Tuesday, December 11, 2018

Moraribapu's interview on Manas Ganika

ગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીં : મોરારિબાપુ
---આલેખન:::::તખુભાઈ સાંડસુર

(મોરારિબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોત્થાન, સામાજિક લોકક્રાંતિના પ્રણેતા તરીકે સાપ્રંત સમય તેમને નવાજે છે. રામકથાના માધ્યમથી સાહિત્ય, શિક્ષણ સમાજ કલ્યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમની મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રામજન્મભુમિ અયોધ્યામાં તેઓ ગણિકા (સેકસવર્કર)ને કેન્દ્રિત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા વિષય સંદર્ભે પત્રકાર તખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાપ કર્યો જે અહીં પ્રસ્તુત છે.

પ્રશ્ન :- બાપુ માનસ ગણિકાના સ્ફુરણનો પાયો કોને ગણવો ? શા માટે ?

મોરારિબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષિત નથી. વ્યાસપીઠની કરૂણા પામવાનો સૌને અધિકાર છે.


વંચિત, પીડીત, ઉપેક્ષિત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતિ માટે સને ર૦૧૧માં દેવળા ગોંડલ, કિન્નરો માટે સને ર૦૧૬માં થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહીં કેન્સર, સ્વચ્છતા, ગાંધી દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે તો ગણિકા બહેનો માટે ધાર્મિકતાને જોડી સંવાદ કેમ ન થાય ? તુલસી દાસજીએ પણ વાસતી નામની ગણિકાના અંતિમ સમયે રામનામનું મહિમા ગાન કરી આપદ ધર્મ નિભાવ્યો હતો. મારી વ્યાસપીઠ પણ આ જ દિશામાં કદમ ઉપાડી રહી છે.
પ્રશ્ન : ગણિકાના વ્યક્તિત્વને આપ કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો ?

મોરારિબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છું કે ગણિકા એટલે માત્ર દેહવ્યાપારમાં સંકળાયેલી સ્ત્રી કે મહિલ જ નહીં પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ. જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવક પોતાની સેવા માટે સાધુ પોતાના વ્યાખ્યાન માટે પોતાની નિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી ,મજબુરીથી કે ટેવ વશ પોતાના દેહ વેચતી હશે પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેચતી નથી.

પ્રશ્ન : ગણિકા જેવા અસ્પૃશ્ય વિષયને સ્પર્શતા આપ કોઈ સામાજિક સંકોચનો અનુભવ કરો છો ? શા માટે નહીં ?

મોરારિબાપુ : ના જરા પણ નહીં રામ બંધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવું જોઈએ. ભગવાન બુધ્ધ પણ ગણિકા પાસે ભીક્ષા લેવા ગયા હતાં. સમાજને તેણે ખુબ સુચારૂ ઉત્તર આપીને નવો સંદેશો આપ્યો હતો. તળાવમાં દુધનો લોટો નાંખવાથી તે તળાવ દુધીયું ન થાય પણ થોડો રંગ બદલે અરે. તે પણ ન થાય પણ સ્વયંને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવું જોઈએ તેવો નિર્દેશ માનસ કરે છે.

પ્રશ્ન : બાપુ, માનસ-ગણિકાનું સ્થળ અયોધ્યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ - અભિગમ ? કયો ?

મોરારિ બાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસનું ભાવ કેન્દ્ર અયોધ્યા છે. મર્યાદા પુરૂષોત્તમ રામજીની જન્મભુમિ .બીજું સંત પુ. તુલસી દાસજીએ અહીં નગરના છેવાડે રહેતી વાસંતી નામની ગણિકાની અંતિમ ઈચ્છા મુજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતાં. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાંસતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે ખુબ પ્રસન્ન થઈ હતી.

"વો રસ્મે તોડકર મેરે ઘર આને વાલે હૈ

મૈ ડર રહા હું કી ઝાલિમ જમાને વાલે હૈ"

અને રામચદ્ર કૃપાળુ ભજમનના ગાન સાથે વાસતીની આંખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય.

પ્રશ્ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્યાણક પ્રવૃત્તિ માટે અપીલ થશે ?

મોરારિબાપુ : સૌ માટે કરૂણા માનસનું ભાવ બિંદુ છે. સમાજે પણ તેને અનુસરવું જોઈએ કલ્યાણક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે તેવી શ્રધ્ધા છે.

પ્રશ્ન : માનસ કિન્નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તવારીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ?

મોરારિબાપુ : "સિર્ફ હંગામા ખડા કરનાર મૈરા મકસદ નહીં, મેરી કો શિશ હૈ કી યે સુરત બદલની ચાહીએ" આપણે દુષ્યતકુમારની આ પંક્તિઓને અનુસરીએ

પ્રશ્ન : બાપુ આ વિચાર બિંદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખી શકાય ? અથવા તેની ફુલશ્રુતિ ?

મોરારિબાપુ : ઉપેક્ષિત વર્ગ, સમાજ તરફ લોક જનસમુહનું ધ્યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચાર શૃંખલાને બળ મળે છે. માનસ કિન્નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્નર સમાજને તૃતિય લિંગ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેવી વાત મારા ધ્યાન પર લાવવામાં આવી છે. આ આવકારદાયક જ ગણી શકાય.

પ્રશ્ન : બાપુ, આ કથાના યજમાન કે વ્યવસ્થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ?

મોરારિબાપુ : કથા સ્થળ :ભકત માર્ગની બગીચી, પિરક્રમા માર્ગ અયોધ્યા છે. તેના યજમાન કોલકત્તાના બંગાળી શ્રેષ્ઠી છે તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્વ આપે તેમ નથી. બાબુજીએ ર૦૦ ગણિકા બહેનોને નિવાસ- ભોજન ,મુસાફરીની વ્યવસ્થા કરેલ છે. કથા સ્થળે મંડપમાં અગ્ર ભાગે તેમની સુચારૂ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામકથાના ઉપક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમ્મિલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજિક પુનરૂત્થાન માટે સધળાં પ્રયત્નો થશે. અગાઉ પણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતાં પ્રગટ કરી ચુકયું છે.

પ્રશ્ન : વ્યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે,આપનો કોઈ મનસુબો ?

મોરારિબાપુ : ના કંઈ નિશ્ચિત હોતું નથી. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગૃરુકૃપાથી સ્ફુરણ થશે ત્યાં તલગાજરડા -માનસ પહોંચવા પ્રયત્નશીલ હશે.

પ્રશ્ન : બાપુ .કથા પુર્વે શ્રોતાઓને, સાધકોને આપનો કોઈ સંદેશ ?

