Wednesday, December 18, 2019

રૂપાણી સામેના પેંતરા

"રૂપાણી સામેના પેંતરા પરિણામ સુધી પહોંચી શકશે ?"
તખુભાઈ સાંડસુર
વિજય રૂપાણી લો પ્રોફાઇલ પર્સનાલિટી છે. તેને સપનું નહીં આવ્યું હોય કે તે ગુજરાતની ગાદી પર આસાનીથી આરૂઢ થશે." સીમ સીમ ખૂલ જા "નો જાદુઈ પટારો ૭મી ઓગસ્ટ 2016ના રોજ ખુલ્યો ત્યારે ઘણાં ના ભવાં ખેંચાઈ ગયાં હતાં. "જીભના લબરકા લે "તેટલી બહાર નીકળી ગઈ હતી.પણ કરે શું પાર્ટી લાઈન..!!!અદબ વળાવી દે છે. ભાજપ પહેલા મોદી અને પછી અમિત શાહની ઈર્દગીર્દ એક વર્તુળ છે તેમાંથી બહાર ફંગોળાઇ જવાનું કોઈને સરવાળો કરાવે તેવું નથી. માટે કેટલાયનું શુળ કોઠે જંપીને બેઠું છે ,છતાં પણ તે તકની રાહ જુએ છે. માટે સમયાંતરે માધ્યમો અને સમૂહ માધ્યમોને ટેકણલાકડી કરીને ગુબ્બારો ચડાવવામાં આવે છે .રૂપાણી જાય છે... જાય છે ..પણ તે હોય તો સ્થિર જ..!!
         2014ની પેટાચૂંટણીથી તેઓએ કેબીનેટમાં એન્ટ્રી લીધી.આનંદીબેને ભારે હ્રદયે સચીવાલયના પગથીયા ઉતરી જવું પડયું. હવે કોનો ..હવે વારો ..કોનું નામ આવે છે ? નો નારો ગુંજ્તો રહ્યો.લુજામાંથી દાણીયાએ રૂપાણીને તારવી લીધા. અને સોળમા ગુજરાતનો નાથનો મુગટ માથે તેમણે ધારણ કર્યો.આઠ-દસ મહિના માં જ કુંવરજીને ભાજપ ખેસ પહેરાવી ફરી જસદણના ચોકમાં મૂકવામાં આવ્યાં. ત્યારે ફરી હવા ફેલાવવામાં આવી જો તે હારશે તો રૂપાણી નું માથું વેતરાશે.બાવળિયાએ બળ કરીને બાહુબળે બેઠક જીતી લીધી. પાણી સમયતળ વહેવા લાગ્યાં. હવે આવ્યો 2017ના ડિસેમ્બરમાં ચુંટણી ઉત્સવ.ફરી ચૂંટણી પહેલાં એકવાર ચણભણ શરૂ થઈ. કોના નેતૃત્વમાં હવે ચૂંટણી લડાશે ?પણ છેવટે રૂપાણી જ રહ્યાં અને બહુમતી પણ લઈને આવ્યા. એકવાર પુનઃ ગણગણાટ થયો .હવે મોડી મંડળ વિજયને વરમાળા પહેરાવશે કે કોઈ વિકલ્પ આપશે.!  ત્યાં પણ ફરી ફુલ સ્ટોપ મૂકવામાં આવ્યું. રૂપાણીની ગાડી એક્સપ્રેસ વે પર ફાસ્ટ દોડવા લાગી. લાળ ટપકવાની રાહ જોનારાઓએ હજુ પ્રતીક્ષા કરવાનું ટાણું આવ્યું.
