Wednesday, January 2, 2019

Ganika gun lekh 2-1-19

ગણિકા કથા : ગુણાનુવાદ અને સંસ્થાપન સાદ

--તખુભાઈ સાંડસુર

મોરારિબાપુની ચાલ કયારેક 'આડબીડ 'અનુભવાય છે, પણ તેને ન સમજનાર માટે ! અન્યથા તેનો ચીલો કાયમ લેખમાં મેખ બનીને દેખાયો છે. ગણિકા ગુણાનુવાદ અને તેના સંસ્થાપન માટે સાદ પાડનાર તે પહેલા સંત વિભુતિ હશે. ભલે હિન્દી ચેનલો હંમેશા તેને કથાવાચક તરીકે સંબોધિત કરીને તેની છબીને સીમિત દાયરામાં લાવવા મથતી હોય .પરંતુ તેની કાર્યરીતિ તેને સંત વર્તુળમાં સવાયા કરી બેસાડે છે. તેમની પ્રસંશા નથી કરવી ,પણ વાસ્તવિકતા સાથે જોડાઈને તેના આંતરમનને ઝાંખવું છે. છેલ્લા બે વર્ષથી તેમનો મનસુબો સેકસ વર્કર માટે કલ્યાણક કામ ઉપાડવા એક કથા કરવાનો હતો. આ બાબતનો જયારે જાહેર ઉલ્લેખ  કરાયો ત્યારે ઘણાનાં ભવાં ખેંચાયા હતાં. કારણ કે એક તો પોતે અધ્યાત્મિક નેતૃત્વના રોલ મોડલ અને બીજી તરફ સમાજના દુષણને પોષતો, વિકસાવતો કિચડ બદબો ધરાવતો સેકસ વર્કરનો સમુદાય બંનેનું જોડાણ અસંભવ લાગે, પણ આતો મોરારિબાપુ!! આ યજ્ઞ અયોધ્યામાં રર ડિસેમ્બર થી ૩૦ ડિસેમ્બર વચ્ચે આરંભ્યો અને પાર પણ સુપેરે પડ્યો.
મોરારિબાપુના આંખના ખૂણાં એવા લોકો માટે ભીના થતાં અનુભવાયા છે કે જાણે તે કહેતા હોય 'જેનું કોઈ નથી તેના માટે હું બેઠો છું 'મીન પિયાસી કહે તેમ 'પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈનું સુખ દુઃખ પુછયું તું 'આજ મંત્ર સાથે માત્ર પૃચ્છા નહીં પરિણામ સુધી જવાની મહેચ્છા સમાજ નવ નિર્માણ, રાષ્ટ્ર કલ્યાણ, સંસ્કાર પુનરૂત્થાનની અખંડ જયોત તેમના હાથમાં કાયમ દેખાઈ છે. તેનો કથા ઈતિહાસ સાક્ષી પુરો છે કે તેણે માત્ર રામનામનો નહી પરંતુ રામકાર્યનો મહિમા સ્વીકારી તેને મહિમાવંત કરવા મથામણ કરી છે. અયોધ્યા ગણિકા ગુણગાન માટેનું કેન્દ્ર બિંદુ તો બન્યુ પણ તેમના પ્રસ્થાપન માટેનો સાદ ઝીલનાર સાબીત થયું
નગરવધુઓ માટેની કથા અયોધ્યામાં કરવા કેટલાક લોકોના શાબ્દિક વિરોધનો ભોગ પણ બનવાનું આવ્યું. નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ જયોતિષ શોધ સંસ્થાનના પ્રવિણ શર્મા તથા દાંડિયા મંદિરના વડા વ્યાસજીએ કહ્યું કે, બાપુએ મુંબઈની આ પ્રોસ્ટીટયુટને અયોધ્યામાં નિમંત્રિત કરીને અહિંની પવિત્રતાને ક્ષુણ કરી છે. આવી રજુઆત આદિત્યનાથ સુધી થઈ જો કે આવો વિરોધ કરવા કોઈ કથા સ્થળે ફરકયું નથી. બાપુએ તેનો ઉત્તર આપતાં કહ્યું,
'કુછ તો લોગ કહંગે લોગો કા કામ હૈ કહેના,
છોડો બેકાર કી બાતો મે બિત ન જાયે રૈના'
મોરારિબાપુ ગમે તેવા વિરોધ વંટોળને શાંત કરવા કે સમાવી દેવા હંમેશા સક્ષમ સાબિત થયા છે. તેમની સર્વજન હિતાય, સર્વજન સુખાય વૃતિ પ્રવૃતિ સૌના માહ્યલાંને આંતરખોજ કરી તેના કદમો પર ચાલાવા પ્રેરક બળ બની જાય છે.
પૂ. મોરારિબાપુ આ કથા દરમ્યાન ગણિકાઓના ગુણોનું વિવેચન કરતા કહે છે કે, ગણિકા બહેન બેટીઓમાં પણ સમર્પણ, ત્યાગ, સમાજ કલ્યાણ, કુટુંબ ભાવના તથા કરૂણા જેવા સદગુણો શાશ્વત છે. વેદ-ઉપનિષદોની અનેક બીનાઓ તેની સાક્ષી છે. પોતાના પરિવાર માટે સ્વને બજારમાં મુકવાની વાત કેવા સમર્પણની અનુભુતિ કરાવે છે. કાશ્મીરની  મહાનંદા નામની એક ગણિકા ધર્મ અને ભક્તિમાં અવલ્લ હતી. તેની શિવભક્તિ તેને સોમવારે મૌન રખાવતી, એક વખત એક વેપારી ગ્રાહક તરીકે આવે છે. તેના કંગન પર મોહિત થઈ ,ત્રણ દિવસ સુધી તેની બની જવા વચનબધ્ધ થાય છે. પેલો વેપારી સળગી મરે છે, અને કહેવાય છે કે મહાનંદાએ તેને ત્રણ દિવસનો પતિ માનેલો એટલે પોતે પણ અગન પછેડી ઓઢી લીધી બોલો... કેવું સમર્પણ...!!