મોરારિબાપુ : હા ,સૌને કથા શ્રવણ માટેનો ઉમળકાભેર સાદ સૌ આવો ,જય સિયારામ.



Thursday, December 6, 2018

મંદિર નારો ૨૦૧૯

અયોધ્યા મંદિર : ઓગણીશનો VAI..!

--- તખુભાઈ સાંડસુર
અયોધ્યાનો મુદ્દો કેટલાયને રળી ખાવાનું નાનું ખેતર છે. આ ખેતરને જોકે શેઢો નથી એટલે જ્યારે જેવું નાનું મોટુ કરવું હોય તેવું થાય.   !!!? મુદ્દો મંદિર નિર્માણ કે બાબરી મસ્જીદને હટાવવાનો નથી. આ દેશના મતદારોની બાલીશતા, મુર્ખતા માટે હસવું ય ભારે થઈ પડે તેવું છે. અનેક ચૂંટણીના માંડવાઓ જોયા પછી લાગે કે આપણી પરીપરક્વતા ક્યાં સુધી દિવો બળે એટલે દુર રહેશે!!. અદાલતી ચુકાદાઓ અને નેતાઓની ચાઈનીઝ ચટાકેદાર બયાનબાજી કેટલાક નવરાઓ માટે વાતો કરવાનો કે લાંબુ કરવાના સારા વિષયો ગણાય. પરંતુ આ આભનો છેડો હોય ખરો ?

સને ર૦૦રથી હિન્દુ મતોને ઉશ્કેરીને મતપેટીમાં લઈ જવાની એક ખૂબ યોજનાબધ્ધ ચાલ ગોઠવવામાં આવી રહી છે. બાબરી મસ્જીદનો ઢાંચો પડી ગયા પછી જે સામાજિક સમરસતાને ઘા પડ્યો, તે હંમેશા વણપુરાયેલો રહ્યો છે.


જ્યાં તેની પર થોડી ઘણી રુઝ આવે ત્યાં અનેક પેતરાઓથી તેને ખતરોડીને પરુ-પસથી ભરેલું મોટુ ધારૂ બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં આવો જ પ્રયત્ન સાવ નકામો દેખાઈ રહ્યો છે.
ભાજપ, આરએસએસ કે તેની વિવિધ પાંખો પણ જાણતી નહોતી કે ભારતના લગભગ ૪૦ ટકા ભાગમાં હિસ્સો નહીં ધરાવનાર પક્ષ સંપૂર્ણ બહુમતીથી દેશમાં સત્તા પર આવી જાય પ૪૩ લોકસભામાંથી બહુમતીના મેજીકલ અને મીરેકલ બેઠકના આંકડા સુધી પહોંચી જવાશે.આ  મે-ર૦૧૪માં થયું. ઠાગાઠૈયા કરૂ છું ને ચાંચુડી ઘડાઉ છું કહેતાકને કાબરબાઈ એવી પ્રજા પાસે ઓગણીશમાં પહોંચી જવાયું છે હવે શું ? ભાજપની ઈલેક્શન મેનેજમેન્ટ ટીમે ફરી અયોધ્યા પર આંગળી મુકી. અયોધ્યા મંદિર એટલે વોટ એક્શમેન્ટ ઈસ્યુ VAI .મતલબ કે મતને જ્યારે રોકડા કરવા હોય ત્યારે અહીં પહોંચી જવાનું એટલે પત્યું.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના ઓપીનીયન પોલ સત્તાધારી પક્ષ ભાજપની બકરી ઢબે પુરી દિધી છે. કેટલાક સર્વે કશમકશનો આંકડો દર્શાવતા હતા તો કોઈ તો લગભગ રાતા પાણીએ ભાજપને રોવાનું દર્શાવતા હતા. દેશભરમાં એક નકારાત્મક હવા ધીમે ધીમે શરૂ થઈ રહી છે કે તમે રૂલ માટે લાયક ઓછા રોફમાં વધુ પાવરઘા છો. ભાજપ અને મોદી હવે ઝાંખા થઈ રહ્યાં છે. તમે જ્યારે હવા મહેલો ચણી દો અને એક ઝુપડુ પણ ઉભુ ન થાય તો શું થાય ? બીજુ આર્થિક બેહાલીએ સામાન્ય માણસની કમરના મણકા કચડી નાખ્યા છે જે રીતે ટેક્ષને ઈમ્પલીમેન્ટ કરવામાં આવ્યો અને સરકારની તિજોરી છલોછલ કરવાના મનસુબા પાર પાડવા નાના અને લઘુ ઉદ્યોગોને કરમાળખામાં સમ્મિલિત કરીને રોજગારીના રોટલાઓ આંચકી લેવાયા. કેટલાયની થાળીઓ ખડખડ ભાણા બની ગઈ છે. બીજી તરફ આર્થિક નીતિઓના પરિણામોને નજર અંદાજ કરીને સબસીડાઈઝ ચીજોનું ખુલ્લુ બજાર કરવું. વ્યાજદરોને ઘટાડીને બચતના નાણાનો પ્રવાહ અન્ય રસ્તે ફટાવો દેવો .જેવી બાબતોએ ક્યાંક પ્રત્યક્ષ તો કવચિત પરોક્ષ રીતે સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયમાં એક અજંપાનો માહોલ ક્રિએટ કર્યો છે. તેને ટેઈક ઓવર કરી શકાય તેમ નથી. દિલ્હીના બારાખંભા રોડ પર ભાજપા મુખ્યાલયમાં બેસતા માસ્ટરોનું બી.પી. ઓછુ વત્તુ થવા લાગ્યું છે. ગુપ્તચર સંસ્થાઓ અને પુંજીપતિઓની ચેનલોએ રેડ સિગ્નલ બતાવી સૌને નવેસરથી તાળા ગોઠવવા મજબુર કર્યા છે.

