Wednesday, January 30, 2019

ભુલતાં ભાંગે ભીડ

---તખુભાઈ સાંડસુર

યાદદાસ્તનું પૃથ્થકરણ કરી જાણો તો તે અવસર બની શકે. મન જીવનની ધુપ-છાંવનો અનુભવ કરાવ્યા કરે છે. આંતર ચેતના અને તેની તાલીમ શું સ્ટોર કરવું અને કેટલું ડીલીટ કરવું તે નકકી કરે છે. સાપ્રંત શિક્ષણ પધ્ધતિમાં સ્મૃતિમાપનની બહુલતા બહેકાવાની કક્ષાની લગોલગ છે. સમજને નેપથ્યે ધકેલનારા કહેવાતા સુજ્ઞોને કયા ખબર છે કે તેની કેટલી કિંમત અધ્યેતાને ચુકવવી પડશે? સાહિર લુધિયાનવી કહે છે.... "તુમ અગર મુજે ભુલ ભી જાઓ તો યે હક હૈ તુમકો" પ્રેમને પણ જો ભુલી જવાનો હક અપાતો હોય તો આપણે એવો બોજો શા માટે વેંઢારીયે કે જે આપણને સતત ખતરોડયા કરે ? જે આનંદિત કરીને સ્વૈરવિહાર કરાવે તે તરંગો છો ને હોય ..!તો પણ તેવી પવનપાવડીમાં પલોઠી વાળવામાં કોઈ હરકત નથી.

પીડાનું મૂળ સડી ગયેલી સ્મૃતિઓમાં હોય છે. અલાઉદ્દિન ખિલજીના નેત્રોએ પદમાવતી સ્વર્ગીય સૌદર્યાની દેવીને કલીક કરી હશે.બસ એ ક્ષણોની ભરમાર તેના મનમાંથી વણઝાર થઈ પસાર થતી જ રહી હોય. મેવાડની મહાભયાવહ યુધ્ધ ચીચીયારોની જન્મદાત્રીને તે યાદ જ હતી. માનસ પટલને મુઠ્ઠીમાં કરનારનારની કેટલીક સ્મૃતિ વેરવૃત્તિને આળસ મરડીનેબેઠી કરે છે. જયાં બદલાની હાજરી નોંધાય ત્યાં સંવેદનો ગાયબ થઈ જાય છે. અન્યને દુઃખ આપીને કે યાતનાના એસિડ કુંડમા ધક્કો મારીને આનંદિત થનારા ગાંડપણની ટોચ પર બેઠા છે. સમજનું ભાથું વિદ્વતજનને સમાજથી કે આમ લોકથી અલગ તારવે છે. શ્રીમદ ભાગવતના જડ ભરત જેવું ચરીત્ર તેનો પર્યાય છે. જે બધુ જાણે છે, છતાં કશું ન જાણીને બેખબર દેખાય. વધુ માત્રામાં યાદ સંવેદનોનું આક્રમણ થાય તો માનવ મનની વિચલિતતા પ્રગટ થઈ જાય છે. પશ્ચિમના દેશોમાં ૧૦ ટકા લોકોની આજ હાલત છે. કુટુંબ પ્રથા કે સામાજિક ઢાંચાને લાગેલા લુણાનું તેને પરિણામ ગણી શકાય.

મનોશક્તિને દિશા આપવા એક સુરમ્ય વાતાવરણનું નિર્માણ આવશ્યક હોય છે.આનંદ કે સુખની શોધમાં ધેલા થવાની જરૂર હશે તો પણ તેના 'હર્ડસ'ને અવગણી ન શકાય. થાળીમાં પીરસાતું કે લંચ કાઉન્ટર પર ગોઠવાયેલું ફુડ સ્વ સાથે જોડી તેની માત્રા, ગુણવતાં, અનુકુળતા માટે આચાર મર્યાદા જાળવી રાખવી જોઈએ. કવિ સજુંવાળા એક કૃતિમાં કહે છે.

"અંદરથી જ ઉંગે તેની આંગળીએ નીકળશું.

સ્વયં ગુરૂને સ્વયં ચેલા સંધળુ બાજુ પર મુકીને"

પોતાના સિવાય બાકી બધું નિરર્થક છે. તે સંદેશ એકદમ કલીન રહેવા જણાવે છે. પૂ. મોરારીબાપુ જણાવે છે કે 'જે સ્વને પણ ભુલી જાય તે સૌથી સુખી થઈ શકે. ભુલી જવામાં લય છે અને તે પ્રલયથી બચી જાય છે. 'પૂ. બાપુની પ્રસનતાનું રહસ્ય પણ ત્યાં જ કેન્દ્રીત છે.

આપણી ઋષિ સંસ્કૃતિ, વેદો મનશક્તિને સતત ઝંકૃત કરવા યોગ, ધ્યાન જેવા ઉપચારો સુચવે છે. મન શુન્યતાની સ્થિતિ મેળવવી અધરી જરૂર હોય, પણ અશક્ય નથી. પરિવાર, મિત્રો વગેરેમાં એવું વાતાવરણ નીર્મિત કરવું જયાં કોઈ રોદણાં, આપતીનું આલેખન ન હોય, માધ્યમોમાંથી મળતું સાહિત્ય આપણાં સુધી પહોંચે ત્યારે શકય હોય ત્યાં તમારા મને હંસની ભુમિકામાં આવવાનું હોય છે. જે સારુ છે તે જ સ્વીકાર કરો બાકીનું ત્યાં જ છોડો .કાલ્પનિક ભયથી કદી આપણે ડરશું નહીં. જે દુઃખી છે.તેની રોકકળ કે વર્ણનથી તેની બાદબાકી ન થાય ઓછું ન થાય. પરંતુ તેની સાથે લડતાં ઓછું થાય. સવારની શરૂઆત યોગ્ય પ્રાણાયાય દ્વારા કરવાથી નવી ચેતનાનો સંચાર થાય છે. જયારે મન કોઈ થકાવટનો અનુભવ કરે ત્યારે મનગમતું સંગીત સાંભળો મનગમતા હકારાત્મક પ્રવચનોનો આશરો મેળવો.

બધુ ભુલી જાવ આનંદની છોળો તમારા બારણે ઓવારણાં લેવા ઉભી છે. ક્ષણ ક્ષણ જીવવું છે. પળ પળને સુખના તારણોથી સજાવવી છે.

No comments:

Post a Comment