Wednesday, December 19, 2018

ગાંધી વિચારનું શિક્ષણ : સાંપ્રત અને સતત

------લે તખુભાઈ સાંડસુર

ગાંધી વિચાર આજે પણ તરોતાજા અનુભવાય છે. તેને મમળાવતા એક લખલખું પસાર થઈ જાય છે ,આવુય હતુ આમ પણ હોય !! એક સદી વળોટયા પછી પણ તે નૂતન નવનિર્માણની જાણે અગમ ઝાંખી હશે તેમ સમજાય છે. સાબરમતી કે જહોનીસબર્ગનો સત્યાગ્રહ આશ્રમ બાપુને અનુભવે સૂવર્ણ સત્ય લાધે છે.અને તે વરસો પછી પગદંડી ,ઉદીપક સાબીત થઈ રહ્યુ છે. તેના વૈચારિક દોહનથી પ્રાપ્ત નવનીતરૂપ નીતિનું આવિષ્કરણ માત્ર આપણાને સૌને નહી બલ્કે વિકસીત દેશોએ પણ સ્વીકારેલું ભીતસત્ય છે.

ગાંધીયન દ્રષ્ટિ પંચ પ્રાણતત્વોને અનુસરે છે. આખી શિક્ષણ વ્યવસ્થાનો ડ્રાફ્ટ જાણે આપણી ભૌગોલિક ,આર્થિક, સામાજિક સ્થિતી લેબાસને ધ્યાને લઇ બનાવાયો છે .આ સારભૂત તત્વો છે. સમુહજીવન, ખાદી ગ્રામોદ્યોગ, સ્વાવલંબન, શ્રમ ગ્રામ વિકાસ, ચરિત્ર નિર્માણ.


ગાંધીજીએ વર્ધાશિક્ષણ યોજના- ૧૯૩૭માં આ બાબતને અગ્રહરોળમાં મુકી છે.જો કે ગાંધી એટલે પ્રયોગશાળા ,ગતિશીલતાને તેમના જીવનના પર્યાય તરીકે સ્થાપિત કરી શકાય.તે કોઈ જાતિ કે પ્રણાલીને અમલમાં મુકે પછી સમાયાંતરે ફેરફારો સ્વીકારવામાં તે જરાય સંકોચાયા જણાયા નથી. હા, તેના અંતેવાસીઓ કે અનુગામીઓએ તેમની વૈચારિક ભૂમિકા ને વધુ પડતી રૂઢ કે ગતાનુગતિક બનાવી દિધાની માન્યતાઓ પ્રવર્તે છે. પરંતુ તેને નખશીખ જાણનાર કે ઓળખનાર એવી જરૂર પરખ પામ્યો છે કે તેનું સમગ્ર જીવન આઈસ્ટાઈનની પ્રયોગશાળાથી પણ બહુલ ક્ષેત્રફળ ધરાવે છે.

સમુહજીવનની પ્રાથમિકતા આપણા સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં મહત્વનું છે .છાત્રાવાસ કે શાળાકીય શિક્ષણ "સૌ આવો સૌ આગળ વધો"ની સામુહિક વિચાર દ્રષ્ટિ -સમાનતા મૂલ્યેને સંવર્ધિત કરે છે, પોષે છે. આપણી વૈવિધ્યપૂર્ણતા સૌને સ્વીકાર કરવા સતત સાદ પાડે છે. ધર્મ, જાતિ, સંપ્રદાય કે પ્રદેશ વિભિન્નતા બાળકમાં અલગતાવાદના અંકુરોનું જન્માનવે સમાજના ચેતો વિસ્તારમાં એવી વાત રૂઢ થાય કે "આપણું છોને બધુ જુદુ હોય તો પણ આપણે સૌ એક છીએ "આ બાબત ત્યારે પણ આઈએમપી. હતી,ને આજે પણ છે. શિક્ષણના પાયાના સિદ્ધાંતોમાં આ ફુલને ગુંથી લઈ નાગરિક નવનિર્માણનો આધાર સ્તંભ પ્રસ્થાપિત રાખી શકીએ .તો અને તોજ અરે ત્યાં સુધી આંતરિક યુધ્ધ જેવી સંકટ ઘડીને થભાવી શકીશું. રાષ્ટ્રીય એકયને જાળવી રાખવામાં પણ સફળતા હાંસલ થઈ શકશે. સમુહજીવનના સહગોઠી કે તેના આંતરિક અંગ તરીકે સહજીવનને મહત્વ અપાયુ છે .બાળકમાં લિંગ ભિન્નતા અનેક પ્રશ્નો ઉદ્‌ઘાટિત કરે છે લૈગિક સામ્યતા તદુરસ્ત સ્પર્ધા, સંશોધન સહકારિતાને બળ પુરૂ પાડે છે. છોકરા છોકરીની ભેદરેખા સ્ત્રી જાતિય ગુનાખોરી તરફ ખેચી જવાના પણ તારણો નીકળ્યા છે. સહજીવનના ક્ષુલ્લક ભયસ્થાનોથી ભાગી તેને તરછોડી દેવી તે અન્યાય કર્તા છે. છોકરા- છોકરીમાં એક મંચની પૂર્તતા બનવાનું સામર્થ્ય પણ નિર્મિત થાય છે.