આ તાલમેલનો પહેલો અંક અયોધ્યામાં રપ નવેમ્બરે ભજવવામાં આવ્યો. તેનુ નામ આપવામાં આવ્યું હતું, "ધમૅસભા".જેમાં શિવસેનાને વરમાળા પહેરાવીને ઝુલુસમાં આગળ કરવામાં આવી છે. ભાજપ-શિવસેનાનું એક સિક્રેટ અંડરસ્ટેન્ડીંગ હોવાનું દેખાયું કે તમે આગળ વધો. ધર્મસભાથી રામમંદિર નારો ગજવો.અમારે સોફટ ઈસ્લામીક વોટબેંકને ટકાવી રાખવી છે, તેથી અમે ખુલ્લામાં મોઢાનો પડદો ઉંચકી શકીએ તેમ નથી. તમને આંતર માળખાગત ,આર્થિક ,મેન પાવર સપોર્ટ અમે આપશું .જેથી સાપ મરે નહી અને લાઠી ભાંગે નહી. ઉદ્ધવે ફરી હુંકાર કરી મુદ્દાને ચૂંટણી ચોગાનમાં રંગદોળી દિધો. સૌએ એક શ્વાસ લીધો કે તેમા કોઈ કેઝ્‌યુલીટી નથી થઈ .કોંગ્રેસ ઘણા વર્ષો સુધી ધર્મ -જ્ઞાતિના નામે આળપંપાળ કરી નવા વાતાવરણને રચવામાં ઓછુ નહોતુ કર્યુ .પણ ત્યારે તેનાથી સામાજિક પ્રદુષણ આટલા મોટા પ્રમાણમાં જોવા નહોતુ મળ્યુ. એ જ રસ્તો અત્યારે સત્તાધારી ભાજપ અપનાવી રહ્યો છે.

લોકશાહીની પરિભાષા ત્યારે બળુકી પુરવાર થાય કે તેનો સામાન્ય માણસ પણ સમાનતાનો અનુભવ તથા સલામતીનું મહા કવચ માણી શકતો હોય. જ્યારે તમે કોઈ મહોલ્લામાં કે ગામમાં અલ્પ સંખ્યક છો તો તમે કેવો અનુભવ કરો છો ? રાતની મેધલી કાળી ચાદર તમારા એકાંતને કેટલુ પજવી નાંખે છે ,ત્યારે તમારા હાર્ટ બીટ કેટલા વધી જાય છે. તેનો કોઈ માપકયંત્ર વગર તમે અહેસાસ કરી શકતા હોવ છો. બસ આવી જ એક કલ્પના તમે એવા સાંપ્રદાયિક સમુહમાં લઈ જાવ.આવી અકળામણનું અસુખ માત્ર પરમતત્વ પાસે ખોળો પાથરે છે.

સત્તાના સિહાસનની સાહેબી જેને ભોગવવી હોય તે છોને ભોગવે પણ તે મેળવવા કોઈકને માઈક્રો યાતનાનું વજુદ કેટલુ ? ભારતના ધર્મ જાતિ, પ્રદેશમાં વૈવિધ્ય પૂર્ણ વર્ગોમાં વિભાત્જીત લગભગ ૮૦ ટકાથી વધુ લોકોને રાજનીતી સાથે બહુ ઓછી નિસ્બત છે. તે અમન, આબાદી અને ઐશ્વર્યથી પોતાના જીવનને વ્યતિત કરવા ઈચ્છે છે. આવી શાંતિના પુલુક (સરોવર)માં કાંકરી ફેકનારા અક્ષમ્ય લોકશાહી પાલકો છે. સુજ્ઞજનોની સંખ્યા કોઈ મેજીકલ ફીગરમાં નથી તેથી તેનો લાભ આપણા રાજનીતીજ્ઞો ઉઠાવી રહ્યા છે. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સદભાવ રાષ્ટ્રીય વૈવિધ્યનું એકીકરણ વગેરે જેવા મુદ્દાઓનો ગંભીરતાથી વિચાર કરવાથી સતત પ્રાથમિકતાનો અનુભવ થયા કરે છે.

છેલ્લે

બધારણીય ફરજો આચાર સંહિતા વગેરેનાં પાલન માટે વિશેષ ઠરાવો ,કાયદાઓનું ગઠન રાષ્ટ્રીય અંખડિતતા માટે ઓકસિજન બની શકશે.




Saturday, November 24, 2018



માનસ ત્રિભુવન દિવસ નવમોતારીખ 4-11- 2018
 આઈ એ હનુમંત કહુ અને બધું શાંત :પૂજ્ય મોરારીબાપુ
માનસ ત્રિભુવનના અંતિમ ચરણે જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ :કથાનું સુપેરે સમાપન
માનસ ત્રિભુવન રામ કથા ન તો પુ મોરારીબાપુ માટે બલ્કે સમગ્ર ભાવજગત માટે એક મહત્વનો મુકામ હતી.તેમાં મહુવાની અશાંત પરિસ્થિતિ સૌના મન ઉચક કરેલા હતા. તોપણ પૂજ્ય બાપુ નો ભરોસો એક એવા મહાન તત્વ સાથે જોડાયેલો હતો કે જેમાં તેઓશ્રીને આફતમાં કે શાતા મા સાદ પાડે અને બધું સમુસુતરું થઈ જાય .એવો જ એક ચમત્કાર તલગાજરડા ની કથામા સૌને થયો.પ્રથમ દિવસથી જ લગભગ મહુવાની સમરસતા સૌને એક અલૌકિક વિચાર જગતમા લઈ ગઈ. સૌને લાગ્યું કે આવું પણ હોય.
નવમા દિવસની અંતિમ બિંદુની કથા મા પૂજ્ય બાપુ એ જણાવ્યું, આવો જ સદભાવ અને એકતા ટકી રહેવા જોઈએ. જનકપુર રામ મય બને છે. વાટીકામાં જાનકીને રામ નું મિલન થાય છે. બંને વિવેક ના અજવાળા માં મર્યાદા ના પ્રકાશ મળે છે. બંને એક બીજા નાહ્રદયમા ર્પ્રવેશ કરે છે .જાનકી પ્રેમ અને આદરથી મા ભવાની ની સ્તુતિ કરે છે.સ્વયંવર એક જ નથી થયો .દમયંતી ,વિશ્વ મોહિની.ઇન્દુમતી અને દ્વાપરમાં દ્રોપદીનો સ્વયંવર પણ થયો. અત્યારે તો  બધે જ..
        જનક ના શબ્દો લક્ષ્મણજીને ખૂબ લાગી આવે છે.વિશ્વામિત્ર જનકના સંતાપને મિટાવવા રામને શિવ ધનુષ તોડવાની આજ્ઞા કરે છે. પરમાત્મા જ્યારે કૃપા કરે તો પ્રતિષ્ઠા આપે અને ત્યારે સાધકે અભિમાન ન કરવું ,મેરુ જેટલી નિંદા થાય તો પણ  ભજનનો છોડો .ભક્તિની ગાડી એવી રીતે ચલાવવી કે અકસ્માત ન થાય.
રામજી એ શિવ ધનુષ  મધ્યમાથી તોડે છે. પરશુરામ નું આગમન, રામ સાથેનો તેમનો સંવાદ અને પછી પરશુરામજી ની વિદાય .ચારે ભાઈઓ જનકપુરી થી વિદાય ચારે કુંવરી ઓ સાથે લગ્ન કરી ગમન કરે છે. ત્યાં બાલકાંડ વિરામ પામે છે.  રામ ભરત  મિલન અને ત્યાં યુદ્ધ વિરામ પામે છે. સીતા હરણ એ જ રીતે અરણ્યકાંડમાં પંચવટી નિવાસ, શૂર્પણખા કથા, સીતા હરણ રામલીલા પછી પંચવટી છોડ્યા પછી રામજી સૌથી પહેલા પહેલા જટાયુ પછી ને મળે છે નારદ બાદમાં હનુમાનજી અને છેલ્લે સુગ્રીવ આમાં પાચ પાત્રો રામાયણમાં મહત્વના છે .
       પરમાત્માના પાંચ વિગ્રહો છે પાંચે રૂપ નો પરિચય રામ પંચવટીમા છોડ્યા પછી કરાવે અને તે ત્રિભુવન ગુરુના પાંચ વિગ્રહો છે.
આ રીતે લંકાકાંડ ના સમાપન પછી પુજ્ય બાપુએ તલગાજરડામાં દશમી કથાને વિરામ આપ્યો.
--- ---આજનુ કથા વિશેષ-----
----આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિ હતી.
-----મહુવા ની સામાજિક સંસ્થાઓએ યજમાન હરિભાઈ વિશેષ સન્માન કર્યું હતું
-----યજમાન પરિવાર વતી શ્રી દર્શનભાઈ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
 ------સમગ્ર કથાના સંપૂર્ણ સફળતા ના આયોજન સૌને પ્રભાવિત કર્યા હતા
--જય સીયારામ




