Tuesday, August 21, 2018

ગિરનો સિંહ : સિંહનું        સિંહાવલોકન
----  તખુભાઈ સાડંસુર

ડો. સદિપકુમાર અને મોઈન પઠાણની કૃતિ ‘ગિરનો સિંહ’ સિંહની સંપૂર્ણ ઓળખ રસ પ્રચુરતાથી કરાવે છે જ પણ ગિરની વનસંપદા તથા તેના સૌદર્યનો ઘુંઘટ ખોલી નાંખે છે. સિંહનું નામ જ રોમહર્ષણ છે. તેનું દર્શન અને ત્રાડ શરીરમાં ઉત્તેજનાત્મક લખલખું પેદા કરી જાય છે. વન્યપ્રાણી કથાઓ, શિકારકથાઓનો ગુજરાતી સાહિત્યમાં ખાલીપો અનુભવાય છે. લેખક રૂબીન ડેવીડની થોડી કૃતિઓ અંગુલી નિર્દેશ પુરતી જ છે. ત્યારે ગિર ,સિંહ માટે જીવી જાણનાર ડો. સંદિપ પોંખવા જેવા મહાનુભાવ છે.

૩૧ર પાનાની આ રચના ‘લાયન બાયોગ્રાફી’ ગણી શકાય. ૩પ વૈવિધ્યપૂર્ણ પ્રકરણો ગાંડી ગર્ય અને  સફારીમાં જીપ્સીમાં બેસીને સિહદશૅનની લેખક સફર કરાવે છે. લેખકો ભાષાના ઓછા પણ ભ્રમણના માણસો વધુ છે. સર્જક ડો. સંદિપકુમાર લાંબા સમય સુધી ગિરની કેડીઓમાં રખડપટ્ટી કરતા અનુભવાય છે. તેઓ જંગલના એક એક જીવની વેદના પોતાની જ ગણતા રહ્યાનું સતત કૃતિમાં નિરૂપાતુ દ્રશ્ય થાય છે. સમર્પિત રીતે સમગ્ર સૃષ્ટિ સાથે જોડાયેલા આ સર્જકોની કૃતિ સાહિત્યની યશકલગી ગણાવી શકાય.

‘પ્રારંભથી  પરિણામ’ પ્રકરણ કૃતિ બીજ અને તેના હેતુઓની પ્રસ્તુતિ કરે છે. ‘માનવીય મુલ્યોમાં સાવજ, સિંહનો વાલી સમાજ’માં ગિરની પ્રજાનું સિંહ સાથેનું તાદાત્મ્ય, લગાવ બિબીંત થાય છે. એક પ્રવાસી જયારે સાવજ વિશે ધસાતું બોલે છે. ત્યારે ગીરનો એ કિશોર ઉકળીને જડબાતોડ જવાબ આપે છે. કહે છે સાવજથી અમે અને અમારાથી સવાજ છે. છેલ્લે અંગ્રેજીમાં તેને સંભળાવે છે. Do Not Step down when you are in the sanctuary area, આ પ્રજાની ખુમારી છાતી સોસરવી ઉતારવામાં લેખક સો ટચ સાબીત થયા છે.

ગિર એવમ્‌ સાવજનો ઈતિહાસ પૃષ્ઠભુમિ, નવોઢાનું સૌદર્ય સિંહમા રૂપાંતર, સિંહનું શાસન, ઉઠવુ-પડી જવું -.બેસવું, સિંહની અંગત પળો, સિંહનું મેનુ, સિંહની જાળવણી જેવા લેખોમા થયેલી વાતો કાબીલે તારીફ છે. સિંહના લક્ષણોથી વૈશ્વિક સ્થિતિ, ગિરનાર જંગલમાં સિંહ બચાવવા જુનાગઢના નવાબની ભુમિકા, બાદશાહ તથા જંગલના રાજાનો સમાનગણ રચાય છે. સ્વતંત્રતા સુધી માત્ર પ૦નો આંકડો ધરાવતા સિંહોને પ૦૦ને કેમ પાર કર્યો, વૃધ્ધિ કરવાની આ યોજનાઓ ઉલ્લેખ અદ્‌ભૂત છે. સર્જકો સરકારી અધિકારી અને વેપારી જ નથી પણ માનવીય સંવેદનાથી જીવતું કાળજુ લઈને ફરતાં મહામાનવો દેખાય છે. સિંહોની રેસકયુ સેન્ટરમાં થતી સારવાર, જંગલના રાજાની રેડીયો કોલરથી થતી દેખભાળની પધધતિ પણ જીજ્ઞાસુ માટે ખુબ ઉપયોગી છે. બચ્ચાઓનો સાસણમાં થતો ઉછેર ,તેના પુનઃસ્થાપનની સમગ્ર પધ્ધતિ" પાર્થ-પુજા, પુર્નગઠન," જેવા પ્રકરણોથી ઘણી જ  ઉપયોગી માહિતી પ્રસ્તુત થાય છે.

