંદ'મા શકીલ બદાયૂનિની લખેલી પંક્તિઓ પણ આ જ વાત કરે છે .
 શર્મા કે યે ક્યો સબ પરદાનશીન આચંલ કો સંવારા કરતે હૈ,
 કુછ ઐસે નજર વાલે ભી હૈ ચુપચુપ કે નજારા કરતે હૈ"
                        વિવેકની જન્મદાત્રી શરમ છે. તે સમાજ વ્યવસ્થાને સંકલિત કરી ,જોડે છે .સ્ત્રીઓ'ને જ આ ચાબુકના દાયરામાં મૂકવાનું તેને અન્યાયના કીચડમાં ધકેલવા જેવું દુષ્ક્રત્ય છે .આપણી દૈહિક રચનામાં તેની અગ્રતા જરૂરી ગણાય. માતા જવાબદારીની અગ્રીમ હરોળમાં ભલે હોય, તે  ભણતર નું પહેલું પ્રકરણ છે. પણ સમયના વહેણોએ આપણી વૈચારિક નૈયા 'કહા સે કહા 'પહોંચાડી તેનો ખ્યાલ નથી રહ્યો .જ્યાંથી શિવાજી ,રાણા પ્રતાપનું અવતરણ સંભવ્યુ, ત્યાં આજે પશ્ચિમી ઢોળે કદરૂપા ચિત્રનું સર્જન કર્યું છે.આ અંધારું ત્યાથી ટસનું મસ થતું નથી ,બલ્કે તેની ગહનતા વધતી ચાલી છે. તાજેતરમાં મને ગૂગલે કહ્યું કે 'યુરોપની ઈયોન નામની નર્સે પોતાના ફેસબુકીયા, ટ્વિટરિયા સમંદરમાં 60 અર્ધનગ્ન ,સેકસી ફોટા તરતા મૂક્યા .દસ લાખ લોકો જાણે ટાંપીને બેઠા છે તેને દસ મિનિટમા આવી જબરજસ્ત હીન્ટ આપી ..! કેવાય ને ગજબ !' નફટાઈનો પાક લણનારા ની સંખ્યા વૈશ્વિક વસ્તી ની લગોલગ છે. આ બેશરમીનો તેને  તો કોઈ અફસોસ નથી ,પણ પારકુ દુઃખ વ્યાજે  લેનારા વલોવાયા કરે છે.
      ક્ષણિક વિચારો કે એકબીજાની શરમ ન હોય તો શું થાય ?? કુટુંબીક વ્યવસ્થા રાખ ,ભરોસો અને ભાવ ભૂક્કો, આર્થિક વ્યવહારો ઓગળી જાય. સંબંધોના સ્વસ્તિક છિન્ન, માનવ પોતાની ઓળખ ગુમાવી બેસે. તે તમામને જીવંત રાખનારું તત્વ શરમ છે. તેનો હિસ્સો અજોડ છે .સામાજિક ભયથી આખી વ્યવસ્થા ટકી રહે છે ,તેના પાયામાં છે શરમ. કોઈના લીધેલા નાણાં પરત કરવા ,સામાજિક રીતે સ્વીકૃત થવું, તેવા સંબંધો સ્થાપિત કરવા ,વિવેક પૂર્ણ વ્યવહાર અને વર્તન કરવું , બધું લજ્જાની બિહામણી રાક્ષસી થી અબુડ છે .તેથી' સોશિયલ જસ્ટિસ 'નુ સર્જન પણ આ જ રસ્તે થાય છે .મારા ગામના એક વેપારી કહેતા કે' મને નજીકના શહેર ના બીજો વેપારી દૂર હોવ ત્યાં બજારમાં મારાથી જોરથી બુમ પાડે , જે અન્ય વેપારીઓ સાંભળે તો તેને લાગે છે વેપારી પાસે તેનું લેણું હશે કે કેમ ?મેં તેને સાફ કહ્યું હતું  તું મને ચા પીવા સાદ પાડે છે પણ અન્યને શું સમજાય? મને આ રીતે ના બોલાવતો ! આ એક સામાજિક ભય છે.
          પાશ્ર્યાત્ય- ભારતીય વિચારધારાનો આ સંક્રાંતિકાળ છે.આ બદલાવનુ કંકુ -કેસર સ્વાગત કરવા જેવું જ ન હોય.જે અપ્રસ્તુત , વિઘાતક છે ત્યાંથી રિવર્સ થવાનો રીંગ ટોન વાગવો જોઈએ. જળકમળવત્ બનીને જે ઉત્તમ છે તે આપણું. પ્રતિકુળ છે તેને ત્યાં જ રહેવા દો .તેથી આપણી સાંસ્કૃતિક સભ્યતા બચી શકશે ,ગ્રહશાંતિ નો આ મહાયજ્ઞ લેખાશે. નવા આયામો સુધી જવાની જરૂર નહિ પડે. છેલ્લા પચાસ દસકાની વણથંભી સામાજિક પરીપાટીઓ હસતી ખીલતી રહેશે. સ્વતંત્રતા ,સાદગી ,ત્યાગ, જેવા સદગુણો ને કાંખમાં લઈને સૌ જીવતા શીખે. આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળભૂત પાયાના સિંચનમાં આંદોલનાત્મક રીતે જોતરાઈ જાય તો જરૂર પરિણામ સુધી પહોંચી શકાશે.
       -- તખુભાઈ સાંડસુર

Thursday, March 28, 2019

રાજનીતિ અને ગ્લેમરસ

રાજનીતિ અને ગ્લેમરસ :--ગરજાઉ કજોડું

--- તખુભાઈ સાંડસુર

રાજનીતિ સૌથી વધુ ગરજ ઓશીંગણ હેઠળ દબાયેલો પ્રદેશ છે .ગુજરાતી કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. રાજકારણમાં ગ્લેમરસ ને ચોગાનમાં મૂકવા પાછળ વર્ષોથી એક ચોક્કસ ફોર્મ્યુલા કામ કરી રહી છે .સાંપ્રત રાજનીતિ ના પ્રવાહોમાં સૌ જાણે છે કે પૈસા ,પ્રપંચને પોપ્યુલારિટી અહીં" સેલ "થાય છે ,મેનેજ થાય છે. આ સમીકરણ ફિલ્મ ,ટીવી ,નાટ્ય, લોકકલાના કલાકારોને ઘસડી લાવે છે .ક્રિકેટ કે સંગીત માં પોતાનું નામ બનાવનારને પણ સંજોગો આવી તક પૂરી પાડે છે. ટીવીની સ્ક્રીન 'ઓન 'થાય અને તેનો ચહેરો જોવાનો કે તેના અવાજને સાંભળવાનો ઓડકાર ન આવે તેવા એન્કર વધુ "એન્કેશ" થાય . જે એન્કેશ થાય તેને કેશ પણ વધુ મળે તે બટનેચરલ છે.
      ફિલ્મ કે ટીવીના નટ-નટીઓ ને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોય છતાં પણ તેને સંસદ કે ધારસભ્ય ની ટિકિટ શા માટે ?રાજકીય પક્ષો તેના ઘરના પગથિયે શા માટે ઓશિયાળા થઈ ઊભા રહે છે !?આપણે જાણીએ છીએ કે આવા નામો આપણી પાસે ઘણા છે. સ્મૃતિ ઇરાની ,હેમામાલિની, રાજેશ ખન્ના, શત્રુઘ્નસિંહા ,રાજબબ્બર ,જયાપ્રદા ,ઉર્મિલા માતોંડકર, સંજયદત્ત, પ્રિયા દત ,સુનિલ દત્ત, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન વગેરે વગેરે .રાજકીય પક્ષોના નેતાઓ ભાગ્યે જ એવા હોય છે કે તે આમ જનતાને આકર્ષી શકે .આઝાદીના સમયે ગાંધીજી, સરદાર જેવા અગ્રણીઓ ભલે તેના ફિગરથી પોપ્યુલર ન હોઈ શકે તો પણ તેના કાર્યો ,સિદ્ધાંતો સૌને પોતાના તરફ ખેંચી લાવતા હતા. તેવી તેનામાં તાકાત હતી .આજે આ ફિગરનો શૂન્યાવકાશ છે. તેથી રાજકીય પક્ષોને "ક્રાઉડ પુલર" પર્સનાલિટીનની સતત ગરજ રહેતી હોય છે.માટે ફિલ્મના કલાકારો નું નામ પડતા યુવાવર્ગના લોકો તેને જોવા દોડીને આવે છે .જેટલા લોકોની અપેક્ષા હોય તેનાથી પણ વધુ લોકો સભા કે રેલી માં ભેગા થઈ જતા હોય છે. તેટલી સંખ્યા એકત્રિત કરવા પૈસાનો પટારો ખોલવો પડે .તે કામ ઝીરો બેલેન્સ થી પતી જાય .માટે તે સભાઓ કે રેલીમાં જે નેતાઓને પોતાની ભાષામાં વાત કરવી હોય, પ્રચાર-પ્રસાર કરવો હોય,ત્યા આવા અભિનેત્રી અભિનેતાઓ   ખુબ ઉપયોગી સાબિત થાય છે. અનુભવે એવું પણ જાણવા મળ્યું છે કે તેમા અભિનેત્રીઓને વિશેષ અગ્રતા આપવામાં આવે છે. તે કલાકારો એવા હોય છે કે જે ફિલ્મ કે ટીવીની માર્કેટમાં "આઉટડેટેડ" થઇ ગયા હોય. તેમની પાસે મહત્વનું કામ કે જવાબદારી હોતી નથી .જેથી તે રાજનીતિમાં આવા મલાઈદાર પદો ,પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે દોડી આવે છે .તેથી એવું કહેવાય કે સિક્કાની બંને બાજુ સરખી છે. હા ,ક્યાંક અહીં અંડર ટેબલ એકબીજા વચ્ચે આર્થિક વ્યવહારો પણ થતા હોવાનો ગણગણાટ સંભળાયા કરે છે.  આ બંને એકબીજાની ગરજ સારે છે. ભાજપ ,કોંગ્રેસ કે સપા, બસપા જેવા પક્ષોમાં આ પાત્રોની આવનજાવન થતી રહે છે .જેમાં સ્ટારને ફાયદો એવો હોય છે કે તે જે બેઠક પર આંગળી મૂકે  ત્યાં તેની ટિકિટ કન્ફર્મ થઈ જાય .વીતેલા દિવસોમાં જયાપ્રદા અને ઉર્મિલા માંતોડકર ના કિસ્સામાં આવું જ થયું .જો કે પાથરણાં પાથરનારા કે નાસ્તો પીરસણિયા કાર્યકર્તાઓ આખી જિંદગી વેઠ કરતા રહે તોપણ તે  આવા કોઈ પદના સ્વપ્ને ય અધિકારી થતા નથી. તેને એક કરુણાંતિકા તરીકે લેખાવી શકાય.
     સંસદ કે ધારાસભામાં જનારા આવા તારકોને ક્યારેક દ્રાક્ષ ખાટી પણ થઈ જાય છે. અમિતાભ જેવા સ્ટાર કાયમ માટે મુઠ્ઠીવાળીને ભાગી જાય તેવું પણ બને !! સંસદમા મોકલાવામા આવતા આ કલાકારો પાસે હાજરી આપવાનો પણ સમય હોતો નથી. તે તેના વિસ્તારમાં પણ ચૂંટણી ટાણે જ દેખાય છે. કાયદો, વહીવટ જેવી બાબતોમાં આવા બિન અનુભવી હોય તેવા ચહેરા ઓ એક રીતે બોજ બની જાય છે. જે લોકશાહી વ્યવસ્થા માટે કલંક સમાન ગણાય.