Sunday, November 11, 2018




માનસ ત્રિભુવન દિવસ આઠમો :તારીખ 3 :11: 2018
"બુદ્ધ પુરુષની આજ્ઞા એ પ્રસાદ છે : પુ.મોરારી બાપુ"
"પત્રકારો દ્વારા પોથી વંદના: કાંતિ ભટ્ટ અને શાહબુદ્દીન ની હાજરી"
આઠમા દિવસની  કથાનું મંગલાચરણ કરતાં પહેલાં સંચાલકે કહ્યું કે થોડી માયુષી દેખાય છે કારણ કે હવે એક દિવસ બાકી છે. આ પ્રત્યુતરમાં પુ.બાપુએ કહ્યું,"મારે તમને બધાને હસતા છુટા કરવા છે. તુલસીનાં બાર ગ્રંથો છે પણ હું તેને ઉપનિષદ કહું છું ત્રિભુવન નો ડ્રેસ કોડ નથી. એ શ્વેતાંબર ,પીતાંબર,દિગંબર પણ હોઈ શકે. ડ્રેસ કે પેન્ટ માં પણ હોય. જે સત્કર્મ કરે તે ત્રિભુવન. જેની પાસે પોતાનું ધન હોય તેને આત્મચિંતન સગુણ લક્ષણ છે.  રાવણ પોતાના લક્ષણો કે સ્વભાવ બદલી શકતો નથી તે રજોગુણ છે .વિદ્વાનોની સભામાં કોઇ સાંભળતું નથી પણ સાધુ બોલે ત્યારે પક્ષીઓ પણ દાણો ચણવાનું ભૂલી જાય. રામ સાધુ છે જાળવી રાખે સૌ  સધર્મ ,એ ત્રિભુવન લક્ષણ છે. બુદ્ધપુરુષની આજ્ઞા એ પ્રસાદ છે. તેમના આશ્રયે હોઈએ ત્યારે જેની નકલ ન કરવી .ઓશોએ કહ્યું છે મોટા વડના બીજ જમીન પર પડે તો વડલો વિકસિત થતો નથી.બીજને દૂર કરી તું વિકસિત થા. બુદ્ધપુરુષોની આજ્ઞાનું ઉલ્લંધન ન કરવું અને એના પર સંદેહ ન કરવો .પ્રેમીઓના આઠ યોગ છે અષ્ટાંગ યોગ જુદો છે. ગોપીઓના યોગમાં બાળકોનું પાલન કરવું, ઘરનું ધ્યાન રાખવા સહિત ,કૃષ્ણ ની યાદમાં રડવું એ ગોપીઓનો પ્રેમ યોગ છે .તેની વાત કરતા પૂજ્યશ્રીએ કહ્યૂ બળ મહાન છે . તુલસીદાસ દોહાવલી રામાયણમાં કહે છે  સાધુને અભિમાન ન હોય .રામ નો પ્રેમ કેવી રીતે વધે તે વિનયપત્રિકા માં છે .તમારામા સારી વાતો આવી હોય તેને યાદ કરો તો રામ પ્રેમ વધારશે .આપ કહો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે આપ કહો તો જનકપુર જાવ અથવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં જવું હોય તો જઈએ. વિશ્વામિત્રે જ્યાં સુધી યોગ્ય અનુષ્ઠાન પૂરું થાય ત્યાં સુધી રથમાં નહીં બેસુ એમ કહ્યું રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે પદયાત્રા શરૂ કરે છે. કદાચ સમાજમાં સુખ શાંતિ માટે આ પહેલી પદયાત્રા હશે. રસ્તામાં અહલ્યા મળે છે રામે વિશ્વામિત્ર ને પૂછ્યું આ કોણ છે .ત્યારે વિશ્વામિત્ર તેની કથા કહે છે ગૌતમ નારી છે અને શાપ ગ્રસ્ત છે પાપ નથી પણ સાપ છે આપના ચરણની રજ ચાહે છે .ધૂળ નહીં પણ કરુણા .એની મુખમુદ્રા શરીર મુદ્રા હતી .પાદુકા શું છે એ પ્રત્યક્ષ છે રામ ની પ્રતીક્ષા છે અત્યારે એવું લખાય છે કે તપ નો ઢગલો ઉભો થયો એ માણસ થઈ ગઈ એમ નથી આપણાથી ભૂલો થાય પણ તેમાંથી બોધપાઠ લેતા નથી ની જેમ  તે બોધપાઠ લે છે.
બાપુએ અયોધ્યાની માનસ  ગણિકા કથાનો ઉલ્લેખ કર્યો જેની ગણના ન થાય તે ગણિકા. પણ મારે તેની ગણના કરવી છે તુલસી  વાસંતી નામની ગણિકા પાસે રામ ભજન ગાયેલું.
અહલ્યાને એકલી છોડી ગાયો, ઋષિકુમારો, ગૌતમ બધા ભાગી ગયા .જે ભાગે તે પરમ તત્વને ન પામી શકે. રામ વિચારક પણ છે ઉદ્ધારક અને સ્વીકારક પણ છે. અહીંયા શિલામાંથી વ્યક્તિ બને છે. ત્યારે તેને થાય છે કે પતિ ગૌતમ પાસે જવું કે જગત પતિ પાસે જવું ,અને તે પોતાના પતિ ગૌતમ પાસે જવાનો નિર્ણય કરે છે, આજે ભારતીય નારીની સાંસ્કૃતિક પરંપરા.
વિશ્વામિત્ર કહે છે, તમે રઘુ પતિ તો છો જ .અહલ્યા નો ઉદ્ધાર કર્યો તેથી પતિત પાવન છો.હવે સીતારામ બનો અને આમ ધુન બની રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.  ગંગા અવતરણ કથા પછી કથા એ વિરામ લીધો.
----આજનું  અલગ કથામૃત----
-કથામાં પત્રકારો અનિલ માઢક,કેતન મહેતા, મનોજ જોષી, પરેશ ચૌહાણ, તખુભાઈ સાંડસુર ,મુકેશ પંડિત ,મુસ્તાક વસોયા, રાજેશ વશિષ્ઠ વગેરેને પોથીવંદના કરવાની તક સાંપડી.
----આજની કથામા યજમાન હરિભાઈએ બે જેટલા ફિલ્મી ગીતો નું રસપાન પણ શ્રોતાઓને કરાવ્યું.
----આજના અતિથિઓ તરીકે મંત્રી આર. સી. ફળદુ પ્રવિણ તોગડીયા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા જય વસાવડા,ભરત ડાંગર, મોના નંદજી બાપુ અંજાર અંજારના  વી કે હૂબંલ, વગેરે મુખ્ય હતા
----પ્રાધ્યાપક ડૉ .દિનુભાઈ ચુડાસમા સર્જિત પાંચ પુસ્તકો જેનો પ્રથમ અક્ષર તલગાજરડા સાથે જોડાયેલો છે તેવા તલગાજરડી આંખ. તલગાજરડા પ્રેમયજ્ઞ વગેરે નું લોકાર્પણ કરવામાં આવ્યું.
---ભાવનગરથી આંખે પાટા બાંધીને બાઇક ચલાવીને તલગાજરડા પહોંચેલા જીતુ ત્રિવેદીનું વ્યાસપીઠ પરથી અભિવાદન કરવામાં આવ્યું.
----તખુભાઈ સાંડસુર-- વેળાવદર