સમ્રાટોના પડઘા પ૮ પાનાનું પ્રકરણ સિંહ રામાયણ છે. સિંહનું સમુહજીવન, તેનો બાળ, યુવાન, વૃધ્ધત્વ વર્તાવ,નર-માદાના સંબંધોનું ભાતિગળ ચિત્ર, અલગ અલગ ઘટનાઓથી નિષ્પન્ન તારણો, બાળ ઉછેરમાં માદાની સાવધાની – માતૃત્વનું અમીઝરણું એક માતા પોતાના સંતાનો માટે પ્રાણી હોવા છતાં કેવો ભોગ આપે છે તે વાત આજની સાપ્રંત સામાજિક વિષમતા માટે બોધવાચક બની રહે છે. એક મા અણમાનીતા નરને પણ સ્વીકારીને બાળને બચાવે, કેવો ત્યાગ..!! દિપડાની ઘેરાબંધીમાં સપડાયેલા સિંહ બાળનો બચાવ, કિડીખાઉનો શિકાર કરવાની બાળ સિંહોની ચેષ્ટા જંગલની અલભ્ય વાર્તાઓના અનુભવ કરાવી જાય છે.

હિરણ નદીના પુલ પરથી સિંહનો બચાવ કદુકો આખરી બની રહે. તેની મરણ ત્રાડ ગિરને ગમગીન બનાવી મુકે. સિંહણનું પોતાના બચ્ચા માટે કુવામાં કુદી પડવાની બીના સૌ કોઈને શોકાગ્ન કરી જાય છે. આઠ સિંહોનો તેની અંગ તસ્કરી માટે શિકાર જંગલ નહીં પરંતુ જમીનને પણ ઝલઝલા કરી જાય છે. તેની પ્રસ્તુતિ 'ધુસણખોરીના આચંકામાં' આવે છે.

ગિરના સૌદર્ય કમલૈશ્વર, જંગલની રાતનો જલ્સો વાંચકોને પ્રત્યક્ષદર્શી બનાવી જાય છે. અજાણ્યા રખેવાળ વનકર્મી મહમદભાઈનું અદમ્ય સાહસ દિપડા માટે પોતે જીવે તો છે પણ મરવાની તૈયારી પણ એટલી જ તે સાબીત કરી દે છે. ફોટોગ્રાફરની ફોટો લોલુપતા સિંહ-સિંહણની અંગત પળોમાં વિક્ષેપ કેવો પ્રાણઘાતક હોય તે લાયન શોનો શોર્ટ રૂટ પકડનારા માટે ચેતવણી રૂપ છે. સિંહણ-નીલ ગાયની લડાઈમાં સિંહણનું ધવાવું, પછી તેના ઉંડા ધાવમાં ટાંકા લઈ સારવાર થાય અને પછી તે સિંહણ ટાંકાળી તરીકે ઓળખાય આખો ઘટનાક્રમ તમને પકડી રાખે છે.

પ્લેબોય રાજુની રસિકતાથી પ્રાણીઓના પ્રણયરસની વિપુલતાનો ખજાનો ખોલે છે. સિંહ નર-માદાના પસંદગીના ધોરણો સમય ઋતુ વગેરે વિગતો માટે ઉપયોગી બને રહે છે. વાચંકને એક વધુ રસમાં ઝબોળવાથી તક અહીં, સર્જકોએ ઝડપી છે. જંગલના રાજાનું સાસણની બજાર- સ્ટેશનમાં આગમન રોમાંચક વર્ણન છે. પ્રવાસન ઉદ્યોગના વિકાસની શકયતાઓ ગિરની કૃષિ તથા કૃષિકારનો દ્રષ્ટિકોણ ધારાવાહિક રીતે આવતો રહે છે. ઝરખ, શી
ચીતલ, મોરની જીવનની ઘટમાળ તથા શિકારથી બચવાની તરકીબો જાણવા જેવા છે. આફ્રિકાથી આવેલા સીદી સમાજનો ગિરના વસવાટ અને તેના કારણોનો જવાબ અહીં મળે રહે છે. બરડો, શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં સાવજોના આવા ગમનની માહિતી રજુ કરવામાં આવી છે.

તમામ પ્રકરણો પ્રવાહી રીતે ધસી આવતા દેખાય છતાં સાતત્યની ગેરહાજરી નજરે પડે છે. માહિતી, કથા સંમિશ્રિત થઈ જતાં આયોજન તુટી જાય છે. ઘટનાઓમાં વર્ણનાત્મકતા ઓછી છે. સિંહની સંખ્યા, વિસ્તાર વગેરે આંકડાઓ સતત પુનરાવર્તિત થતાં જણાય છે. સિંહના શરીર તેની જીવનની લાક્ષણિકતાઓ અલગ પ્રકરણમાં મુકી શકાયું હોત તો છુટી ગયેલી વજન ઉંચાઈ, લંબાઈ વિગેરે જેવી ઘણી બાબતો સમાવિષ્ટ થઈ  હોત. ગિરનો સિંહની કથની સમગ્ર રીતે ભારતીય સાહિત્યનું એક મહામુલુ નજરાણું બની રહ્યું છે. અભ્યાસુઓ માટે આ પુસ્તક આધારસ્તંભ બની શકયું છે. લેખકોએ કરેલી આ પ્રકૃતિસેવા યુગો સુધી સૌને યાદ રહેશે. તે માટે બંને લેખકોને શુભકામનાઓ.

No comments:

Post a Comment