Sunday, January 20, 2019

ગાંધી આચાર અને નીતિ સદા સર્વદા લાઈવ

                 ---તખુભાઈ સાંડસુર

જે કોઈ જીવનનું ખરું સત્ય સમજ્યો હોય તેના ગમતા માણસની યાદીમાં મોખરે હોય મોહનલાલ કરમચંદ ગાંધી. ગાંધી સાહિત્યનો અનુવાદ માત્ર ભારત નહીં બલ્કે વિદેશી ભાષાઓએ તેને ટાંચકા ફુટે તેવા પોખંણાથી આવકાર્યો છે. આ સ્વીકાર્યતા તેની શ્રેષ્ઠતાનો ઈલ્કાબ ગણાય.

બાપુએ છ દસકા સુધી જાહેર જીવનમાં કાર્ય કર્યુ. તેમણે જે અનુભવસિધ્ધ આચાર ઉભો કર્યો, તારવ્યો તે આજે સતત જરૂરીયાત થઈ પડઘાય છે. પોતાના જીવનની પારદર્શિતા કે નિર્ભેળ સત્ય રજૂ કરવામાં તે તસુભારે'ય ખોડંગયા નથી. 'સત્યના પ્રયોગો ' કથાનક તરીકે તો ઉત્તમ સાહિત્યકૃતિ છે જ, પરંતુ તે વૈશ્વિક સ્તરે અવલ્લ નંબરે ગણી શકાય.તેના નિરૂપણમાં રજૂ થયેલી ઘટનાઓ સૌ કોઈને વૈચારિક ગર્ભમાં ધકેલી દે છે. કોણ એવો શુરો સાહિત્યકાર મળે કે પોતાની સુહાગરાતના ઓરડાનું ચલચિત્ર આલેખે !? આ રહ્યાં તે શબ્દો.

''ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્નીને કોણે શિખામણ આપી એ તો મે પુછ્યું હોય તેવું યાદ નથી. હજુ પુછાય એમ છે. વાંચનાર એટલું જાણે કે અમે બન્ને એમ બીજાથી ડરતાં હતાં. એવો ભાસ આવે છે. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ?''

આગળ પણ આવી જ આકાશી ખુલ્લાપણાથી વિસ્તરીત જો કે છતાંય એટલી જ સંયમિત વાત પ્રસ્તુત થઈ છે. વર્તમાન સમય છળકપટ અને ઢાંકો-ઢુંબો કરવાનો યુગ ગણાય .ત્યારે માત્ર સામાન્ય જાહેર વહિવટમાં નહીં પણ જીવનની તમામ ગડીઓ જાહેરમાં મુકવાની આવશ્યકતા સતત દરવાજા ખટખટાવે છે.

બાપુ, અદના, અત્યંજ વ્યક્તિ સાથે સંવેદનાયુક્ત દેવદુત બનીને હંમેશા ઉભેલાં જણાયા છે. જીવનપર્યંત અગરખા વિહોણુ ખુલ્લું શરીર રાખવાનો દ્રઢ સંકલ્પ પાળવા તે ગોળમેજી પરિષદને ગોળી મારવામાં સહેજે'ય અટક્યા નથી. દલિતની પીડા-યાતનાને પોતીકી ગણીને તેઓએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરેલી કે હું પુનર્જન્મ માંગતો કે ઈચ્છતો નથી પણ જો મળવાનો જ હોય તો મને હવે પછીનો જન્મ અતિશુદ્રનો પ્રાપ્ત થાય !! આજનું ભારત લગભગ બે ધ્રુવોમાં વિભાજીત થઈ ગયું છે. અમીર અને ગરીબ. શિક્ષણ, પરિવહન ,આરોગ્યમાં આ ભેદ વધુને વધુ પહોળો દેખાઈ રહ્યો છે. ક્યો રાજનીતિજ્ઞ આવી કઠોડાબંધ ચિંતા કરે છે. તળીયાથી ટોચ સુધીના સત્તાવાહકોએ ઋજુતા સભર નીતિ વ્યવસ્થા, નિર્માણ માટેનું એક આહવાન ગાંધી ૧પ૦ જન્મજયંતિને ગણવું જોઈએ. આપણી આર્થિક નીતિ ગ્રામજગત, વંચિતલક્ષી હોય તે એટલું જ જરૂરી છે.