              વિવેચકોનો મત એવો રહ્યો છે કે વ્યક્તિ ગમે તે ક્ષેત્રનો હોય પરંતુ તે જો લોકનેતા ન હોય, મતદારોની હાથવેતમાં કે સ્થાનિક ન હોય તો તે ચુંટાવા ન જોઈએ. તેની નામના જે ક્ષેત્રમાં હોય  ત્યાં તે કાર્યરત રહે તો તે બંને વિષયોને ન્યાય કરી શકશે .અન્યથા બંને ક્ષેત્રે રાતા પાણીએ રોવાનો વારો આવે . તે ના ઘરનો ન ઘાટનો રહે .ઈચ્છીએ કે રાજકીય પક્ષોને વાસ્તવિકતાનું ભાન કરવાનો સમય આવી ગયો છે.

 --તખુભાઈ સાંડસુર

Saturday, March 23, 2019

યુનો રિપોર્ટ લેખ

યૂનોનો માનવાધિકાર રિપોર્ટ:- ભારતને રેડ સિગ્નલ


----તખુભાઈ સાંડસુર

આંતરરાષ્ટ્રીય મંચ પર લગભગ તમામ દેશોની ગતિવિધિ પર વોચ રાખવામાં આવે છે. ત્યાની બદલાતી સામાજિક ,આર્થિક, રાજકીય સ્થિતિ ના સંદર્ભમાં તે આમ પ્રજાને કેવો અનુભવ થઈ રહ્યો છે. તેનું મૂલ્યાંકન કરીને એક રિપોર્ટ તૈયાર થાય છે. યુનોએ તેની રચના સાથે લગભગ માનવ અધિકારોના રક્ષણ માટે મક્કમતા દર્શાવી હતી પેરીસના એક સંમેલનમાં 10 ડિસેમ્બર 1948ના રોજ એક મુસદ્દો ઘડવામાં આવ્યો. તેના ભાગરૂપે તમામ સભ્ય દેશો માણસને માનવ તરીકેની તમામ સુવિધાઓ, સ્વતંત્રતાઓ આપે તે જરૂરી માનવામાં આવ્યું. જેમાં સ્વતંત્રતા, સમાનતા ,વિકાસની અભિવ્યક્તિ, વગેરે બાબતો મુખ્ય ગણાવામાં આવે છે. અભિવ્યક્તિ ,આઝાદી ,ન્યાય તે તેનો પોતાનો માનવસહજ અધિકાર છે .આર્થિક, રાજકીય, સામાજિક સમાનતા ને પણ યોગ્ય બળ મળે અને સૌને આગે કદમ કરવા સાદ પાડવામાં આવે. તેથી દર વર્ષે તેના સભ્ય દેશો માટેનો એક રિપોર્ટ પ્રકાશિત થાય છે .તેનું લાંબા સમય સુધી નકારાત્મક રીતે પેશ થવું તે જે તે દેશ માટે નુકશાનકારક માનવું રહ્યુ.

               માનવ અધિકાર સંગઠન ના ચેરમેન મિશ્ચેલ બેચલરે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં વિકસિત કે વિકાસશીલ તમામ દેશો યુવાઓ ,પછાતો વગેરેને પૂરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવતા નથી  તેઓને અધિકાર પણ મળતો નથી .જે લાંબા ગાળે અસંતોષ પેદા કરી શકે. યુવાવર્ગ જાણે મુખ્ય ધારાથી છૂટો પડી રહ્યો છે. ભારત માટે તેણે ઉમેર્યું કે ભારતમાં રાજકીય પરિપ્રેક્ષમાં બદલાયેલા સંજોગો થી દલિત-આદિવાસી ,લઘુમતી વગેરેનું શોષણ થયું છે. એટલું જ નહીં લઘુમતી સમાજ સામાજિક સમરસતા થી છુટો પડી રહ્યો છે. રાજકીય મનોકામનાઓ થી ઉભી થયેલી સ્થિતિ માટે નજીકમાં આવી વિભાજનકારી નીતિ આર્થિક મોરચે તેને તેની પ્રગતિ પર અસરકર્તા બને !એટલું જ નહીં તેનાથી સમગ્ર રાષ્ટ્રમાં અસંતોષ જોવા મળે .સને 2017માં ગૌહત્યાના મામલા પર ખૂબ ચર્ચા થઈ એટલું જ નહીં વિવિધ પ્રદેશોમાં અલ્પસંખ્યક લોકો પર હુમલા થયા. જેમાં તોફાનો પણ ફાટી નીકળ્યા .ત્યારે જ 642 પાનાના રિપોર્ટમાં હ્યુમન રાઈટ વોચના દક્ષિણ એશિયાના ડાયરેક્ટર મીનાક્ષી ગાંગુલીએ કહ્યું હતું કે ભારતના અધિકારીઓ જ સાબિત કરે છે કે લઘુમતી ની સુરક્ષા માટે તેઓ અસફળ છે.  સરકારે ત્યારે ગૌહત્યાના મામલે રાષ્ટ્રીય ઐક્ય ને વિપેક્ષિત કરતા તત્વો સામે કડક રીતે પેશ થવાની ઇચ્છા જાહેર કરવી પડી હતી .આ બાબતોને ગંભીરતાથી લેવા યુનો ચેતવે છે
   અહેવાલને લગભગ રૂટીન ગણીને ઘણા તેને હાસિયામા મૂકી દેતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર , વિશેષ કરીને વિકસિત દેશોમાં તેનું ખૂબ વજૂદ -મહત્વ છે વારંવાર અને દર વર્ષે તો આપણું રિપોર્ટ કાર્ડ નકારાત્મક કરવું પડે તો ભારતની હાલત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત નબળી તેથી તેની સીધી અસર દેશને મળતી આંતરરાષ્ટ્રીય આર્થિક મદદ પર થવા સંભવ છે આંતરરાષ્ટ્રીય બેંકે નાણાં ભંડોળ કે પછી વિકસિત દેશો જો આ સ્ત્રોતને અટકાવે વીમો પાડે તો ભારત ડામાડોળ થઈ શકે વૈશ્વિક વેપાર-વાણિજ્ય ઉદ્યોગ નવાગામ આવી તમામ બાબતો પર સીધી અસર કરતા છે તેથી સરકારે તેની સમય સૂચક રીતે જોઈને એક્શન લેવા જોઈએ
  લોકશાહીમાં ચૂંટણી જીતવી સહેલી છે .પરંતુ તેનાથી સામાજિક સમરસતા , માનવમૂલ્યો વગેરે પર થનારી વિઘાતક અસરો તરફથી ધ્યાન હટાવી શકાય નહીં .સામાજિક ઐકય,સમાનતા ચૂંટણીમાં ઝળહળતા વીજય થી વધુ મહત્વના છે . તેવી વાત જો રાજકીય પક્ષો સિદ્ધ કરે તો તે રાષ્ટ્રધર્મી છે તેવું સાબિત થાય.