Wednesday, November 7, 2018





માનસ ત્રિભુવન કથા દિવસ- સાતમો   તારીખ- 2-11- 2018 
પરમ તત્વને ભૂત -ભવિષ્ય ન હોય હંમેશા વતૅમાન જ હોય: પૂજ્ય મોરારીબાપુ
'બાપુના વિદ્યાગુરુ જગનાથ દાદાની આજે થઈ ભાવવંદના'
સાતમા દિવસની કથા વિદ્યા જગત અને શિક્ષણ જગત ના સારથિ શિક્ષકોને નામે અંકિત થઈ તેમ કહીએ તો કંઇ ખોટું નથી. કારણ કે આજે પૂજ્ય બાપુના વિદ્યાગુરુ અને તેમના પિતાજીના અનન્ય મિત્ર પૂજ્ય જગન્નાથદાદાની વ્યાસપીઠ પરથી ભાવ વંદના કરવામાં આવી. શિક્ષકોના ઋણ સ્વીકાર ને યાદ કરી ને સ્મૃતિ વાગોળતા બાપુએ જણાવ્યું કે મને દાદાએ કદી માર્યો નથી તેના કારણમાં દાદા કહેલું કે તમે કોઈ તોફાન કર્યું હોય તો હું શિક્ષા કરું ને?
    ત્રિભુવન તીર્થની ત્રિવેણી ત્રિભુવન તીર્થની ત્રિવેણી ભાગીરથી ગંગા ને વહાવતા પૂજ્ય બાપુએ કહ્યું કે અહીંનો પ્રવાહ જગ કલ્યાણ ,જન કલ્યાણ અને જીવ કલ્યાણ માટે પ્રવાહિત થાય છે ,અને રહેશે કથા ગંગાના પાંચ કર્મોને મહત્વના ગણાવ્યા હતા. પેલું વક્તા ની સભાનતા, બીજું આયોજકોનો અહંકાર, ત્રીજું સ્વયંસેવકોનું શીલ અને શ્રોતાઓનુ શીલ,મડંપ વ્યવસ્થાપકની સજાગતા આ બધું  સત્કર્મ ને નિષ્ફળ થવા કારણરૂપ બને. તલગાજરડાએ  કથા પછી પાંચ કામ કરવાના છે .ઘરમાં હનુમાન ચાલીસા, કાગભુષંડી રામાયણ ,રુદ્રાષ્ટકનો પાઠ ,ખોટી રાજનીતિ કિનારો કરવો, વિકાસમાં સૌનો સહયોગ .મહૂવા પણ તેને અનુસરે.
        વ્યાસપીઠ પર જ્યારે હું બેસું છું તો દાદાની કૃપાથી નાયગ્રાનો ધોધ આવે છે ભગવાન રામે રાવણને માર્યો નથી પણ તાય્રૉ છે ,રામ કોઈને મારે નહીં. રામ સાધુ છે મારે નહીં .શ્રાપ આપે તો તેનું સાધુ પણ ખંડિત થઈ જાય. સાધુ નો આર્તનાદ કદી બદદુઆનો ન હોય.જે બાણ હતું તેના  ફણા પર કાળ હતો .ફણીશ એટલે લક્ષ્મણ તેથી લક્ષ્મણજીએ તેને માર્યો છે. જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને રામજી પરત આવી રહ્યા છે ત્યારે રામ રાવણ, કુંભકર્ણ ના મૃત્યુ સ્થળ બતાવે છે, પણ મારનારની વાત કરતા નથી .પરામ્બાએ બાણ પર બેસીને રાવણને માર્યો છે.તલગાજરડાના રામજી મંદિરમાં રામજી પાસેથી હથિયારો લઇ લીધાતે અસ્તિત્વનો સંકલ્પ છે .ધર્મ જગત તેની ટીકા કરે છે. પૂજ્ય બાપુએ દાદાના સાદગીના ઉદાહરણમાં કહ્યું કે, પોતાનો ખલતો પણ તેઓ પોતે જ ઉપાડતા.
          ભોગમાં રોગનો ભય હોય યોગમાં નહીં. કુળને પ્રતિષ્ઠા જવાનો ભય ન હોય .પ્રેમ ને રાજા નો ભય ન હોય .મૌન સાથે મુસ્કાન હોય એને દૈત્યનો ભય ના હોય. જેને રૂપ ન હોય તેને અવસ્થાનો ભય ન હોય. ભરોસા ને દુશ્મનો ભય ન હોય. શાસ્ત્રાજ્ઞ ને શાસ્ત્ર વિવાદનો ભય ન હોય.લાઓત્સેએ કહ્યું હતું મને હારવાનો ભય નથી કારણકે હું હારેલો છું મને કોઈ ઉઠાડી મૂકશે તેનો ભય નથી કારણકે હું છેલ્લે બેઠો છું. જે ગુણાતીત ગુરુ ના શરણે છે તેને ખલ(દૂષ્ટ) નો ભય નથી .