        અલ્પેશ ઠાકોર ,ઝાલાનો ભાજપનો ગાળીયો ઘણાને અપચો કરાવી ગયો.તે નિમિત્તે પેટાચૂંટણીના ઉત્સવમાં ફરી વિરોધીઓને મોં પર લાલાશ લાવવા તક આવી. ભાજપ અને મોદીની લોકપ્રિયતા હવે સર્વોપરિતામાં કન્વર્ટ થઈ ગઈ હોય તો મજાલ છે કે કોઈ તેની ક્યાંય એક બે બેઠકો આઘી પાછી કરી શકે ?તે પણ ગુજરાતમાં ..! પરંતુ ચ ભાજપમાં ત્રણ બેઠકો નું બાકોરું  પડ્યું. ઘરના જ ઘાતકી નીકળતાં છ માંથી ત્રણ ઓછી થઈ .જે આવી તે પણ લોથપોથ થઇને કાંઠે પહોંચતાં તરવૈયાની જેમ મહામહેનતે બચાવી શકાઈ, એવું તારણ નીકળ્યું. ફરી એ ચહેરાઓની ચટપટી વધી વિવેચન અને ચર્ચા ચોરે રૂપાણીને "કવર "કર્યા. એક રીતે તેનો વિકલ્પ દૂર સુધી દેખાતો ન લાગ્યો . જ્યારે જ્યારે મોદી કે શાહ ગુજરાતમાં એરપોર્ટ પર પગ મૂકે કે તરત  "રુપાણી જાય છે.. જાય છે ..ના બૂમ-બરાડા સંભળાવા લાગે.
        રૂપાણીની મર્યાદાઓ હશે. તેની શાર્પનેસમા માઈનસ દેખાતું હોય.તેના મીસયુઝને મીસમેનેજમેન્ટ ગણવામાં આવતો હોય. પરીક્ષાઓના ગોટાળા અને ભોપાળાં, ખેડૂતોના ભાવતાલ -ઘાસચારો ,પાણી અને કાયદો-વ્યવસ્થાના લબડતતડ બેહાલ,શિક્ષણની ગુણવત્તાની ગરીબી કે અસમર્થતા આ બધું હોવાં છતાં તેઓ નેતૃત્વ આપવામાં સક્ષમ સાબિત થયાં કહેવાય .કોઈ એવા મોટા ઈસ્યુને બળ મળ્યું નથી. જેથી સરકાર ડિસ્ટર્બ થઈ શકે બધાં આંદોલનો તેના સુબાઓએ સફળ રીતે મેનેજ કરીને કરંડિયામાં પુરી દિધા. બીજું હવે તેનો વિકલ્પ શોધવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે..? હજુ તાજેતરમાં કોઈ ચૂંટણીઓ આવવાની શક્યતાઓ પણ નથી .તેથી નેતૃત્વના બદલાવ લાવીને એક નવી બળવાની હવા શા માટે પેદા કરાય ?
         જિલ્લા -તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 2020 ના ઓક્ટોબરમાં યોજાવાની છે સરકાર તેને સમયસર યોજીને લિટમસ ટેસ્ટ કરશે. તે લગભગ સમગ્ર ગુજરાતમાં એક જનમત તરીકે જોવામાં આવશે .પરંતુ ત્યાં સુધી કોઈ આઘું પાછું થવાની સંભાવના ઓછી.તાજેતરના સંજોગો એવા કોઈ રાજકીય સમીકરણો દેખાતા નથી કે મોવડી મંડળ નેતૃત્વ પરિવર્તનની ફોર્મ્યુલા અમલમાં મૂકે. રૂપાણી નો વિકલ્પ ખોળવો પણ કઠિન છે. જે નામો સામે આવે છે તે મોવડીમંડળની "પોલિટિકલ કેમેસ્ટ્રી"માં સ્યુટ થતાં નથી. એક પાસુ બરાબર હોય તો બીજું બગડે.. માટે રૂપાણીને હાલ ઉજાગરો કરવા જેવું નથી. તોપણ રાજનીતિમાં જો ને તો નો ફાંસલો ખૂબ બારીક હોય છે, તે પણ એટલુ જ ટકોરાબંધ સાચું છે.