ખાદી -ગ્રામોદ્યોગનો શિક્ષણમાં સમાવેશ કરવા પાછળ ગાંધી સિધ્ધાંત એ હતો કે ગ્રામકારીગરોને રોજગારી મળે અને પોતાના ઉત્પાદનનું સરળતાથી બજાર પણ મળે. ઓછું ભણીને પણ સરળથાથી ગુજરાત ચાલી શકે, તેટલી રોજગારીની સરળતા થાય. સરકારી નોકરી મેળવવાના હતોત્સાહથી બચી જવાય. એટલુ જ નહી શુન્ય તાંત્રિકીથી વિદ્યાર્થી પોતાનું કૌશલ્ય નિર્માણ કરી શકે. આ તમામ બાબતો આજે પણ વિકસીત રાજ્યને લાગુ પાડવા ગરમાગરમ જરૂરીયાત છે. નગરો તરફ વધી રહેલી દોડમ દોડ ગ્રામસમાજ જગતને એક મહાકાય નિરાશામાં ધકેલતુ રહ્યુ છે. શહેરી કરણનું વિસ્તૃત થતુ જંતુ જાળુ નવા પ્રશ્નો- સમસ્યાથી ઘેરાઈ રહ્યુ છે .તેથી ઉક્ત બાબત આજે પણ એટલી જ સાતત્ય ધરાવે છે.

સ્વાલંબનનું જોડાણ આત્મ સન્માન સાથે છે. જે પોતે પોતાનું બધુ જાતે કરી શકે તેમણે અન્ય કોઈ પર આધારિત રહેવાની જરૂર રહેતી નથી. અમેરિકા ,બ્રિટન, જર્મન અને જાપાન જેવો દેશોએ વર્લ્ડ ઈકોનોમીકલ સ્ટ્રોંગ સર્કલમાં પોતાની હાજરીની સતત પુષ્ટી કરાવી છે. ગાંધી પરિરૂપને અનુસરીને પશ્ચિમી જગત પણ તેનાથી અભિભૂત થવામાં બાકાત નથી. ગાંધી દર્શન રસોઈકળાથી શૌૈચાલય સ્વચ્છતા સુધીની સફળતામાં ક્યાય લડખડાતુ નથી. જ્યારે તમે બધી બાબતમાં પાવરધા છો. તો કોઈ કામ તમને ક્યાય પજવી શકતુ નથી. સુખનો પહેલો 'સ્કવેકટ'તમને અહીથી પ્રાપ્ત થાય છે. આશ્રમજીવનમાં ગાંધીજીએ અનુસર્યુ તો ખરૂ પણ કેળવણીમાં પણ તેનો અમલ કરાવ્યો. આજે પણ બુનિયાદી સંસ્થાઓ 'જાતે કરો અને જીવી જાણો' ના મંત્રથી ચાલે છે. મેકોલ પેટર્ન સૌને પાટલી પર એટલે કે જમીનથી દોઢ ફુટ ઉચે બેસાડી શ્રમ અને સ્વાલંબનની સુગ પેદા કરી છે.તેનાથી આજે પણ આપણી શિક્ષણ વ્યવસ્થા આંસુ સારતી નજરે પડે છે. સમયબધ્ધ આયોજનથી જો આપણે હજુ તેને અમલી બનાવી શકીએ તો રાષ્ટ્ર કલ્યાણના નવા દરવાજા ખૂલ્યાનો અહેસાસ થશે.
        બાપુ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી પ્રથમ વખત જેલમાં ગયા. તેના વોર્ડર આદન એક હાથે અંપગ હતો. ગાંધીજી સવારે ૪ કલાકે ઉઠીને પ્રવૃત્તિમાં પરોવાતા .ચાર કલાક કાંતણ , બે કલાક પીંજવવાનું કામ કરતા કરતા તેની આંખો દુઃખી ગઈ. આરામ કરવાનું સુચન તબીબોએ પણ કર્યુ, પણ તેનો ઉત્તર વાળતા ગાંધીજીએ કહ્યું ' સુર્ય પોતાનું કામ છોડે છે તેના નીકળવાથી પ્રકાશ મળે છે તો આપણે શા માટે છોડવુ ? 'ગાંધીજીેએ ખોરાક થોડો છોડ્યો, પોતાનું કામ નહી. તેથી શિક્ષણ માત્ર અમને પાયારૂપ ગણતા .શ્રમની શિક્ષણમાંથી બાદબાકીએ અનિયમિતતા, અરાજકતા અનિષ્ટોને ઉભા કર્યા છે. સરકારી નોકરીઓ પાછળની દોટનું એક કારણ કામચોરી પણ છે. ઈજનેર છે પણ તેને પાનુ પકડવુ નથી. કૃષિના વૈજ્ઞાનિક ખેતરની માટીમાં પોતાનો પગ અડાડવો નથી .આ માનસિકતા એ સમુળી શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરી છે. બુનિયાદી શાળાઓ શ્રમનું મહત્વ આંકી નિષ્ઠાવંત નાગરિક રાષ્ટ્રચરણમાં ધરવાનું પૂણ્ય કાર્ય કરી રહી છે. ભારતના પાયામાં ગ્રામજગત છે. તેની સતત ખેવના ,ચિંતા પાયાનું કામ છે.