ગાંધીજીનું જીવન એકબીજી વાત પણ કહી રહ્યું છે તે છે ચરૈવેતી..ચરૈવેતી....સને ૧૯૮૭થી એટલે કે આપની ૧૮ વર્ષની ઉંમરથી પરિભ્રમણ કરવાની શરૂઆત કરી. સમગ્ર ભારત વર્ષ સિવાય બાપુએ યુરોપ અને આફ્રિકા ખંડનો પણ પ્રવાસ કરીને તેમાંથી સ્વના ઘડતરના પાયા મજબુત કર્યા. દક્ષિણ આફ્રિકાના મેરીત્સબર્ગ સ્ટેશનની ઘટનાએ રંગભેદની નીતિનો પરિચય કરાવી લડત કરવાની હામ બતાવી. નાતાલના હિદી મતદારોનું સંગઠન રચીને ત્યાંની સરકાર પાસે મતાધિકારની લડાઈની તલવાર ખેંચવાનું મનોબળ પોલાદી જ ગણાય. તે જ પધ્ધતિથી બાપુ ભારતમાં સતત દોડતા અનુભવાયા છે. જે તેને મોહનથી મહાત્મા સુધીની સફર માટેનું શિર્ષસ્થ પાસુ છે. આ બાબત ખૂણો પાળીને બેસનાર માટે 'અવરનેસ બેલ 'જેવી છે. પોતાના ધ્યેય, સંકલ્પ, આદર્શો અને સેવા માટે મક્કમતાની મુઠ્ઠીઓ વાળનારને સફળતા શોધવા જવી પડતી નથી.

બાપુના અગિયાર મહાવ્રતો આજે પણ એટલા જ કુમળા અને તરોતાજા છે. આ મહાવ્રતોની યાદી આ મુજબ છે. (૧) સત્ય (ર) જાત મહેનત (૩) સર્વધર્મ સમભાવ (૪) સ્વદેશી (પ) અસ્વાદ (૬) અભય (૭) અસ્તેય (૮) અહિંસા (૯) અસ્પૃશ્યતા નિવારણ (૧૦) અપરિગ્રહ (૧૧) બ્રહ્મચર્ય .રાષ્ટ્રના વિકાસના પાયામાં જો સીસું પુરવું હોય તો સમગ્ર સમાજે આ વ્રતોને ઓળઘોળ કરવા જોઈએ. આ વ્રતોથી સાંપ્રત સમયમાં કેવી ઉલ્ટી ગંગા વહે છે તેના પર જરા 'ફલેશ લાઈટ 'પાડી દઈએ. અસત્ય આચરનાર કે ખોટુ બોલનારને સ્માર્ટ ગણવામાં આવી રહ્યો છે. ઘર કે કાર્યાલયમાં નોકર- ચાકર રાખવાનું સ્ટેટસ સીમ્બોલ બનાવી દેવાયું છે. ત્યાં જાતમહેનતનું વ્રત ઠુંઠવાઈ ગયું છે. સત્તાનું સિંહાસન મેળવવા વિધર્મીઓને ગાળો ભાંડી મતની ઝોળી છલકાઈ જતાં તેઓ પોતાની કાબેલિયત માટે મલકાઈ રહ્યાં છે. ગ્રામ કારીગરો, ગૃહ ઉદ્યોગોને ત્યાં ગામડામાં જ દફનાવી દઈ વિદેશી મુડીપતીઓ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે. સરકારી ખર્ચે મહેમાનો માટે દોઢ હજારની એક થાળી પીરસાય છે તે છે આપણું અસ્વાદ. રાજનેતાઓ જ અસુરક્ષા અનુભવતાં હોય ત્યાં આમ નાગરિકનો અભય કેવો હોય?અસ્તેય અર્થાત ચોરી ન કરવી પરંતુ ચોરના સન્માન માટે પોલીસ સ્ટેશનો પાવરફુલ રીતે કાર્યરત છે. અહિંસા કાગળ પર સિમીત છે. સંજોગોએ અસ્પૃશ્યતાને અલવિદા કરી છે તો પણ તેના રક્ષણની કાયદા તલવાર તેને સામાજિક રીતે અલગતલક કરવા સક્રિય છે. અપરિગૃહ ચૂંટણીના ઉમેદવારોના એફિડેવીટમાં કરોડો રોકડા અને અબજોમાં સંપતિ તરીકે દેખાય છે. બ્રહ્મચર્ય માટેની ટીપ્પણી અઘરી છે તો પણ કહેવાય જાતીય આવેગોને રસરંજન માની લઈ તેનો વિસ્તારવાદ કરવા અસંખ્ય સાધનો મંડી પડ્યા છે. 
                           બાપુની જન્મજયંતિનો આ ઉત્સવ તેના વિચાર, આચાર સિધ્ધાંતોને ગુલદસ્તો આમ માણસ સુધી, શિક્ષણ સંસ્થાના દરવાજે પહોંચતો કરી શકાય તો એક નવી વિચાર-આચાર ક્રાંતિના શ્રીગણેશ થાય. શહેરીકરણ, ઝાકમઝોળ, દેખાદેખીની વિસ્તરતી ક્ષિતિજોને નિયંત્રિત કરવા સત્તા જ સક્ષમ સાબીત થાય. બિનસરકારી સંસ્થાઓ પોતાની મશાલ લઈને નિકળે તો રસ્તાઓની આંખો જરૂર તેના તરફ કરૂણાની ભાગીરથી રેલાવે. ઈચ્છીએ કે ગાંધીનિતી, આચારને વરેલા સૌ પહેલ કરે.

No comments:

Post a Comment