Saturday, December 14, 2019

સંબંધનો સહેલો પાસવર્ડ

તખુભાઈ સાંડસુર

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.
       કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે.."સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં."..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ "દેવત્વ 'ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.' જવા દો હવે','તેનું કરેલું તે જાણે', 'મારાથી આ ન થાય', નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં 'હું 'ની હાજરી નથી પણ 'આપણે' નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ " મિલા સો ગિલા હો ગયા.."!!!
                   જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.
       સંબંધનો એન્ટિવાયરસ 'ઝટ મંગની પટ બ્યાહ' ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ.છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.
      ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે
"લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી,
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી"
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
    
સંબંધનો સહેલો પાસવર્ડ

તખુભાઈ સાંડસુર

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.
       કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે.."સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં."..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ "દેવત્વ 'ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.' જવા દો હવે','તેનું કરેલું તે જાણે', 'મારાથી આ ન થાય', નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં 'હું 'ની હાજરી નથી પણ 'આપણે' નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ " મિલા સો ગિલા હો ગયા.."!!!
                   જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.
       સંબંધનો એન્ટિવાયરસ 'ઝટ મંગની પટ બ્યાહ' ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ.છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.
      ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે
"જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે "
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
   

Thursday, December 12, 2019

Haidrabad encounter fact file

હૈદરાબાદ એનકાઉન્ટર :કાઉન્ટેડ જ્યુડીસીયરી અને લોકશાહી
                               - તખુભાઈ સાંડસુર

