Saturday, September 22, 2018

શિક્ષક સ્ટેથોસ્કોપ ..લેખ ૨૩-૯-૧૮

શિક્ષકના સ્ટેથોસ્કોપમા વિદ્યાર્થીપીડા પડઘાય તો...!?!!                                                                                                                                                                                    -તખુભાઈ સાંડસુર                                                         "સ્વ"ની કેફીયત શ્લાધામાં ખપી જવાની દહેશત મારી કલમનું સતત આડફળું બાંધી રહી છે. સાંપ્રત સ્થિતિએ મને હચમચાવ્યો, શિક્ષણમાંથી સરકારનું પલાયનવાદીપણું, તેને ત્રીજાક્રમે ધકેલી દેવાની ગુસ્તાખી, સરકારી શાળાઓનું સાર્વત્રિક ભેલાણ સુચિત કરે છે. હું આ બધું જબરજસ્ત મહાક્રાંતિ, સામાજિક ઉદ્દવેગના ખાતમુર્હુત તરીકે જોઈ રહ્યો છું. સરકારી તંત્રની સક્ષેતા સંવેદન હિનતાની ચરમસીમા પર હોય તેમ લાગે છે.
આવો…. મારી શાળાના ધો-૯ના વર્ગખંડ તરફ ડગ માંડીએ. આજે સોમવારનો દિવસ વેકેશન ખુલ્યાનો પહેલો મંગળ દિવસ છે. વિદ્યાર્થીઓમા માધ્યમિક શિક્ષણમાં પગરવ કરવાનો ઉત્સાહ અનુભૂત થાય તે સ્વાભાવિક છે. પહેલો દિવસ પરિચય અને પધ્ધતિના નામે ઉધારાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો એકમેકને ઓળખતા થાય. સામાન્યતઃ શિક્ષકની સન્નિધિ જો વિદ્યાર્થીના ગાલ ગુલાબી કરી જાણે તો તેની સફળતાનું પહેલું પ્રમાણપત્ર છે. વિદ્યાર્થી ત્યારે શિક્ષકને મુક્તિ આંદોલનનાઅગ્રેસર સિપાહી સમજે છે. હું સામાજિક વિજ્ઞાન શીખવું છુ. મારો વર્ગખંડ પ્રવેશ બધા વિદ્યાર્થીઓના સ્ટેન્ડઅપ ઓવીએશનમાં પરિણમે છે. તેઓ બધા બંને હાથ જોડી 'નમસ્કાર સર'બોલે છે. બાળકોનો આ ધ્વની ગમ્યો પણ ખરો,પરંતુ હાથ જોડવાનું કાયૅ યાચકત્વના ઉપજણ જેવું લાગ્યું. તેનું પુનરાવર્તન ન કરવાની મેં સૌને સલાહ આપી.
કાળાપાટિયામાં મારો વિષય લખ્યો, અને એકમના સંદર્ભમાં 'ભારતની ભુગોળ' દર્શાવ્યું વિદ્યાર્થીઓમાં રહેલી સમજ સુઝને ચકાસીને તેમાં ઘટતું ઉમેરણ કરવાનું હોય, ત્યારે સંપુર્ણ કેળવણી થઈ શકે.મે પ્રથમ પાટલી પર બેઠેલા રાકેશને ઉભો કરી કાળા પાટિયા પરના ચાર શબ્દો વિષય- એકમ વાંચવા જણાવ્યું. વાચવાનું તો બાજુ પર પરંતુ તેને મુળાક્ષરોનું પણ પુરતુ જ્ઞાન ન હોવાનું જણાઈ આવ્યું. એક પછી એક બાળકોને ઉભા કરી, બધા વિદ્યાર્થીઓને માપી લીધા. પ૦ના આ વર્ગમાં ૧પ વિદ્યાર્થીઓને મુળાક્ષરોની જ ઓળખ ન હતી. ૧૦ એક એક અક્ષર છુટો પાડી વાંચતા