અંતિમ પડાવમાં આવે છે ચરિત્ર નિર્માણ.શિક્ષણના પાયાના મુલ્યોમાં આ હેતુ અમુલ્ય છે. રાષ્ટ્રના અફાટ અને એકસપ્રેસ વિકાસમાં ચરિત્રવાન નાગરિકનો જ ફાળો હોય શકે .વિકસીત રાષ્ટ્રોના સિધ્ધાંતો, નિષ્ઠા બધુ ૨૪ કેરેટ સોનાથી જરાય ઉતરતું નહી હોય.સાંપ્રત યુગના શૈક્ષણિક આયામો ટેકનોક્રેટ કે તોખાર તબીબો જન્માવી શકે છે .પરંતુ તેનામાં માણસ ઉભો કરવાની વાત તો અધુરી જ જણાય છે. માર્કસને મહત્વ આપીને 'મમતા'ની 'ખો'અપાઈ ગઈ છે. પ્રેવશની ભાંજગડ પ્રેમને ભુલી ગઈ છે. રેન્કને હાંસલ કરવામાં રાષ્ટ્ર બીજા નંબરે ધકેલાયુ છે. એક એક બાળકમાં ભાઈચારો ,પ્રેમ સહઅસ્તિત્વ ,નિષ્ઠા, સત્ય સતત રૂઢ થાય તે માટેના કાર્યક્રમો, અભ્યાસક્રમ ગાંધી વિચારની પ્રાથમિકતા છે. બુનિયાદી શાળાઓ આજે પણ વ્યાખ્યાનો, પ્રવૃત્તિઓ થકી આ દિશામાં અડગ કદમમોથી આગળ વધી રહી છે.

ગાંધીજીએ તેમના પ્રયોગોમાં આ તમામ વિગતોને અમલમાં મુકીને તેમા યતકિંચિત ફેરફારો પણ કર્યા છે .ગતાનુગતિક પ્રવૃત્તિમાં આવશ્યક ફેરફાર પણ થતાં રહેવા ઘટે .દા.ત આજે હવે રેટિયો પ્રસ્તુત નથી તો તેના સ્થાને કમ્પ્યુટર કે અન્ય ટેકનોલોજીને અપનાવી રહી .ગ્રામજગતમાં વિકસતા રહેતા ગ્રૃહઉદ્યોગોનું જરૂરીયાત સાથે સાતત્ય કેળવી શિક્ષણમાં વણી લેવાય તે જરૂરી છે. ગાંધી વિચારના શિક્ષણનું મહામંથન અને તેનો અમલ 'બાપુ'નેખરી શ્રધ્ધાંજલી જ ગણાય.



No comments:

Post a Comment