સમાનતાના મહામંત્રને સ્વીકારેલું તેનું બારણું જાતિ, વર્ણ, પ્રદેશનો ભેદ ઉભુ કરતું નથી અરે...! તમામનો સ્વીકારધર્મ કેટલું કઠીન કાર્ય ? આ કથા કામની કથા નથી હરીનામની કથા છે. રામ કાર્ય કરવા ગણિકા પુત્રોનો ખુબ મોટો હિસ્સો હતો. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ એક ગણિકાને રાણીનું પદ આપી તેના નામનું નગર અને માર્ગનું પણ નામા ભિધાન કરેલું આ કથા કોઈ રેકોર્ડ માટે નથી પણ રીગાર્ડ માટે છે. સમાજ સાધન શુધ્ધ હશે તો આપોઆપ પરિવર્તન આવશે. ઈન્દ્રલોકની અપ્સરાઓ પણ એક ગણિકાઓનું જ સ્વરૂપ છે. અભિસારિકાના બે પ્રકાર છે. એક વેશ્યા (બાપુએ ઉલ્લેખ કર્યો કે આ શબ્દ મારે બોલવો  પડે છે. જે હું બોલવા માંગતો નથી તેમ કહી ગણિકાઓનું સન્માન જાળવ્યું) બીજુ ગણિકા .આ સ્વમાનનો યજ્ઞ છે. ઉપેક્ષિત, પીડીત વંચિત માટે વ્યાસપીઠ હાથ લાંબો નહીં કરે તો કોણ તેના માટે કરૂણા પ્રગટાવશે. માનવ સ્વભાવના તમામ સદગુણો આ બહેન- બેટીઓ ધરાવે છે. તેના પુનરૂત્થાન માટે પણ સમાજે આગળ આવવું જોઈએ. કોણ અહીં નિર્વિવાદ છે ? જરા પોતાની અંદર નજર કરો ? અરે... શ્રી હનુમાનજીના માતા અંજની પુર્વ જન્મમાં આપ્સરા સ્વરૂપ હતાં. આ નિવેદને સાધુ સમાજના મંચને ફરી ખળભળાવ્યો હતો. એક મહાત્મા વિરોધ પ્રગટાવવા ઉભા પણ થઈ ગયા, પરંતુ કથાગંગા ફરી એજ પ્રવાહમાં સંતુલિત થઈ વહેવા લાગી.
સકેસ વર્કર માટે તેમના સંતાનોના શિક્ષણ અને આરોગ્ય માટે ફંડ એકત્રિત કરવાના સાદને બહોળો પ્રતિસાદ મળતા દાન પ્રવાહને શનિવારના બદલે શુક્રવાર સુધી જ સમિતિ રાખવામાં આવ્યો. તો પણ આ રકમનો આંકડો ૬ કરોડ ૪૬ લાખ સુધી પહોંચી ગયો, જે અનઅપેક્ષિત હતો. દેશના વિવિધ શહેરોમાં ૬ લાખ પ૮ હજાર જેટલી કોલગર્લ હોવાની વિગતો મળે છે. તેમના સંપુર્ણ પુનરૂત્થાન માટે કાર્યારંભ થશે. જાન્યુઆરીમાં આ રકમ બિન સરકારી સંસ્થાઓને સુપ્રત થશે. ગણિકા પુત્રીઓના લગ્ન કરાવવાની પણ મોરારિબાપુએ તૈયાર દર્શાવી. સમાજની મુખ્યધારામાં જોડાવા તૈયાર બહેનોને સંપુર્ણ પણે મદદરૂપ બનવાની નેમ વ્યકત થઈ. પોથીજીનું નિર્વવહન કરીને ગણિકા બહેનો તો ધન્ય થઈ પણ સમાજમાં સંદેશ ગયો કોઈ ઉપેક્ષિત નથી સૌનો સ્વીકાર એ જ માનવધર્મ.
મુંબઈથી આવેલી એક સેકસવર્કરે કહ્યું કે આ રામકથાનું નિમંત્રણ પ્રાપ્ત થયું તેને અમારા સદભાગ્ય સમજીએ છીએ. અમને લાગ્યુ કે કોઈતો અમારી સંભાળ લેનાર, કરૂણતા પ્રગટાવનાર છે. અમે પણ સમાજનો એક હિસ્સો છીએ. આવતા દિવસોમાં અમે ભક્તિમાર્ગથી સુંગધિત થઈ આ વ્યવસ્થાને તિલાજલિ આપી સમાજના એક અંગ તરીકે જીવવાની એષણા જાહેર કરીએ છીએ. બાપુએ અમોને બેટીઓ તરીકે સ્વીકારી છે તો અમારી પણ જવાબદારી વધે છે.
રામ જન્મભુમિ ન્યાસ સમિતિના અધ્યક્ષશ્રી નૃત્ય ગોપાલદાસજીની સંનિધ્ધિ અને અનેક સંતગણોએ આ ભવ્ય ક્ષણોના સાક્ષી થવાનો અનેરો અવસર પ્રાપ્ત કર્યો. સ્ત્રી અપરાધોના હર્ડસની ભુમિકામાં રહેલી આ કોલગર્લને રામભજનમાં ઝુમતી જોયા પછી લાગે કે જરૂર નવ નિર્માણના પગરણ થશે.

No comments:

Post a Comment