Sunday, January 13, 2019

બી પોઝીટીવ લેખ



બી પોઝીટીવ : સ્વસ્થતાનો સોફટવેર

---તખુભાઈ સાંડસુર

મોબાઈલમાં મેસેજતળાવમાંથી બહાર નીકળવું અઘરૂ થઈ પડે છે. તમારી પાસે સોર્ટીંગ ક્ષમતા ના હોય તો !?લગભગ મહત્તમ નકારાત્મક જ આવે છે ઘણાં એવા મનોરોગી થઈ પડ્યા છે. કે તે અન્યોની અપકિર્તી, ટીપ્પણીઓને વધુમાં વધુ ફેલાવવાનો તેને વિકૃત આનંદ મળે. માધ્યમો એવુ જ પીરસે જે તેના ભાવકોને પસંદ હોય, ટી.આર પી અને સર્કુલેશનનું ચક્કર સૌને લાચાર બનાવે છે. ક્યારેક કોઈ સંપાદકની અનિચ્છા છતાં તેણે ઘણું એવુ મુકવુ પડે કે તેના માટે તેનો માહ્યલો ના પાડતો હોય .એકાદ વખત દિલ્હીના મોટા ગજાના પત્રકારે સરસ વાત કરી હતી ,કે જેમા આપણે શું વાચવું કે જોવું તેની સ્વતંત્રતા ના હોય તો આપણે શા માટે તેને ‘ફોલો’ થવુ !

        કેટલાકનો દિવસ નકારાત્મક, અસુખી અગવડોથી આરંભાય છે. 'બ્રશ અહી કેમ નથી ? પેસ્ટ આ કંપનીની નથી ?નાસ્તાની બ્રેડ શેકેલી નથી કેમ ?' ઈસ્ત્રીમાં કેમ ક્રીઝ દેખાય છે ? આ બધુ લોહીના દબાણને હર્ડસ  બનીને આવે છે. ચાલો જાત પર સ્ટેથોસ્કોપ મુકીને પાડોશી કે મિત્રની  મોજનો હિસ્સો જો તમે બની શકો !તેમની એકાદ ક્ષણને પણ ઉલ્લાસમાં બદલી શકયાની ક્ષમતા તમે કેળવી છે, તો સમજવુ કે દિ તમારે ઘેર છે.  કૃષ્ણનું કણપ્રિય વાસળીવાદન તમારા પછવાડે જ ગુંજિત થાય છે .કોઈ સગા ,સ્નેહીની સફળતા તમારા ચહેરાને હાઉસફુલ પ્રફુલ્લિત કરી શકે તો સમજજો કે તમારી આસપાસ કોઈ રોગને ફરકવાથી મજાલ નથી.
સોશીયલ મીડીયાનો ટન બંધ ફાલતુ કચરો મનની સમતુલાને આંતકિત કરે છે. રાજનીતી ધર્માધતા, જ્ઞાતિ જાતિ પરસ્તિની ગંદકી ,ચોમેરથી ઘેરો ઘાલે છે. દિલ્હી અને ગાંધીનગરના ગલીયારાની ઘટનાઓ માહિતી માટે બરાબર છે. પણ તેને કાંખમાં લઈ ફરવાની ક્યાં જરૂર છે? અનર્થક કે આવેગપૂર્ણ વિગતોની આક્રમકખોરી સીધી રીતે સ્વાસ્થ્યને ડગમગ કરે છે.

                         પટણાના ડો.બિંદાસિંહ જણાવે છે કે ચિંતા, ઉદ્વેગથી શરીરમાં ન્યુરોટ્રાન્સમીટરના રસાયણમાં અસમાનતા ઉભી થાય છે. જેથી આવી સ્થિતી વ્યક્તિમાં સાઈકીયાટ્રીક ‘ડીસ ઓર્ડર’જેવી બિમારીને આમંત્રિત કરે છે. એટલુ જ નહી રુધિરાભિસરણ તંત્ર પર તેની સીધી અસર થતી હોવાની પુષ્ટિ કરતાં રાજકોટના સુખ્યાત ફીઝીશ્યીન ડો.પી.એન. પટેલ જણાવે છે "શરીરમાં હૃદયના ધબકારાની સંખ્યા એક મિનિટે ૭૨ થી ૮૦ સુધીની હોય છે. પરંતુ આવી બાબતો તેમાં ૧૦ ટકા સુધીનો ઉમેરો કરે છે. શરીરના રાસાયણિક ફેરફારો મધુપ્રમેહ જેવી બિમારીને ઢસડી લાવવા કારણભૂત બને છે અને અમેરિકાના કેલાક સર્વૈક્ષણોમાં નકારાત્મકતાથી અસરે કેન્સર જેવા રોગના અંકુરિત થવા તથા તેના એકસપોઝ થવામાં પણ પરોક્ષ રીતે ભાગ ભજવાતો હોવાનું નોંધ્યુ છે. તે બાબત પણ નજર અંદાજ કરવા જેવી નથી."
એક ભજનમાં કહેવાયુ છે કે "મોજમાં રહેવુ ,મોજમાં રહેવુ" પણ કેમ ? નકારાત્મકની સાથે અનેક દોષો જોડાયેલા છે કપટ તેનનો પાટવી કુંવર છે તેનાથી થતું સઘળુ ક્ષુલ્લક આભાસી છે. થોડા સમય માટે તમને સુંવાળું લાગે પરંતુ તેની અંદરની કર્કશતા પછીથી સુખ- ચેન હરી લેતુ હોય છે. તમારી આસપાસ નજર કરો બધુ અહી જ જોવા મળશે. મને એવા એક સાધુનુ સ્મરણ થાય છે. 'ગડબડદાસ બાપુ.' તેમના ચહેરાને જ્યારે જ્યારે મે વાંચ્યો ,ત્યારે મને ત્યાં નિર્દોષતાનો જ ભેટો થયો. વિમાસણ કે વિષાદ માટે આ પાત્ર જેમ કે અસ્પૃશ્ય જ હોય છે. તેમને હંમેશ એવુ કહેતા સાભળ્યા છે કે' સારા માનુસ હૈ વો 'ખરેખર, તેનાથી તેની છાપ સમાજમાં ઉલ્ટી જ હોય ,તો તેણે કોઈને દોષી ન ગણ્યા. હકારાત્મક વિચારનું વાત્સલ્ય અનેકોને હાલરડાં નાખી જાય. તેના પ્રારંભની રાહ ક્યા જોવાની ,હાલી નીકળો..
તમારા વર્તુળમાંથી નેગેટીવીટીના ભૂતને ડીલીટ કરો. મિત્ર ,સગા- સ્નેહી પણ કેમ નથી થોડી તક પણ આપી શકાય અન્યથા રામે રામ .જ્યાં આવો વિવાદ કે ચર્ચા હોય તેને ડ્રોપ કરો .ટીવી ચેનલો, સમાચાર પત્રોનું સંકલન કરો. તમારી વિવેચનામાં જો તે નાપાસ થાય તો તમે તેનાથી દુર થઈ જાઓ. સોશિયલ મીડીયાની નિરર્થક ભાજગંડ તમારો સમય, શક્તિ અને વૈચારિક તાકાતને લઈ લે છે.તેથી તેની ઉપયયોગીતાને નિયંત્રિત કરો .વાંચન લેખનમાં રસ કેળવીને દિશા બદલી શકાય.
                             જુઓ,તમે જળકમળવત થયા પછી તમારૂ શરીર પણ 'ચરોઠી' જેવું રહેશે, તે નક્કી.

No comments:

Post a Comment