મેં  મારા પ્રવાસમાં જાતે અનુભવ્યું છે કે યુ. એ. ઈ.અને આફ્રિકાનો રવાન્ડા બંને દેશોના લોકોને કાયદાનો એટલો ખોફ છે કે રાત્રે બે વાગ્યે પણ તેઓ સિગ્નલ લાઇટને નિગ્લેટ કરી શકતા નથી. રવાન્ડાના નાગરિક તો ઘરની દિવાલોમાં પણ દેશના કાયદાના ઉલ્લંઘનની વાત એકદમ દબાતા સ્વરે કરે છે,ત્યાં ગુન્હાખોરીનું પ્રમાણ લગભગ નગણ્ય છે. આપણી પદ્ધતિના છીન્ડાઓ,અમલીકરણનો વિલંબ ગુનાઓનો વધુ વિસ્તાર કરવા ગુનેગારના ચેતના જગતને જકજોડે છે. તેથી જ હૈદરાબાદ જેવી રેપ વિથ મર્ડરની નિંદનીય ઘટનાઓને અંજામ મળતો રહે છે.તેનો ગુન્હેગાર ઝડપથી ફાંસીએ લટકે તે જરૂરી. સવાલ તે છે કે આ બન્યું તેના પાયામાં ઘણી પોષણયુક્ત સામગ્રી છે .તે ગુન્હેગારોને અભયવચન આપે છે.પછી નો સવાલ તેનાથી પણ પરોક્ષ રીતે ગંભીર છે કે આપણે આ રીતે ગોળી ધરબી દઈને કેવી રીતે ન્યાય કરી શકીએ?
    પાકિસ્તાનની  સરખામણીમાં અહીં એન્કાઉન્ટરનું પ્રમાણ ઓછું છે. 2014 થી 2018 સુધીમાં પાકિસ્તાનનાં 3345 લોકોએ એનકાઉન્ટરથી જાન ગુમાવવા પડ્યા.ભારતના સત્તાવાર આંકડાઓ જવલ્લે જ આવી ઘટનાઓને બનવાની ગવાહી આપે છે.પરંતુ તે છતાં ભારતે મજબૂત લોકતંત્ર અને મહાસત્તા તરીકે વિશ્વમાં સ્થાપિત થવા આ પ્રકારની ઘટનાઓ કોરાણે કરવી જ રહી. તાજેતરમાં યુપીમાં યોગીના આગમન પછી દસ માસમાં 1142 પોલીસ વર્સીસ ક્રીમીનલની ઘટનાઓ બની જેમાંથી માત્ર 24 વ્યક્તિઓની કેજયુલીટી થઈ. આપણાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર પ્રદીપ શર્માના ખાતે 312 અને દયા નાયકના 83 ઍનકાઉન્ટર થયેલાં નોંધાયેલાં છે .લોકશાહી વ્યવસ્થામાં આ આંકડાઓ પણ બાકોરું પાડી શકે.
   ભારતીય ન્યાયપ્રણાલીની પિરામિડ પદ્ધતિ
 અંતિમ પડાવ સુધી પહોંચતાં વ્યક્તિને લોથપોથ કરી દે છે. માટે ક્યાંક આ પદ્ધતિ પરથી શ્રદ્ધા ડગમગે છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા માંથી નીકળતાં નીકળતાં સમય પણ હાંફી જાય છે. ત્વરીત નિર્ણયશક્તિ કાયદાને વધુ ને વધુ તાકાત આપી શકે. કેસની ઉતરોતર સંખ્યામાં થઇ રહેલો વધારો અને તેની સામે આપણી વ્યવસ્થાઓ ઉણી ઉતરે છે. સને 2014માં ભારતમાં બળાત્કારની સંખ્યા 122783 હતી તે વધીને 2017 માં 146201 થઈ છે.તેમાં સજા તો માત્ર અનુક્રમે 27.4 ટકા અને 31.8 ટકા લોકોને જ થઈ.  કેવી રીતે કાયદો ભય ઉભો કરી શકે? કોઈપણ ખટલાનો પાયો તેની તપાસ એજન્સી છે તેની કાર્યરીતિ ઉદાહરણરૂપ અને મજબૂત ન હોય તો સ્વાભાવિક છે કે કલમનો ગાળીયો ગુન્હેગારના ગળામાં કસાતો નથી.તેને છટકી જવાની પૂરતી તકો મળી રહે છે. બીજું વિલંબીત ન્યાયપ્રક્રિયા પણ ફરિયાદી ,સાક્ષી વગેરેના રોષને સમયે-સમયે ઠંડો પાડે છે. તેથી અદાલતી કાર્યવાહીમાં સૌ ટુંકા પડે છે. ગુન્હેગારોને ફરી પછી તક તક મળતી જાય છે. દેશની અદાલતોમાં વધી રહેલા કેસોની સંખ્યા પણ નજર કરો, તો ભારતની 25 હાઈકોર્ટમાં 42.55 લાખ કેસ જેમાંથી 12.15 લાખ ફોજદારી અને સર્વોચ્ચ અદાલતમાં 1.58 લાખ કેસ ચુકાદાની પ્રતીક્ષામાં છે. બોલો ક્યાંરે પાર આવે ?!! ન્યાયધીશોની જગ્યાઓ વડી અદાલતમાં 399 એટલે કે 37 ટકા વણપુરાયેલી છે,ત્યારે ઝડપી ન્યાયની અપેક્ષા ન્યાયોચિત લાગે ખરી ? સરકાર તેની આર્થિક, વ્યવસ્થાપનની પણ મર્યાદાઓને કારણે તેની પૂર્તતા ન કરી શકતી હોય પરંતુ આ પ્રકારના મુદ્દાઓથી મોઢું ફેરવી શકાય નહીં,તે તેણે સ્વીકારવું જ રહ્યું. ભાવનાત્મક મુદ્દાઓને બાજુના ટેબલ ગોઠવીને આ બાબતે ક્રિયાશીલતા ખૂબ મોટું રાષ્ટ્રહિતનું કાર્ય બની શકે.
    એન્કાઉન્ટર એક પરમેનેન્ટ સોલ્યુશન નથી.  ભારતીય સંવિધાનના પાયાઓ પૈકીના ન્યાયાલય સિસ્ટમને સીધો પડકાર છે.જ્યારે તમે કોઈ પદ્ધતિમાંથી શ્રદ્ધાનો દીપક બુઝાતો જુઓ ત્યારે તમે અન્ય જગ્યા પર નજર દોડાવો છો. એનકાઉન્ટરની રીતરસમો જે હોય તે પરંતુ અગાઉ પ્રકાશ કદમ વર્સીસ રામપ્રસાદ ગુપ્તામાં આવી કાર્યવાહી સામે સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ નારાજગી દર્શાવી છે. કારણ કે ન્યાય પ્રણાલીમાં દરેકને પોતાનો બચાવ કરવાનો પુરતો અધિકાર અપાયો છે.ભારતીય સંવિધાનની કલમ 21 માં તમામ નાગરિકને પોતાના જીવનનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ભારતના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી શરદ અરવિંદ બોબડેજીએ જોધપુરમાં કહ્યું કે ન્યાય ઉતાવળમાં ન થઈ શકે અને તે જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું ચરિત્ર ગુમાવી દે છે. આપનું આ વિધાન નાનું છતાં ઘણું સૂચક છે.
છેલ્લે ..
સમગ્ર ન્યાય પદ્ધતિમાં સુધારાઓની ઝડપ ભારતના આમ નાગરિકને લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ વધુ દ્ઢ્ઢ બનાવી શકે છે !