     ---- તખુભાઈ સાંડસુર

લાજ લુણ ચિંતન લેખ

લાજ, લુણ ને રખાવટ  થયા અતિત...!
---તખુભાઈ સાંડસુર

 મારા ગામનો ટીંબો કાઠી દરબાર ખીમા સાંડસુરે બાંધ્યો હોવાનું અતિત આયનો જણાવે છે. દરબારી અમારા ગામની ડેલી જેને દરબારગઢની ઓળખ આપી શકાય તે 400 વર્ષથી અડીખમ યોદ્ધાની જેમ ઉભી છે .એક જમાનામાં ,આજથી માત્ર ચાલીશ-પચાસ વર્ષ પહેલા ડેલી પાસેથી  પસાર થનાર સૌ કોઈ પુરુષોએ માથે ફાળિયું કે પાઘડી બાંધવી પડતી. સ્ત્રીઓએ તેની લાજ, મર્યાદાઓ સાથે પસાર થવાનો એક વણલખ્યો નિયમ હતો.માથા પર ઓઢવું,શરીર ઢંકાઈ તેવાજ વસ્ત્રો,ધીમે પગલે ચાલવું આવું ઘણું બધું !ઇતિહાસ એ વાતની સાક્ષી છે કે પદ્માવતી ની માત્ર પાની જોવા માટે ખૂંખાર યુદ્ધ થયું. સ્ત્રીઓની આ મર્યાદાને હું બંધન માનતો નથી .જીવનમાં કોઈને કોઈ પ્રકારની શિસ્ત હોવી જોઈએ, તો જ જીવન યોગ્ય રફતારથી ચાલતું રહે. હા ,તેના અતિરેકથી ક્યાંક અઘટતુ થાય એવું પણ બને ! તે જમાનાના લોકો ભલે ઓછી સગવડતા ,સાધનો ની મર્યાદા ,ખૂબ પાંગળી સ્થિતિમાં જીવનારા હતા. પણ તેના દિલના ઓરડાઓ ખાલી નહોતા.! ત્યાં હતો ભર્યો ભાદર્યો પ્રેમ ,ત્યાં હતા રખાવટના ગોળના ગાડા ભરાય એવો ઝાઝેરો નાતો .
  રખાવટ અને ખાનદાનીનું ઉદાહરણ કુકાવાવ પરગણાનું જ છે કે ગોંડલ ના કુંવરે શિરામણના બદલામાં કુકાવાવ ની સોગાદ તે પટેલને ધરી દિધી. પછી પાછળથી ખબર પડી કે આ ગામ જેતપુર ના દરબાર જગા વાળાનુ છે.વાત જગાને કાને પડતાં ગોંડલ નરેશનું વચન મિથ્યા જવા ન દેવા તે પટેલને પાંચ સાતીની જમીન આપી. આ હતી ખાનદાની..!?

     દેવાયત પંડિતની આગમવાણી જાણે વાસ્તવિક દેખાય છે
"પોરો આવશે રે સંતો પાપનો ધરતી માંગશે ભોગ"
આજે તો જે સ્ત્રી ની પગની પાની જોવા માટે લોહીની નદીઓ વહેતી હતી . ત્યાં હવે મોહીનીઓ પોતે જ પોતાની "એબ"ની સી.ડી બનાવીને પૈસા માટે, પદ માટે બ્લેકમેલીંગ કરે છે.ચરીત્રની સરેઆમ લીલામી ! એવા અનેક કિસ્સાઓ નજર સામે તરવરે છે કે પોતાની નાની સરખી ભૂલ માટે એ સતીઓએ જીભ કચડી નાખ્યાના દાખલા છે ત્યારે આજે...? જેની તમે નાની સરખી સેવા લીધી હોય કે પછી કામ લીધું હોય તો તમે તેના ઋણી છો .આ લુણ નો ઘણી વખત જીવનભર બદલો ચૂકવી શકાતો નથી. અને જે લોકો બદલો ન ચૂકવી શકે. ઉપકારને બદલે અપકાર કરે તેને લૂણહરામી કહેવાય. ઇતિહાસ  સાક્ષી છે નાનું  સરખુ  લુણ ઉતારવા માટે જીવતર ઘસી નાખ્યું હોય! આજે તમે જેને મરતો બચાવો એ જ બહાર નીકળીને પહેલો તમને પુરો કરે !! લુણહરામિપણું આજે સ્માર્ટનેસમાં ગણાય છે .આજની પેઢી રખાવટ માટે જરાય દરકાર કરતી નથી એવા કિસ્સાઓ માધ્યમોમાં છપાય છે. મદદ માટે તમે લંબાવેલો હાથ  તમારા ખભામાથી ખેંચી લેનારા છે,તે પણ પારકાં નહીં પોતાના જ!  આજે કોઈપણ વ્યક્તિ ઉપર ભરોસો કરવો અઘરો છે. અઢારે વરણ 'એક તાસળીએ' હતાં. આજે એક જ 'માં 'ના કોઠામાંથી અવતરેલા પણ એક નથી !!. ગામડામાં નાનામાં નાનો માણસ પોતાના સારા-માઠા પ્રસંગોએ જતો હેબતમા આવતો નહોતો. આખું ગામ કહેતુ કે' મૂંઝાતો નહી અમે બેઠા છીએ'
      સમાજમાં એકબીજા ની વચ્ચે અવિશ્વાસની વધી રહેલી ખાઈ માટે આપણે જીવન પ્રણાલી જવાબદાર ઠેરવી શકાય.પશ્ચિમના  દેશોને તેની જીવન વ્યવસ્થા, ચરિત્ર માટે સૌ કોઈ એકી અવાજે કોશી રહ્યા છે .ત્યાં જઈને તપાસીએ તો આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે,શા માટે ?તેના પાયામાં છે તેમની શિક્ષણ વ્યવસ્થાની સુદિધૅ પ્રણાલી, ત્યાગ, બલિદાન અને મૂલ્યોની સતત ખેવના માત્ર વાતમાં નહીં આચારમાં ! પાઠયક્રમમા મુલ્યો, નૈતિકતા,સત્યને સો વલુ પ્રમુખસ્થાન મળવું જોઇએ.આપણી ઐતિહાસિક ધરોહરને દિન-બ-દિન જે રીતે આપણે દફન કરી રહ્યા છીએ તે ચિંતિત થવા જેવું છે. પોતાના શોખ  કે સગવડતા માટે અન્યોની સગવડતાને કે સાહ્યબીને ખુચવવાનો કયો અધિકાર! જીવન આચારનું કેન્દ્રબિંદુ બને .સૌ કોઈ વાત નહી અમલીકરણ માટે કૃતનિશ્ચયી થાય. સ્વાર્થ એ શોર્ટકટ છે તેથી તે ચિરંજીવી નથી. તેમાંથી નિષ્પન્ન અકસ્માત માત્ર જીવલેણ નથી. પણ ક્ષત-વિક્ષત કરવાની પૂરતી તકો આપનાર છે .તે વાત સૌ કોઈએ સ્વીકારવી પડશે. જીવનને પૈસા કે માત્ર સાધન નથી ,એક કલા છે. જીવી જાણીએ તો તે પુષ્પ થઈને મહેકતું રહે છે અન્યથા  કીચડની બદબો ખાબોચિયું થઈ પોતે બદબો બની રહે અને  અન્યની સુગંધ પણ  હણી લે છે.
     --- તખુભાઈ સાંડસુર