બુધ્ધત્વ પ્રાપ્ત કરનારને ખલનો ભય નથી .જેની કાયા સ્મરણથી રચાય છે એને મરણનો ભય નથી .શંકર નુ મસ્તિષ્ક ઉપર નું ,હ્રદય વચ્ચેનું અને ચરણ નીચેનૂ લોક છે. પાર્વતીજીને મસ્તિષ્કમાં બ્રહ્મલોક હ્રદયમાં મૃત્યુલોકમાં અને ચરણમાં પાતાળ લોક દેખાયો છે. કાન ,નાક, આંખ, જીભ બધુ સત્યપરાયણ છે. જેમાં સત્ય છે તે બુદ્ધ પુરુષ છે. જેના હૃદયમાં પ્રેમ વહેતો હોય તે મૌન છે ગુરુની પાદુકા કરુણા નું પ્રતિક છે. તેથી તેના ચરણમાં કેવળ કરૂણા છે, તે ત્રિભુવન ગુરુ છે.
'પ્રભુ કરી કૃપા પાવર દિન્હી,સાદર ભરી સીસ ધરી તીન્હી.'
રામના જન્મ પછી એક મહિના સુધી અયોધ્યામાં રાત જ ન પડતી. જ્યાં રામ અવતરણ થાય ત્યાં મોહરાત્રી આવતી નથી. રામ રૂપ જગતગુરુ અવતરે ત્યાં અજવાળા જ હોય. બાળ રામ ને રમાડવા શિવજી જ્યોતિષ રૂપ લઈ કાગભુષંડી ને ચેલો બનાવે છે .આ અયોધ્યામાં જાય છે તલગાજરડીમા રસપૂર્ણ વણૅન છે વિદ્યા મોક્ષ આપે પણ પાખંડ ન હોય. જેના જપ કરનારને આરામ, વિશ્રામ, વિરામ અને અભી રામની પ્રાપ્તિ થાય એવા કૌશલ્યાનંદન નું નામ  વશિષ્ઠ રામ રાખે છે. જેનું સ્મરણથી શત્રુ બુદ્ધિનો નાશ થાય છે તે છે શત્રુઘ્ન, વિશ્વને ભરી દે તે ભરત ,તમામ લક્ષણો છે તે સુમિત્રાનંદન લક્ષ્મણ, રામને ભવાના ત્રણ વિધિવિધાન છે શોષણ ન કરવુ, શત્રુતા ન રાખવી, આધાર બની અને ટેકારૂપ થવું.
       પરિપૂર્ણ શ્રદ્ધા હોય તેવા બુદ્ધ પુરુષ ને પૂછીને સંકલ્પ કરવો ,અન્યથા વ્યાપક નુકશાન થઈ શકે. મારું કોઈ ગ્રુપ નથી વિશ્ર્વએ મારો પરિવાર છે. હું છેતરાવ છું તોપણ હું  ધારા ન ભૂલું. અભાવનો આનંદ ઓર હોય છે .સાધુનુ વર્ણ અને કૂળ ન હોય. શાલ થી કઈ ન થાય અંદર મશાલ હોય તો બધું થાય. વેદાંત અદ્વૈત છે પણ ગુરુએ શિષ્યમાં દ્વેત રહેવું જોઈએ. ભર્તુહરિ શતક કહે છે વૈરાગ્ય સિવાય ક્યાંય અભય નથી. પરંતત્વ હંમેશા વર્તમાનમાં હોય. 
       -----   --   -- આજના કથા ચિત્રો-----
--પુ. બાપુએ કહ્યું ,ભોજન વગર ભજન ના હોય તેથી ભારતના ધનપતિને હરિહર વગર ની કથા ન જ મળે.
--કમીજળા ના મહંત શ્રી જાનકીદાસ બાપુ, કોળીયાક ના જાનકીદાસ બાપુ , કુંઢેલીના રામકૃષ્ણ શાસ્ત્રીજી, એક્સ ડીજીપી. કુલદીપ શર્મા, હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વગેરે આજના  વિશેષ અતિથિઓ હતા.
--પૂજ્ય બાપુ ના વિચારો કોલમ સ્વરૂપે દૈનિકોમાં પ્રગટ થાય છે, તે પુસ્તક કલ્પવૃક્ષની બીજી આવૃત્તિ ની રૂષિકુમારોની હાજરીમાં લોકાર્પિત થઈ અને માનસ પાઠોનું રેકોર્ડિંગ કરેલી સીડી નું પણ લોકાર્પણ થયું.
---પૂજ્ય બાપુના પિતાશ્રીનું તેલ ચિત્ર તૈયાર કરનાર મુસ્લિમ યુવાનને આવતીકાલે તેમના લોકાર્પણ માટે નિમંત્રિત કરવામાં આવ્યા
---તખુભાઈ સાંડસુર વેળાવદર