હતાં. માત્ર પ જ એવા મળ્યા જે પ્રવાહી રીતે વાંચી શકતા હોય. હું ઘડીભર અવાચક, મુઢ બની ગયો. બાળકો મારો ચહેરો વાંચવા મથતા હતાં. મને વિચારો ખૂબ ઉંડાણમાં ધસડી ગયા. આટલી મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓને સંપુર્ણ અંધારામાં ડુબાડી રાખવા જવાબદાર કોણ ? આ ગરીબ, વંચિત બાળકોને પોતાની યાતનાઓ,દોઝખમાંથી બહાર નિકળવાની આ એક જ તક હતી, "શિક્ષણ ".પણ આ આશાઓને પાયામાં જ ધરબી દેવાની જવાબદારી કોણ લેશે ? જેનો પ્રારંભ આટલો પાંગળો હોય તે આગળની સ્પર્ધાત્મક સ્થિતિમાં કેમ ટકી શકે ?
આ વર્ગની લગભગ સંખ્યા ગામની જ હતી. તેથી તે બધા બાળકોની મને વ્યકિતગત ઓળખ હતી. જે ૧પ બાળકો સાવ નિરક્ષર જેવા હતાં.તે પૈકીના બે એવા હતા કે જેણે પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દિધી હતી. મને ખબર હતી કે તે બંનેની માતાઓ ખેત મજુરીમાં પોતાનું ભરણ પોષણ કરી વંધવ્યના દિવસ ટુંકા કરી રહી હતી. આ બંને દિકરાઓ તેના નેજવાના કિરણો હતાં. સુર્યના પહેલા કિરણમાં તે હંમેશ એવું જ રટણ કરતી હોય હમણાં દિકરો મોટા થઈ કામે લાગશે, મારા જીવનમાં સોનાનો સુરજ ફરી પ્રગટશે. પણ…. રે સમય….. તું આમ કેમ ,કેટલાયના સ્વપ્નાના મહેલો દફનાવી અટહાસ્ય કરી રહ્યો છો…? જો કે આ મહાપાતકના દ્યોતકને કોણ ક્ષમા આપે ? તેનું તર્પણ કરવા ગંગાનો કિનારો ય ટુંકો પડશે..!! મારુ મંથન સતત લંબાતું હતું.
સરકારી તંત્રમાં લાગેલો લુણો 'મારૂ શું ? મારે શું?'થી ભણતરની ગરિમાપુર્ણ પ્રવૃત્તિ અછુત રહી નથી. જેની સંવેદના ફ્રીજ થઈ જાય, તેના શિક્ષકકર્મ સામે પ્રશ્નાર્થો જન્મે છે. શિક્ષકનો એક જ મંત્ર હોય હું છું 'બાલ પરમ હિતકારી…' શિક્ષક પોતાની જાતને સામેની પાટલીએ બેઠેલો અનુભવે તો તેની પીડા પોતાની લાગશે. આજે શિક્ષકપુત્રો સરકારી શિક્ષણમાંથી ભાગી રહ્યા છે, કારણ કે તે પોતાનાનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છે છે. પરંતુ એવો મહાસમુદાય કે જે તેના પર આશ લગાવી બેઠા છે તેની ચિંતા કરવાનો સમય નથી.માનવ મુલ્યો જો ઉજાગર થશે તો પોતાના વર્ગના કે આખી શાળાના બાળકોની ખેવના રાખવાનું પ્રભુ કાર્ય તે કરી શકશે.
સરકારી શિક્ષણ વ્યવસ્થાને મજબુત કરવા શિક્ષકોની નિયમિતતા, જવાબદેહીને વધુ અસરકારક બનાવવી. શિક્ષણશિસ્તનું સુનિશ્ચિત માળખુ બનાવી મુલ્યાંકનની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો જ સમગ્ર સમાજનું શ્રેય થઈ શકશે.

No comments:

Post a Comment