અસ્મિતા પર્વ ૨૦૧૯ લેખ

અસ્મિતાપર્વ ::મોરારીબાપુનુ સાંસ્કૃતિક અનુષ્ઠાન

-- તખુભાઈ સાંડસુર

 મોરારીબાપુ રામકથા ગાયનના શિરોમણી તરીકે જાણીતા છે જ. પરંતુ તેમના આંગણે છેલ્લા ૨૨ વર્ષથી યોજાતો રહેલો સંગીત-નૃત્ય, રંગમંચ અને સાહિત્યનો વૈચારિક ક્રાંતિ મેળો "અસ્મિતાપર્વ "થી તેઓ તેના સંરક્ષણ માટે અને તેની સ્વીકૃતિ માટે  દૈવીવાણીના રૂપમાં ઊભરી આવ્યા છે. બાપુના અનુષ્ઠાન માટે ભારતીય સાંસ્કૃતિક પરંપરા તેમની આજીવન ઋણી રહેશે તે કેહેવું અતિરેકપૂર્ણ નથી. કારણ કે બાપુએ એવા હજારો કલાકારો સાહિત્યકારો ને તળિયેથી ટોચ ઉપર પહોંચાડવા અહલ્યાસ્પર્શ પૂરો પાડ્યો છે. આપની આ મથામણને બેફામ ના શબ્દોમાં આ રીતે મૂકી શકાય.
"પરિશ્રમ નો પરસેવો સુકાવા નથી દેવો ,
દોડતા રહેવા દો નિરાતં નથી ગમતી મને"
 દર વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષમાં યોજાતુ આ મહાપર્વ પાંચ દિવસનું હોય છે .ક્યારેક તેમાં સમય ,સંજોગો અનુસાર વિશેષતઃ ફેરફાર પણ જોવા મળે. સવંત 2075 ના ચાલુ વર્ષે આ મહાઉત્સવ ચૈત્ર સુદ દશમી ,૧૫મી એપ્રિલથી શરૂ થનાર છે . તેનું સમાપન 19 એપ્રિલના રોજ થશે. દર વર્ષની પ્રણાલી અનુસાર ચાલુ વર્ષે પણ નટરાજ એવોર્ડ, હનુમંત એવોર્ડ તથા લલિત કલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ પણ હનુમાન જયંતીના દિવસે ચિત્રકુટધામ ,તલગાજરડા ખાતે એનાયત થશે. હનુમાનજી મહારાજ માટે "બુદ્ધિ મતામ્ વરિષ્ઠ મ્" એવું કહેવાયું છે માટે તેઓ તમામ બૌધિક આયામોના દ્યોતક અને સંરક્ષક તરીકે સ્વીકારાયા છે. તેથી જ આ દિવસે આ તમામ કલાકારોને અલંકૃત કરવાનો ઉપક્રમ યોજાતો રહ્યો છે.
       હનુમાનજી મહારાજ ની ભાવ વંદના નો42 મણકો અને અસ્મિતાપર્વનુ આ  22 મુ પૂષ્પ છે. પંદરમી તારીખે એટલે કે પ્રથમ દિવસે આ પર્વના પ્રારંભે ભારતના ખ્યાતનામ પત્રકાર ,ઈન્ડિયા ટીવીના એડિટર રજત શર્મા સાથે ગુજરાતી પત્રકાર સૌરભ શાહ નો સંવાદ થશે .પત્રકારની પત્રકાર સાથેની વાર્તા ખૂબ રસપ્રદ હોય છે. સાંપ્રત સમયમાં માધ્યમોની ભૂમિકા અને તેના પ્રચાર, પ્રસારણના નિર્ણયો, નિયમો વગેરે બાબતો વિશેષ ઉજાગર થશે. તેથી આ બેઠક ધ્યાનાકર્ષક બની રહે તેવી સંભાવના છે. પ્રથમ બેઠકનો સમય સાંજના ચાર કલાક નિયત થયેલો છે.

 દ્વિતીય દિવસ ની પ્રથમ બેઠક કવિકર્મ પ્રતિષ્ઠાની સંગોષ્ઠિની છે. જેમાં જવાહર બક્ષી ની કવિતા અને નીતિન વડગામાની કવિતા યાત્રા વિશે ની રજૂઆત ધ્વનિલ પારેખ, રાજેશ વ્યાસ કરશે .દ્વિતીય બેઠક કુળના મૂળની છે જેમાં લોકકૂળ,આદિવાસીકુળ તથા વિચરતી જાતિ કુળ,બધા કુળને કુલવંત કરવાની અભિવ્યક્તિ રમેશ મહેતા અને આશા ગોહિલ જેવા સર્જકોની રહેશે .જેમાં સંભવતઃ તે જાતિઓની પરંપરાઓ, રીતરિવાજો અને તેમાં આવેલા બદલાવો ની ચર્ચા મહત્વપૂર્ણ બની રહેવાનો વર્તારો છે. તૃતિય દિવસ એટલે કે ૧૭ એપ્રિલના અનુઆધુનિક સાહિત્ય સંગોષ્ઠી પ્રથમ બેઠકમાં રહેવાની છે .જેમાં કવિતા, ટૂંકી વાર્તા અને નાટક ના વિષયોના સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ, દર્શિની દાદાવાળા અને ભાવનગરના  ગુજરાતી ભવનના મહેન્દ્રસિંહ પરમાર  પોતાની વાતો ની રંગોળી ચિતરશે. આ બેઠકનું સંચાલન પ્રો. નીતિન વડગામા ને સોંપાયું છે. આજ દિવસની બીજી બેઠક ગુજરાતી- ભારતીય ચલચિત્ર ના નામે અંકાયેલી રહેશે .આમ તો ફિલ્મો વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. હા ,તેને માણીએ છીએ ,પરંતુ તેના ગર્ભમાં રહેલી ઘણી બધી વાતો આપણાથી અછૂત રહેતી હોય છે. જેને વૈવિધ્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવાનો આ પ્રયાસ ખૂબ નવીનતમ છે.  તેના વક્તાઓ તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ ,સલીલ દલાલ, અમૃત ગંગર ને પસંદ કરાયા છે. જે મોટાભાગના સિનેમાના પરદામા ઉંડા ઉતરી ગયેલા ચહેરાઓ છે. વિવિધ દૈનિકોમાં પોતાની સિનેમા કોલમોથી ખ્યાત છે. ભરત યાજ્ઞિક છે તો રેડિયો એન્કર ,પરંતુ સિનેમા ના અભ્યાસુ તરીકે અહીં તેની ઓળખ થઈ .તેમની પાસે આ બેઠકનું સંયોજન રહેશે. જેમાં સિનેમાનું કાવ્ય સંગીત તથા દિગ્દર્શન ની વાત મુખ્ય રહેશે.

                  ૧૮મી એપ્રિલ ની પ્રથમ બેઠક ભારત ના વીર જવાનો ના શરણે કરવામાં આવી છે તેમાં ભૂમિ ,વાયુ અને નૌકાદળના તમામ  મોરચાની કિલ્લેબંધી અને કયામત ની વાત પ્રસ્તુત થશે .ભારતની સૈન્ય, સરક્ષણ ની વાતો અત્યંત ગોપનીય હોય છે ત્યારે આ બેઠકના વક્તાઓ મેજર રણદીપ સિંઘ, એરમાશૅલ એચ.પી .સિંગ અને કમાન્ડર બક્ષી કેવી રજૂઆત કરે છે ?એવા ખૂબ દિલચસ્પ છે .સૌ જાણે છે કેટલીક વાતો જે  સૈન્યના ઓચિત્ય અને શિસ્તના દાયરામાં રહીને કરવાની હોય છે ત્યારે આ બેઠકમાં તેમની રજૂઆત અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની !!અહીં નવાઈ પમાડે તેવી વાત એ છે કે આર. જે. દેવકી ને આ બેઠકનું સંચાલન સુપ્રત થયું છે  જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે દેવકી સંરક્ષણની બાબતમાં પણ સાવૅભોમ અને સારુ  મહત્વ જ્ઞાન ધરાવે છે.તે તેની બહુમૂખી પ્રતિભાનો પરિચય છે. આજ દિવસની સાંજની બેઠક કાવ્યના નામે આલેખાયેલી છે .જેમાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવિયત્રી શ્રી ઓને કાવ્યપાઠ નો મંચ આપવામાં આવ્યો. ગોપાલી બુચ,પારુલ બારોટ અને રક્ષા શુક્લ જેવી જાણીતી કવિયત્રીઓના નામો અત્રે પ્રસ્તુત છે.
               રાત્રી બેઠકો સંગીત, રંગમંચ અને શાસ્ત્રીય નૃત્ય વગેરે માટે આયોજિત કરાયેલી છે. જેમાં હિન્દી સાહિત્યકાર દિનકરજીની કૃતિ 'રશ્મિરથી' ની નાટ્ય પ્રસ્તુતિ આ પ્રથમ દિવસે થશે.બીજા દિવસે રાત્રે બાંસુરી ને વીણાવાદન વિશ્વનાથ મોહન ભટ્ટ કરશે. ત્રીજા દિવસે શાસ્ત્રીય નૃત્ય, ગૌરી દિવાકર અને તૌફીક કુરેશી દ્વારા પ્રસ્તુત થશે અંતિમ બેઠકમાં કુચીપુડી નૃત્ય ગૌરીજી અને વૈકટેશકુમારની સંગીત પ્રસ્તુતિ થશે.
 અંતિમ દિવસ હનુમાન જયંતી વિવિધ એવોર્ડની અર્પણવિધિ તલગાજરડા ખાતે ચિત્રકૂટધામમાં યોજાતી રહી છે. 19 તારીખ નુ આ પર્વ કૈલાસ લલિતકલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ માટે ગુલામ મહમદ શેખ તથા અનંત વ્યાસ ની પસંદગી થઇ છે. જેમની ચિત્રકલા અને સંગીત સાધના ના ઉપલક્ષમાં આજીવન તેમની સેવા ને ધ્યાનમાં લેવામાં આવી છે. નટરાજ એવોર્ડ બળદેવ નાયક ,ભરત યાજ્ઞિક ,નીતિશ ભારદ્વાજ  જેવા મહાનુભાવોને એનાયત થશે .જે તેમની અભિનય સેવાઓને અંકિત કરીને પુરસ્કૃત  કરવામાં આવશે. હનુમંત એવોર્ડ માટે ઉસ્તાદ ટ્રાફિક કુરેશી , વિશ્વનાથ ભટ્ટ ,ડો.રાજા -રાધા રેડી, પંડિત વૈકટેશકુમાર ને  તેમની આજીવન સેવાઓ અનુક્રમે તબલા, મોહન વિણા, કુચીપુડી નૃત્ય અને કંઠ્યસંગીત માટે પસંદગી થઇ છે. તમામ પુરસ્કારોમાં સવા લાખ રૂપિયાની પ્રસાદ રાશિ ,સૂત્ર માલા અમે પ્રશસ્તી પત્ર અર્પણ થાય છે. કોઈ સાધુનો સમત્વ દેણગીમાં સમાહિત હોય તેવા અપવાદો ખૂબ ઓછા છે . પૂ.મોરારીબાપુ તેમા ઊંચા આસને બિરાજમાન છે,એ પણ એક વિરલ ઘટના છે.જોકે એવોડૅના કેટલાક નામો રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં મહત્વના હોય છે. તેથી ગુજરાત માટે તેઓ ઓછા જાણીતા હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમની સેવાઓ ને મહિમાવંત કરવા નો આ મંગળ અવસર દૂરગામી 'હનુમાન કૂદકા 'તરીકે આલેખી શકાય.
          પુ.  મોરારીબાપુ વિશ્વના ટોચના વક્તાઓ પૈકીના એક હોવા છતાં એક ઉત્તમ શ્રોતા તરીકે તેમની ભૂમિકા અહીંયા હંમેશા પસ્તુત, દૈદિપ્યમાન રહી છે .જે સમાજને ખૂબ મોટો સંદેશો પૂરો પાડતી રહી છે . બાપુ ના આ અનુષ્ઠાનને ભારતવર્ષ હંમેશા શત શત નમન કરતું રહેશે તે નિર્વિવાદ છે !!આ આખો કાર્યક્રમ આસ્થા ચેનલ ના માધ્યમથી સમગ્ર વિશ્વમાં પ્રસારિત થતો રહે છે.
       