Monday, November 5, 2018

માનસ ત્રિભુવન દિવસ છઠ્ઠો તારીખ 1 -11- 18

 સામાજિક સેવા નુ દાયિત્વ સમાજ અને સરકારનુ છે સાધુનું નહીં :પૂજ્ય મોરારીબાપુ
સ્મૃતિલબ્ધા ગ્રથંવિમોચન અને મૌલાના સર્ફરાજ ની છઠ્ઠા દિવસે હાજરી
ત્રિભુવન નો અર્થ કરતા આજે પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું કે શિવ ત્રિભુવન ગુરુ છે. વિષ્ણુ પતિ છે. બ્રહ્મા ત્રિભુવન સર્જક છે. સત્ય ,પ્રેમ અને કરુણા ત્રિભુવન છે .સત્ય ઊંચું હોય .જેનામાં સત્ય હોય એ હમેશા બીજાથી ઊંચો હોય. પ્રેમ તત્વ પૃથ્વી પર જ છે. કુરબાની અને કરુણા પાતાળ જેટલી ઉંડી છે. તલનો અથૅ પાતાળ ,ગાજર નો અર્થ પૃથ્વી , ડા નો અથૅ પકડી રાખવુ એટલે ત્રિભુવન.
તલ એટલે પ્રેમ, ગાજર એટલે કરુણા, ડા એટલે સત્ય .પણ તમે લેજો તેને વિશાળતાઅથૅમા. જગતમાં સાત પ્રકારની સંસદ છે . બ્રહ્મ સંસદ, સાધુ સંસદ ,લોકસભા, રાજ્યસભા ,યુનો,જનસંસદ અને છેલ્લી  એટલે તલગાજરડાની.શ્રોતા નચિકેતા જેવો હોય જ્ઞાન ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરે.વકતા યમ જેવો  હોય. નચિકેતાને અગ્નિ પરીક્ષા આપે પણ તે સરળ અને નિરાભિમાની હોય.
 કથાનો દોર સંભાળતા બાપુએ વાણીપ્રવાહને આગળ વધાર્યો ,પાર્વતીજીને લગ્ન પછી શંકર રામની કથા સંભળાવે છે .શંકરે પાર્વતીજીને વામ ભાગે બેસાટયા કારણ કે હ્રદયનો સાદર સ્વીકાર પછી  તેઓ શિવ સન્મુખ બેઠા છે.કથા સન્મુખ થઇ સંભળાય. કથાનો આરંભ ધન્યતાથી થાય .મધ્ય અને અંત પણ ધન્યતા હોય .જ્ઞાન ના ચાર પ્રકાર છે. વિપરીત જ્ઞાન ભ્રાત જ્ઞાન ,આરોપિત જ્ઞાન અને વિવેકહીન  જ્ઞાન .  વિપરીત એટલે વિરુદ્ધનું અને ભ્રાન્તએટલે ભ્રાંતિ, આરોપણ વાળુ અને વિવેક વગરનુ રામ જન્મ ના પાંચ હેતુઓ છે પ્રથમ જય વિજય ,બીજુ જલંધર ,ત્રીજું નારદનો શ્રાપ, ચોથું મનુશત્રુપાનુ તપ અને પાંચમું રાજા પ્રતાપભાનુ મળેલો બ્રહ્મજ્ઞાનનો શાપ.
પાંચ જગ્યાએ ખોટું બોલી શકાય. વિનોદમા,વિવાહમાં ,વેપારમાં પ્રાણ સંકટમાં હોય તો અને ગાય બ્રાહ્મણ ના રક્ષણ માટે. પરંતુ તલગાજરડા માને છે કે ખોટું એ તો ખોટું જ છે. શબ્દના સ્વયંસેવકો બેઈમાન બને  તો કોણ સાંભળે ?સત્ય પ્રેમ અને કરુણા એ ત્રિભુવન છે .ગ્રંથ મહાન હોય છે. કોઇપણ સ્થળે અને સમયે આશ્રિતને એકલો ન છોડે તે બુદ્ધ પુરુષ .મોટા માણસ સુતા રહે તો ગડબડ થાય ,તેણે જાગવું જોઈએ. સત્યના ઉચ્ચાર અને સ્વીકારથી સત્યસ્થ થવાય.
રામાયણમાં રામ અવતાર પહેલા રાવણ જન્મની કથા છે .પહેલી નિશાચર બીજી રઘુવંશ અવતાર ધારણ કરવાનું વચન પાપાચારનો નાશ કરવા માટે. રઘુકુળ દશરથ જી ના ઘરે વશિષ્ટના કહેવાથી યજ્ઞ કરવાનું વચન અને તેના પ્રસાદથી માતા કૌશલ્યાના કૂખે ભગવાન રામે જન્મ ધારણ કર્યો. રામનુ અવતરણ થયું.
------આજનું કથા વિશેષ-------------
--આજના મહેમાન મોલાના સરફરાજ નકવીએ કહ્યું "ખુદા ,ભગવાને માણસ ને એટલા માટે બનાવ્યો છે કે સૌ હળી મળીને રહે .તલગાજરડા પ્રેમને વેહેચે છે. માટે લોકો દુનિયાના ખૂણે થી પ્રેમ મેળવવા આવે છે. ભગવાનને ગુરુ માંથી ગુરુના ચરણ પકડો તે જ મુકામ સુધી લઈ જશે .હિંદુ-મુસ્લિમ સૌ અહીં પ્રેમ પામવા આવે છે. જવાનોની માતાઓને સો સો સલામ.
--80000 શ્રોતા-ભક્તો એ કથા પ્રસાદનો લાભ લીધો.
- પુ.બાપુ સ્વયંસેવકોને પણ મળ્યા અને તેની સેવા ને સાધુ વાદ આપ્યા.
---આજના મહેમાન હતા. કથાકાર જીગ્નેશ દાદા, મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગોવિંદભાઈ ધોળકિયા, સાયલાના મહંત દુર્ગા દાસ બાપુ ,સાંસદ પૂનમબેન માડમ અને ભાવનાબેન મકવાણા વગેરે.
---રકતદાનની સરવાણી નો આંકડો આજે 111 બોટલ સુધી પહોંચી ગયો--- તખુભાઈ સાંડસુર -વેળાવદર

Saturday, November 3, 2018


માનસ -ત્રિભુવન દિવસ પાંચમો તારીખ 31 -10-18
રાષ્ટ્રનું ભાવિ ઉજ્જવળ છે કારણ કે અહીં સાધુતા ધરબાયેલી છે: પૂજ્ય મોરારીબાપુ.
વ્યાસપીઠની સરદાર સાહેબને શબ્દાંજલી.