   ---- -તખુભાઈ સાંડસુર

Sunday, March 10, 2019

Modi lekh

પીએમની પ્રવચન કલા :પ્રતિસ્પર્ધી પણ પાણી પાણી
 --- તખુભાઈ સાંડસુર
     ભારતીય રાજનીતિમાં નરેન્દ્ર મોદીના આગમન થી 'બોલે તેના બોર વેચાય' તે કહેવતની યથાર્થતા સાબિત થઈ. સતત મોદી સામે મોરચો ખોલવાની તક વિપક્ષોએ લેવા કોશિશ તો કરી પણ નિશાન ક્યારેય 'બુલ 'પર લાગ્યું નથી સને 2002, 2007, 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં અજેય રહેવું .નાની વાત ન હતી .અરે.. ત્યાર પછી તેનો 2014માં હાઈજમ્પ નવી દિલ્હીના તખ્ત સુધી દોરી ગયો .તેના કારણોનું 'ડિસેક્શન' કરવાનું કહેવામાં આવે તો તેના અનેક કારણોમાં એક કારણ છે મોદીજીની ભાષણ કળા ભાષણ શ્રોતાઓ ના  મનો જગતથી છાતીના મયુરોની યશકલગી બનવાનું સૌભાગ્ય સાંપડે છે. વ્યક્તિના વૈચારીક ભૂમિકાનો આબેહૂબ પરિચય તથા સપનાઓની પવનપાવડી માં ઉડી, ઉડીડા ને સૌ કોઈને નવી પરિકલ્પનાઓ આપી શકાય છે રાજનીતિનો એકકો ગણવામાં તેમનું પ્રવચન સતત હાથવગું  બનતું રહ્યું છે અને રહેશે.
         મોદીજી જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે તેનું સંબોધન લગભગ ટૂંકું હોય વધુ નામો લેવાનું ટાળે છે.જેથી કોઈ વિવાદ ન થાય પણ જ્યારે જરૂર હોય ત્યારે એક  એક ને વીણીને શોધી કાઢે દેશ તેવો વેશ મુજબ જ્યારે કોઇ ચૂંટણી સભા હોય તો તેમાંથી ત્યાંની સ્થાનિક નેતાગીરીને 'ફોકસ કરવામાં આવે. એવા માણસોનો ઉલ્લેખ કરી નાખે જ્યાંરે તે માણસ કાર્યકર્તા તરીકે ઓછું કાર્ય કરતો હોય અથવા ઘણું વધારે કરતો હોય જેથી તે દોડતો થાય કે તેના કાર્યમાં ગતિ આવે .સાધુ કે ધર્મગુરુને પૂરતું મહત્ત્વ આપે જેથી શ્રોતાઓ પર વધુ પ્રભાવક બની શકાય.
          પોતાની વાણીથી એક કેવો પ્રભાવ ઊભો થઈ ગયા પછી સમીયાણો લગભગ 'હિપ્નોટાઈઝ' થઈ જાય છે .ત્યારે પોતાના વિચારો કે નિર્ણયોના સમર્થન માટે શ્રોતાઓને પ્રતિભાવ માંગીને તેના અભિપ્રાય કે વિચારનું વજન છે. તેવી આભાસી જાદુઈ લાકડી ફેરવી દેવામાં આવે છે. સંબોધનમાં ભાઈઓ-બહેનો અથવા સાથીઓ તેવા શબ્દો વારંવાર ગુલદસ્તો થઈને જ ઉડતા રહે છે. તેથી શ્રોતાઓવચ્ચે સેતુબંધ રચાય છે. સભામા તમામ માણસો મોદીમા પોતાપણું અનુભવે છે .તેમના અવાજમાં એક મજબૂત લય છે તે કુદરતી દેન છે. તેથી તેમની વાત કઠિનતા, મજબૂતથી ઊતરતી અનુભવાઇ છે.
           
       ભાષણ ની મુખ્ય ખાસિયતો એવો હોય છે કે તે લગભગ બે હિસ્સામાં વહેચાયેલું હોય .પેલો ભાગ પોતાની સરકારની ઉપલબ્ધિઓ નું વિગતે વર્ણન કરવામાં આવે છે. જેમાં આંકડાઓ સહિતની વિગત આપવામાં આવે છે. શબ્દોની ગોઠવણ કવિતાનાશબ્દ પ્રાસ સરખી હોય છે .જેમકે અંબાજીથી ઉમરગામ સુધીના પ્રદેશ, નિયત અને નીતિ સાફ, ન દુઃખના હૈ ન ઝૂકના હૈ ,ભાષણ નો બીજો ભાગ એટ્રેક્ટિવ ને એટેકનો હોય છે. જેમાં વિપક્ષના સવાલોના જવાબો તેના આક્ષેપો નુ ખંડન અને તેની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નાર્થોની વણજાર બધું એટલું ઝડપે અને જુસ્સાથી રજૂ થાય છે કે કોઈ સચિન તેંડુલકર જેવો બેટ્સમેન્ જાણે એક ઓવરમાં છ યે છગ્ગા ફટકારતો હોય . આખું સ્ટેડિયમ તાળીઓથી ખીચોખીચ  છલકાઈ જાય ભાષણોનો અંતિમ તબક્કો, આત્મીયતાનો હોય છે જેમાં તે પ્રદેશ ,શહેર ,જ્ઞાતિ ,સમૂહ વગેરે સાથે પોતાની જાતને જોડવામાં આવે છે .હું અહીં આવતો હતો, મારે આ પ્રદેશ સાથે અમુક પ્રકારના સંબંધો છે .મારો દરવાજા સૌ માટે ખુલ્લા હોય છે .તમારા સૌ માટે હું લડી રહ્યો છું રાજ દિવસ જોયા વગર પરિશ્રમ કરું છું .વગેરે વગેરે વિધાનો શ્રોતાઓ સાથે આત્મીયતા .આ બધી જ બાબતો નો પ્રભાવ સતત સર્જાતો રહે છે
                         મોદીજી પોતાના ભાષણ પછી અભિવાદન ઝીલી ને ચાલતી પકડે છે .જેથી તેના પછીના કોઈ વક્તાઓ અન્ય કોઈ રીતે પોતે બોલેલા શબ્દો નો જવાબ ના આપે કે કોઈ વ્યંગ ન કરે. તેની તક આપવામાં આવતી નથી હિન્દી ,ગુજરાતીમાં પ્રભાવ પાથરતીન વાણીમાં આંકડો માહિતી યોજનાઓનું ઊંડાણ દેખાય છે .લાંબા સમય સુધી એટલે કે કવચિત કલાક ,સવા કલાક સુધી પણ પ્રચંડ પ્રવાહી રીતે બોલી શકે છે, તેની વિગતો માહિતી નુ ક્યાંય પુનરાવર્તન થતું નથી ભાષણના આકર્ષક અઅંશોમા સભામાંથી 'મોદી-મોદી'ના નારા ઓ ક્યાક મેનેજ કરેલા તો ક્યાંક સ્વયંભૂ પ્રગટ થતા રહે છે .જે તેને સાંભળનારા ઉપર જબરી આચ્છાદિત છાપ છોડી જાય છે .પ્રવચન પછી વિપક્ષો પણ એક-બે દિવસ સુધી તેનો ઉચિત જવાબ આપી શકવા સમર્થ  હોતા નથી
                      સને 2014માં લગભગ ઉત્તર ભારતના હિન્દીભાષી બેલ્ટમાં ભાજપની આંશિક હાજરી જ હતી.400 જેટલી રેલીઓ સભાઓ એ જલ્દી ઢગલાબંધ મતોથી જોળી છલકાઈ ગઈ. એક પોલીસ અધિકારીએ જ્યારે તેઓ તે સમયે તેમની સાથે રહેતા હતા .તેણે કહેલું કે રાજસ્થાન ,મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં મે પગપાળા દસ-પંદર કિલોમીટર ચાલીને મોદીજી ની સભા માં આવતો મતદાતા જોયો છે .તેથી ભાજપ સત્તા પર આવે તેમાં જરાય સદેહ નથી. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કર્યા પછી મોદીજી માં એક પાકટતા સતત ઉમેરાતી રહી છે પ્રારંભિક તબક્કામાં તેમના પ્રધાનમંત્રી પદના પ્રવચનમાં ઓચિત્ય ભંગની વાત દેખાતી પણ પછીથી ખૂબ સંયમપૂર્વક દરેક વાતને રજૂ કરીને કોઈપણ વ્યક્તિગત શાબ્દિક પ્રહાર કરતા નથી .વિવાદો વ્યુહાત્મક બાબતોથી તેઓ સતત કિનારો કરતા રહ્યા છે. સભાસ્થળે કવચિત જ અન્ય સાથે વાત કરે છે હાસ્ય રસ ,શોયૅરસ વગેરેનું સતત સંયોજન થતું રહે છે.
     તમામ મોરચે મોદીજી એક આત્મવિશ્વાસથી તરબતર પ્રખર વક્તા તરીકે ઉપસતા હોય છે. તેથી વિપક્ષ રક્ષણાત્મક મુદ્રામાં સતત દેખાય છે તે મોદીજીનો પ્લસ પોઈન્ટ જ ગણવો રહ્યો.

Moraribapu lekh

મોરારીબાપુ: બ્રહ્મત્વનો બ્રહ્માંડી તેજપુંજ
--     તખુભાઈ સાંડસુર

(મોરારીબાપુની જન્મતિથી મહાશિવરાત્રી એ તેમના જીવનની વણકહી વાતોની ભાવવંદના)
 રામકથા માંસપેશીઓમાં ઉતરી ગઈ છે .તેવા સંતત્વના શિખર મોરારી બાપુનો જન્મ સરકારી નોંધણીમાં 25 -9 -1946 ભલે હોય. પરંતુ તે વાસ્તવમાં તિથી અનુસાર મહા વદ ચૌદશ સવંત 2002 મહાશિવરાત્રીનો પાવન દિવસ છે હિંદુ ધર્મ મહાશિવરાત્રીને મહાત્યાગી મહાદેવના પાતાળમાંથી આગમન તરીકે જાણે છે ત્યારે તે જ દિવસે વીશમાં શતકના માનવ ઉત્થાનના મંગલ અવતરણ તરીકે મહાવિભૂતિ મોરારી બાપુનો  પરિચય કરે છે.
        માનસની ચોપાઇઓ ૧૪ વર્ષની ઉંમરથી બાપુની જીવની બની ગઈ .આપના દાદા  પૂજ્ય ત્રિભુવનદાસ બાપુ ના પ્રેમાળ અનુગ્રહથી રામનામ  મંગલગાન થી મિમાસા સુધીનો પંથ સરળતાથી ,સહજતાથી ક્યારે કપાઈ ગયો, તેનો ખ્યાલ જ ન રહ્યો .સને 1960ની પૈત્રિક ગામ તલગાજરડા ની પહેલી માસ પારાયણથી 824 મી અમદાવાદની માનસ નવજીવન યાત્રામાં નવોન્મેષી આયામો સર થઈ અગણિતોના નવજીવન બક્ષવામાં આપનું યોગદાન અમૂલ્ય છે.

 કથા સ્થાને વ્યાસપીઠ પાછળ શ્રી હનુમાનજી સ્થાપિત હોય વ્યાસપીઠ ની રચના એવી કે શ્રી હનુમાનજીની ગોદમાં મોરારીબાપુ બિરાજીત હોય તેમ લાગે.  તેઓ કથાગાન કરવાનો ઉમળકો અંતિમ શ્વાસ સુધી હોવાનું જણાવી  ચૂક્યા છો .કથા હંમેશા  શનિવારથી આરંભાઈ , રવિવારે વિરામ પામે .કવચિત જ તેમાં અપવાદ હોય. કથા સમયમાં સ્થળ ,ઋતુ અનુસાર લચીલાપણું હોય. પરંતુ  વ્યાસ પીઠક્યારેય સમાપ્તિ સુધી છોડવાની નહીં. સવારથી બપોર સુધીમાં ખાનપાન નો સંપૂર્ણ ત્યાગ તેને એક સાધના તરીકે જોઈ શકાય.વિશ્વભરમાં યોજાઈ રહેલી આપની એક એક કથા નવેયરસોમા રમતી, રંગદોળાતી દર્શિત થાય છે. સીધુ પ્રસારણ આસ્થા ચેનલ માં થાય તેથી આપ સમયપાલનના ચુસ્ત આગ્રહી રહ્યા છો .સામાજિક ,ધાર્મિક સમારોહમાં પણ બાપુ ઘડિયાળના કાંટા થી જરાય આઘાપાછા થતા નથી. કથાના વિરામ પછી બાપુ સીધી તલગાજરડા ની વાટ પકડે. ભલેને યુએસની ૧૮ કલાકની મુસાફરી હોય અને પછી પુનઃ યૂરોપના દેશોમાં જવાનું હોય તો પણ તલગાજરડા આવીને પછી જ જવાનું કહ્યું.ક્યાય રોકાણ નહીં .કથા થકી શિક્ષણ ,આરોગ્ય, રાષ્ટ્ર કલ્યાણ ,ધર્મ ,કુદરતી આફતો વગેરે વિષયોને કેન્દ્રિત કરીને અબજોની વિતજા સેવા કરી છે.તો પણ તેનું શ્રેય ક્યારેય આપે લીધું નથી ,પરમાત્માને જ પ્રમુખ ગણ્યા છે .એટલું જ નહીં પોતે કે પોતાના પરિવારના કોઈ સભ્યો તેના વહીવટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા રહેતા નથી. કેવોઆચાર !! હા તેનો સમય મુજબ ઉપયોગ થઈ જાય તેની કાળજી જરૂર લેવામાં આવે છે સેક્સ વર્કર, કિન્નર ,વિચરતી જાતિ, સરદારને શૌચાલય માટે આપે કથા ગાન કરીને રચનાત્મકતા ની એક નવી પહેલ પણ કરી છે .
      મોરારીબાપુ ના જીવન પર ગાંધી મુલ્યો ,આદર્શો સતત દેખા દે છે .ખાદી પહેરવી , શ્ર્વેત વસ્ત્રો ની સાદગી, રાષ્ટ્રધર્મ સત્યપાલન વગેરેના આપ પાલક - પોષક રહ્યા છો. શ્ર્વેત ઝભ્ભો, ધોતી  અને કાળી કામળી બાપુની "આઇડેન્ટિટી "બની ગઈ છે .ચાં, ભજિયાનો સ્વાદ ગમે ,પણ તેનું 'એડિકશન' આપને બાંધી શક્યું નથી .વચન પ્રતિબદ્ધતા આપના જીવનમાં સતત બીબીત થાય છે. નિયતકરેલ કાર્યક્રમ ક્યારેય અધૂરો છોડ્યો નથી .આપ હંમેશા કહેતા આવ્યા છો ,"કે હું કોઈનો ગુરુ નથી મારો કોઈ ચેલો નથી. મારો કોઈ ફોલોવર્સ નથી. આ આખી માનવજાત ને હું મારા ફ્લાવર્સ માનું છું.