ગુર્જરધરાનો આજનો દિવસ એકતા ના મશાલચી સરદાર સાહેબને નામે અંકિત થયેલો હોય અને પૂજ્ય મોરારી બાપુની વ્યાસ ગાદી તેના શબ્દપોખણા મા મોડું કરે એવું અસંભવ જ છે .લગભગ પૂજ્ય બાપુના શબ્દપુષ્પો સભામંડપમાં શરૂ થયા બસ એ જ સમયે ભારતની એક વિરાટ પ્રતિભાની આભે આંબે એવી પ્રતિમા રાષ્ટ્પૅણ થઇ રહી હતી.
 પૂજ્ય બાપુ વાણી, વિવેક ના રસથાળ ને પીરસતા જણાવ્યું .સરદાર તો સરદાર જ છે.હું બારડોલી જાઉં છું જ્યાં ગાંધી-સરદાર જેવા મહાપુરુષોએ નિવાસ કર્યો હતો.તેજ ઓરડામાં નિવાસ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડે છે .ભાવનગર નરેશ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વલ્લભભાઈને સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દઈ અખંડ ભારત ની કેડી કંડારી તે રાજાને પણ ન ભૂલી શકાય.
સરદાર વલ્લભભાઈ ના જીવનના પ્રસંગો ટાંકીને તેઓને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. પરંતુ એક નોંધપાત્ર ઘટના એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યારે પૂજ્ય બાપુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમર્પણ ત્યાગની વાત કરતા તે સમયે વડાપ્રધાનશ્રીએ રાજવીઓની ત્યાગ ભાવના ને જીવંત રાખવા સઘળા રાજવીઓનુ  એક નમૂનારૂપ સંગ્રહાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે જ નિર્માણ કરવા સૂચિત કર્યું.
પૂજ્ય બાપુએ આધ્યાત્મિક ચર્ચાનો દોર હાથમાં લેતા કહ્યું," ગુરુ નવ પ્રકારના હોય પણ તેમાં સર્વોચ્ચ ગુરુ પદ ત્રિભુવન ગુરુ છે .વૈશ્વિક રીતે તે છે મહાદેવ. અધ્યાત્મ જગત દ્રશ્ય -દ્રષ્ટા બંને ને જુએ છે .જ્યારે ભૌતિક જગત ને દ્રશ્ય દેખાય છે .પીર -સદગુરુ પરિચયમાં પાંચ તત્વો છે .(1)જ્યા પડદો ન હોય. પરદો મતલબ દંભ પાખંડ. ગાંધીજીએ મુસ્લિમ મહિલાઓનો પડદો હટાવી દીધો હતો .પીર કે સામને પરદા કે ક્યા?(2)જ્યા પ્યાલો હોય ત્યાં પીર (.3)જ્યાં પરચા હોય ત્યાં પીર .પરચો એટલે ચમત્કાર નહિ, પણ ખરો પરિચય .જુઓ અહીંયા સઘળું ગોઠવાઈ ગયું .રોજના 40 -50 હજાર લોકો  ભોજન પ્રસાદ પામે છે .તેમા કોઇ અલૌકિક તત્વનો પરિચય થઈ જતો હોય છે . (4)વિશ્વમાં કોઈ પામર ન ગણે તે પીર (5)જગતમાં ગમે તેટલા પદ મળે તો એના ઘરે તે પીર.
ગુરુના નવ પ્રકાર છે .પેલો કાનગુરુ બીજો કુલગુરુ ત્રીજો રાજગુરુ ચોથો ધર્મ ગુરુ પાંચમો સદગુરુ. ધર્મગુરુ ઘણાં હોય પણ સદગુરુ એક જ હોય. અથવા વધુમાં વધુ ચાર .માનસમાં ચાર સદગુરુ નો ઉલ્લેખ છે .તે નહીં ભ્રમિત કરે તે નહીં પણ ભ્રમ ભાંગે તે સદગુરુ. છઠ્ઠા જગત ગુરુ ,દાખલા તરીકે તુલસીદાસજી સાતમાં ,આઠમાં રાજ્યગુરુ અને નવમા ત્રિભુવન ગુરુ. ત્રિભોવન દાદાએ એ ત્યાગ અને બલિદાન આપતા શીખવ્યું. શંકર ની પરંપરા ધ્યાનથી શરૂ થઈ. દાદા બેરખો ફેરવતા ત્યારે આંસુ સરતા તે તેનું ધ્યાન હતું .પરમાર્થની છાયામાં આખું જીવન નિવૉહ થાય  એવુ જીવન એ જીવન ગુરુ.
       કથાના ક્રમને સંભાળતા પૂજ્ય બાપુએ શિવ-પાર્વતીના વિવાહનું પ્રવાહી વર્ણન કર્યું . જંજાળ ને શૃંગાર બનાવે તે શિવ અને તેના મસ્તિષ્કમાં ગંગા હોવી જોઈએ. શંકર પ્રતીકાત્મક કહે છે કપટ રહિત ખુલ્લા મનના રહેજો. ભૂત પ્રેત તેના વિચારો જીવને શિવ થતા અટકાવે છે. પોતાની કથા શૈલીમાં સૌ શ્રોતાઓને દુહા ચંદ ચોપાઈઓથી તરબોળ કરી દીધા .લગ્ન નામહત્વ પર ભાર મૂકી સુંદર રમૂજ કરી કે લગ્ન ગોઠવવા જોઈએ જેનો હજુ મેળ પડ્યો નથી. તેનું ક્યાંક થાળે પડી જાય તો રામ રાજી .સુમંત જ્યારે રામને વનમાં મુકવા જાય છે ત્યારે દાદા ગુરુએ રથ નું વર્ણન કર્યું છે. 1,સૂર્યરથ જેના ઘોડા શ્વેત છે. 2, સુમંત જેનાથી સારથી છે તે દશરથ નો રથ .જે રામને તેડવા માટે મોકલવામાં આવેલો. 3,મહાભારતમાં કૃષ્ણ જેના સારથી છે તે અર્જુન રથ. બધામાં ઘોડા શ્ર્વેત છે .કૃષ્ણના ઘોડાઓ એ યુદ્ધની વ્યુહરચના આપી.જ્યારે રામના અશ્વોએ શીલ, વિવેક ની ભેટ આપી . શિવ વિવાહ સાથે આજની કથાનું સમાપન થયું
 ------આજનું કથા વિશેષ---
----આજના મહેમાનો  પૂજ્ય નિમૅલાબા- પાળીયાદ, નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર,ગોવિંદ બાપુ  સતાધાર, રામ બાપુ ,અર્જુન ખાટરીયા ગોંડલ , કબીર ભાઈ પીરઝાદા એકલબારા ,અને નાના ભાઈ રોયલા હતા.
--પુજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ પોતાના પ્રવચનમાં બાપુના મુખેથી કથા શ્રમણ નો લાભ લેવો તે એક સદ્ભાગ્ય ગણાય.
--પૂજ્ય બાપુએ પીર જગ્યાઓમાં થયેલી કથા ને યાદ કરી ને સઘળી વ્યવસ્થાઓ કોઈ અગમ્ય શક્તિથી જ સંચાલીત થતી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
--પૂજ્ય બાપુએ પોતાના પિતાશ્રીના રેશનાલિસ્ટ વિચારો એટલે કે ચમત્કારોથી અંતર જાળવી રાખવાનું તેમનામાં ઉત્તરી આવ્યાનો સંકેત કર્યો.
--ઉદયપુરના એક શ્રાવકનું અગ્નિશામક તરીકેની તેમની ભૂમિકા માટે નોંધ લઇ વ્યાસપીઠ તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યું.
---જાણીતા તબલચી હાજી રમકડું પણ આજની કથામા આવીને મંચ પર સંગીતકારો સાથે સ્થાન લીધું હતું .આજની કથા 2: 00 કલાકે વિરામ પામી હતી.