       નિખાલસતાનુ સૌંદર્ય બાપુ ની તમામ કથા કે પ્રવચનમાં ક્યાય ઢબુરાયેલુ નથી. મધુર લાગેલો શબ્દપ્રસાદ તેના મૂળ રચનાકાર કે સર્જક ના નામથી જ વેહેચે છે. વિનયની વિશાળતા આપના શરીખી  શોધવી અઘરી છે. ટીકાકાર હોય એ વિચારભેદથી જુદા પડતા કોઈ વ્યક્તિ હોય તો પણ તેને અફાટ પ્રેમ કરવામાં જરાય કચાશ ન હોય. મિથ્યાભિમાની સાહિત્યકારોને પણ આપ હળવે હાથે ઉપાડીને તેને પ્રેમથી અભિભૂત કરતા રહ્યા છો .કોઈને નિરાશ કરવાનું બાપુના સ્વભાવમાં નથી .લાખોના પરિચય છતાં વ્યક્તિગત રીતે સૌ કોઈ ને નામથી જાણે છે. રાજનીતિ, સત્તા કારણથી પૂરતું અંતર જાળવવામાં તેમની તુલના થઇ શકે તેમ નથી. સામાન્ય માણસના ઘરે કે વાડીયે પોતે ભોજન લઇ લીધા ના અનેક દાખલા છે. માટે બાપુ ઝુપડા થી મેહેલ સુધીના સૌ કોઈને પોતીકા લાગે છે .કોઈ ધર્મ કે સંપ્રદાય નું ખંડન-મંડન ક્યારેય નહીં. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ કોઈને તેઓમાં પોતાના ધર્મ ગુરુ  દેખાતા રહ્યા છે ,ઈસ્લામધર્મી કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ એ સાંપ્રદાયિક સદભાવના નિર્માણમાં અન્યન ભાગ ભજવ્યો છે. સમગ્ર વિશ્વમાં માત્ર મોરારીબાપુ એક જ એવા સાધુ -સંત છે કે તેના ચરણમાં દસ રૂપિયા થી ૧૦ કરોડ સુધીની રકમ મુકવાની સવિવેક મનાઈ છે .સને1977 થી બાપુએ ભેટ- દક્ષિણા સ્વીકારવાનું બંધ કર્યું છે. તલગાજરડાના વિવિધ પ્રકલ્પો યજમાનો પાર પાડે છે. ચિત્રકૂટ ધામ માત્ર મધ્યસ્થી કરે છે.
      તલગાજરડા પર બાપુનુ અપાર હેત છે. માટે તેમનું નિવાસસ્થાન પણ આજ ગામમાં છે  ગામની અનેક સેવાઓ બાપુએ પોતીકી ગણીને કરી છે .જ્યારે બાપુની તલગાજરડા ઉપસ્થિતિ હોય ત્યારે સવારે 9: 30 કલાકે અને સાંજે 5: 00  કલાકે ચિત્રકૂટધામમાં  સૌ કોઇ સરળતાથી તેમને મળી શકે છે. પ્રસાદિક ચીજ-વસ્તુઓથી રોજ અનેક દર્શનાર્થીઓ ભીંજાતા રહે છે.
 શિક્ષણ ,સાહિત્ય ,લોકસંગીત, કલાજગત સહિતના બાર જેટલા એવોર્ડ પ્રસાદ તલગાજરડા દર વર્ષે સમાજને પીરસે છે. પરંતુ તેના ચયન કે પદ્ધતિમાં બાપુ ક્યાંય નથી. દરેકનું એક સ્વતંત્ર માળખું છે .કલા કે કલમથી ઓછા જાણીતા લોક કલાકારોને બાપુએ વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે .ભવાઈ કે નટ કલાને જીવંત રાખવાની તેમની નેમ નમનપાત્ર છે .સંવાદ, સમારોહ માટે બાપુનુ આંગણું કાયમ ઉઘાડું રહે છે .
       ટ્રુથ ,લવ, કોમ્પેનશન ના આ સદગુરુને ચાહનારા ની સંખ્યા આકાશી સિતારાઓથી અધિક છે સૌને વહાલ,સૌનો સ્વીકાર નુ દરિયાદિલ સૌને પોતાનુંતથા સુગંધિત અનુભવાયું છે બાપુનો પારસ-સ્પર્શ પામનાર જાણે 'આબરૂ 'ફિલ્મનું ગીત ગણગણતો નીકળતો હોય.
"જીન્હે  હમ ભુલના ચાહે વો અકસર યાદ આતે હૈ"
આજના મંગલ દિને પૂજ્યશ્રીને ભાવવંદના...


 ---તખુભાઈ સાંડસુર

Friday, March 1, 2019

ઈન્ડો પાક લેખ

એર સ્ટ્રાઈક : પ્રિ. વોર કે આભાસી ડર
--- તખુભાઈ સાંડસુર

પાકિસ્તાન તેના ભારતમાંથી ભાગલા પછી જ લગભગ સામેના કિનારે ઉભેલું દેખાયું છે. ભલે એક જ ખળામાંથી ભાગ પડેલા બે ઢગલાઓ હોય તો પણ તેમા સામ્યતાની બાદબાકી, વૈચારિક ગેપ સતત ડોકુ કાઢતો રહે છે. શાસકોની રફતાર ચાલતી રહી ત્યાં કેટલાય આવ્યા ને ગયા પરંતુ ત્યાની પ્રજાની વૈચારિક પરિપાટીને કોઈ ચાતરી શક્યું નથી. તેથી સતાસ્થાને આવનારા સૌ કોઈ ભારત વિરોધી માનસિકતાને કાંખમાં લઈને આવ્યા છે. શિક્ષણ ઔદ્યોગિક વિકાસ જેવા પ્રાથમિક મુદ્દાઓને ત્યાની સરકારોએ કોરાણે રાખીને ધર્માધંતાને પ્રાથમિકતા આપી ભારતના કાશ્મીર મુદ્દાને તેની સાથે જોડી દિધો છે. તેથી તે ગુંચનો કોઈ ઉકેલ આવવાના બદલે વધુને વધુ આટાપાટા સર્જાતા રહ્યા છે. પદ્માદભૂની ઘટનાઓની દ્વેષીલી મનોવૃત્તિએ પણ તેમાં બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું. સને ૧૯૭૧ પછી ભારત સામે પાકિસ્તાન કોઈ યુધ્ધ ભલે ન લડ્યું હોય ,પરંતુ પ્રોકસી વોરને અંજામ આપવા ત્યાના લશ્કરે કે સતા તંત્રએ એક પણ તક જતી કરી નથી. સમયના તકાજા સાથે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનીંગ કેમ્પ ચલાવીને કાશ્મીરને અરાજકતાના અગ્નિકુંડમાં ડુબાડી દેવા અનેક આતંકી હુમલાઓ કર્યા છે. એક અંદાજ મુજબ આ અરાજકતાએ કુલ ૭ૅ૦ હજારથી પણ વધુ માણસોનો ભોગ અત્યાર સુધીમાં લીધો હોવાનું સુત્રોએ બિન સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ પ્રક્રિયાના એક હિસ્સા તરીકે પુલવામામાં થયેલા 'ટેરરએટેક'ને ગણવામાં આવે છે. ૪૦ જવાનોની કેજયુલીટીનો આંકડા ઘણો મોટો ગણાય તે સ્વાભાવિક છે. આ મોતનો માતમ આક્રોશ થઈને જન જનમાં ભરાઈ ગયો. કોઈપણ સરકાર જનમતથી ચાલે છે તેથી તેને 'ફોલો' કરવું પડે તે બહુ નેચરલ છે.

આ ર૪મીના હુમલા પછી કોઈએ જયારે મારી પ્રતિક્રિયા માંગી ત્યારે મે પ્રધાનમંત્રી મોદીના વિધાન' મોટી કિંમત પાકિસ્તાને ચુકવવી પડશે.' તેને કવોટ કરતા કહ્યું હતું કે હવે ભારત નજીકના ભવિષ્યમાં આ હુમલાથી પ્રતિક્રિયા 'ટેરર કેમ્પ'ને નાબુદ કરવાના અટેકથી આપશે.  ખરેખર ર૬-રની એર સ્ટ્રાઈકથી મારોએ અંદેશો બરાબર સાબીત થયો. ઘણા લોકો જે આંતરરાષ્ટ્રીય બાબતો અને યુધ્ધના આધાત-પ્રત્યાઘાત જાણતા નથી તે ફેસબુકના અને વોટસએપના મેસેજ તૈયાર કરીને બહુધા લોકોને ગુમરાહ કરે છે. એકવીશમી સદીમાં સમગ્ર વિશ્વ પરમાણુ નિઃશસ્ત્રીકરણની સંધી દ્વારા શાંતિનો શાશ્વત સંદેશ આપવા ઈચ્છે છે ત્યારે અંશાતિ અથવા તબાહીની કલ્પના જ સૌ માટે અધરી સાબીત થાય.

ભારતની એલઓસી ક્રોસ કરીને ત્રાસવાદી અડ્ડાઓ પર ત્રાટકવાની ઘટનાને ભારત સરકારે સૈનિક કાર્યવાહી નથી ગણાવી પરંતુ ત્રાસવાદી પ્રવૃત્તિને નાબુદ કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો ગણાવ્યો. જો પાક સામે યુધ્ધની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાંથી ભારતને પણ ટેકો સહકાર મળવાની સંભાવના ધુંધળી આભાસી બને તો ભારતની હાલત પણ કફોડી થાય. કાશ્મીરનો પુલવામા હુમલો ત્રાસવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન માટે દંડીત થવાની અગ્રતા તરીકે જોવા જોઈએ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત કોઈ મહત્વના પગલા માટે તૈયાર થઈ રહ્યું છે. તેમાં તેનો જાણે ભારતની કાર્યવાહી માટે સંમતિ સુચક સુર હતો. ફ્રાંસ સહિતના યુરોપિયન સંધે પણ એક રીતે પાકિસ્તાન વિરોધી પ્લેટફોર્મ લઈ લિધું હતું. ગ્વાલીયરથી ઉડાન ભરનાર ભારતીય વાયસુનાના વિમાનો તેની સરહદમાં જઈ ૧૦૦૦ કિલો બોમ્બ નાખે છે. સરકારનો દાવો છે કે ત્રાસવાદી કેમ્પોમાં રહેલા ૩પ૦ જેટલા ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. પાક. વિદેશ મંત્રી ગફુર અને તેની સેનાના જણાવ્યા પ્રમાણે ભારતીય વિમાનોએ પહાડી વીસ્તારમાં બોમ્બાર મેન્ટ કર્યુ પણ કોઈ હતાહત થયાનું જણાયું નથી. આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીઓ પણ ત્રાસવાદીઓના મોત માટે સંદેહાત્મક સ્થિતિમાં છે. તો પણ ભારતીય વાયુસેનાનું એલઓસી ક્રોસ કરીને ત્યા બોમ્બ ફેંકવાના સાહસને ઓછું ન આંકી શકાય. ભારતના તમામ લોકોેએ આ અદમ્ય સાહસને બિરદાવ્યું. કેટલાક લોકોએ આ એરસ્ટ્રાઈકને ઈન્ડો-પાક વોરના પ્રારંભિક તબક્કા તરીકે એટલે કે પ્રિ.વોર ગણાવી સંરક્ષણ નિષ્ણાંત લોકોએ તેને એક રીતે જનમતની લાગણીના પડઘા તરીકે મુકી.

ભારતીય એર સ્ટ્રાઈકનો જવાબ ઈમરાનખાને એટલા માટે આપવો પડે કે તે ભારત વિરૂધ્ધ આગ ઓકીને ચૂંટાઈ આવ્યા છે. જો ભારત સામેના કોઈ આભાસી તો આભાસી પણ એકશનની પ્રતિતી ન કરાવે તો તેણે ત્યાંની સત્તાથી હાથ ધોવા પડે. સેના પાકિસ્તાનમાં કાયમી 'સેમી લીડરશીપ'ના રૂપમાં દેખાઈ છે. ત્યાં લશ્કરી બળવાઓ પણ તેના ભાગરૂપે ગણી શકાય. બીજા દિવસે સવારે ભારત - પાકિસ્તાનના વિમાનોની સરહદ પાર કરવાની પ્રતિક્રિયા જોવા મળી. પાકિસ્તાને કાશ્મીરના સરહદી પ્રવર્તીય વિસ્તારોમાં બોમ્બ નાખ્યાની વાત પણ કરી. દરમ્યાન આપણાં વિમાનની તબાહી થતાં તેના વિંગ કમાન્ડર વર્ધમાન ત્યાં પકડાઈ ગયા. હવે પાક. શું કરે તેના પર સૌની મીટ છે.

રશિયા, અમેરિકા, યુરોપિયન સંઘ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ ભારતની ત્રાસવાદ સામે લડવાની મહેચ્છાને ટેકો આપ્યો પાકિસ્તાનને પોતાની ધરતીનો થતો ગેરઉપયોગ સદંતર બંધ કરાવી ત્રાસવાદી ગતિવિધિને અટકાવવી જો કે તમામ દેશોએ સંયમ જાળવી રાખવા બંને દેશોને અનુરોધ કર્યો. દ્વિતિય વિશ્વયુધ્ધ પછી નેધરલેન્ડમાં એક અંતરરાષ્ટ્રીય અદાલતનું ગઠન કરવામાં આવ્યું છે જે કોઈપણ બે દેશના મસલાઓ પર વિચાર કરી શકાય પરંતુ ભારત આ પ્રકારની અદાલતી કાર્ય્વાહી માટે સંમત ન થતાં તેનો સભ્ય્‌ નથી. આ અદાલતનું સભ્ય પદ ૧રર દેશોએ સ્વીકારેલું છે.

આંતરરાષ્ટ્રીય મંચ અને ભારત-પાક પણ ઈચ્છે છે કે યુધ્ધ ન થાય. ડોનાલ્ડ ટ્‌મ્પ વિશ્વમાં કોઈ પોતાની કુંકરી ગાંડી કરે અથવા ગાંડપણ કરે તો તેને સમજાવી લેવા ઉત્સુક છે. દક્ષિણ કોરિયાના તુમાખી સત્તાધીશ કિમ જોનને પણ પોતે વિયેતનામ બોલાવીને તેના પાટનગર હેનોઈમાં પરમાણું કાર્યક્રમ પડતો મુકવા હાથ ફેરવી દિધો છે. પાકિસ્તાનની આર્થિક હાલત સતત ડામાડોળ રહે છે. ભારતની સરખામણીએ તેણે તમામ ક્ષેત્રે ઘણું કરવાની બાકી છે. અમેરિકા ચીન જેવા દેશો પાસે તેણે પોતાની આર્થિક જરૂરિયાત માટે ખોળો પાથરવો પડે છે.તેથી તેમની વાત કે દરખાસ્તનો તેણે સ્વીકાર કરવો જ પડે. જયારે હું આ લખી રહ્યો છું. ત્યારે સમાચાર મળે છે કે પાકિસ્તાને બ્રિટન, અમેરિકા જેવા વિકસિત દેશોમાં દબાણથી આતંકવાદી સંગઠનો જમાત ઉલ દાવા અને જૈશે - મહમદ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. જે આવકારદાયક છે. પરંતુ ભારત સહિતના દેશો એવો પ્રસ્તાવ લાવશે કે અમારી પાસે જે સાધનિક પુરાવા છે તેના આધારે તેની સામે કાર્યવાહી કરવા અમારા દેશના એવા અપરાધીઓને તમે સુપ્રત કરો પણ તે અશક્ય લાગે છે.

યુધ્ધ આજે લડવું કે જાહેર કરવું પંદરમી સદીની વૈચારિક ક્ષમતા ગણાય. કારણ કે હવે યુધ્ધ સામગ્રીની વિનાશકતા વિજ્ઞાને એટલી વિસ્તારી છે કે તે એવા વિચારને અમલમાં મુકનારને પણ લાઈવ રાખી શકે તેમ નથી. બીજી વાત કે વિકસિત દેશો અમેરિકા, બ્રિટ, ફ્રાંસ જર્મની કે રશિયા એવું ન ઈચ્છે કે કોઈ મોટી લડાઈમાં બે દેશો સળગી મરે, કારણ કે પરોક્ષ રીતે તેમના વીકાસ અને રફતારના આધાર પણ એ દેશો હોય છે. વેપાર-વાણિજય પર થનારી અસરો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ઈમરાન ખાનનો બદલાયેલો સુર આંતરરાષ્ટ્રીય મંચના દબાણનો જ એક ભાગ હોય. ભારત સરકારની એવી કોઈ સશક્ત સ્થિતિ નથી કે મહાસત્તાઓથી દુર જઈને સ્વતંત્ર રીતે વોર જેવા આત્યતિંક નિર્ણય કરી શકે.

પાકિસ્તાન ત્યાં ત્રાસવાદી પ્રવૃત્તિને કંઈક અંશે ડામી દેશે. તેનો પ્રચાર-પ્રસાર કરીને વિશ્વને તે સાબીતી આપવા મથામણ કરશે. વધતા તનાવ માટે આવતા દિવસોમાં વિકસિત દેશોના પ્રતિનિધિઓ બંને દેશોને મંચ પર લાવવા અનુરોધ કરી વાતને ઠંડી પાડવા કોશિષ કરશે. ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સુધી જુસ્સાદાર નિવેદનો સંભળાતા રહે તેવું બનુે. બાદમાં સંયમની વાતનો અહેસાસ કરીને નવી દિશાઓ પર મીટ માંડવી પડે. સમગ્ર વિશ્વની નજર ભારત-પાક.ની ગતિવિધિ પર છે. સમય જ નક્કિ કરી શકે હવું શું થશે..! અશાંતિમાં વધારો નહીં થાય એટલું નક્કી.