Saturday, September 28, 2019

મોરારીબાપુ "મોરારીબાપુ" છે

મોરારીબાપુ" મોરારીબાપુ "છે
-તખુભાઈ સાંડસુર
મોરારીબાપુ માટે લખવું ,વિચારવું કે કંઈક વહાવવુ તે આકાશને ગજ લઈને માપવા જેવું કાર્ય છે. સમુદ્રની અતલતા કે અનંતતાને જોવા જાણવાનો પ્રયાસ અંતને આહ્વાન કરવા જેવુ ! પુ.મોરારીબાપુના જીવનને નજીકથી પીછાણનારને ખબર જ હોય કે બાપુ આટલું કરે ,આવું ન કરે !! જે જગતની પીડા, સંવેદનાઓ સહ્ય બનાવીને હસતાં ચહેરે સૌને અમૃતનો અહેસાસ કરાવે તે જ મુઠી ઉંચેરા હોયને !!
     વાત કરવી છે નાનકડા શબ્દોને
તુલ આપીને વતેસર કરવાની ઘટનાની. માધ્યમોને સમય પસાર કરવાનો મોકો પણ મળ્યો. પરંતુ મોરારીબાપુ તે વિષયમાં ક્યાંય કેન્દ્રિત ન હતાં. તેનો આગોતરો અંદેશો હતો.બાપુએ જામનગરની "માનસ -ક્ષમા" વિષયના ઈદૅગીદૅ બોલતાં (જોકે આ વિષય પણ અગાઉથી નિર્ધારિત થયેલો હતો) કહ્યું ,'મારે કોઈને માફી મંગાવવી નથી. હું સંવાદનો માણસ છું. તપસ્વીઓનું ઘરેણું- રૂપ ક્ષમા હોય છે. મારા હાથમાં પોથી છે તથા પગમાં નિતાંત શરણાગતિ છે. વિવાદ નહીં પ્રેમનો સંવાદ યજ્ઞ પ્રગટાવ્યો છે. આવજો, તલગાજરડા આવો સૌનો સ્વીકાર થશે. મારો સ્વીકારધર્મ છે તે હું બખૂબી નિભાવીશ. જેણે જે કહ્યું તે તેને મુબારક, સૌને આવકાર. કોઈક બોલાવશે તો પણ મારા સિદ્ધાંતો મુજબ જઈશ ય ખરો!? આને કહેવાય મોરારીબાપુ.બસ..બસ..પુરતુ..!
પૂ. મોરારીબાપુના વ્યક્તિત્વને દુષ્યંત કુમાર ના શબ્દોમાં આ રીતે નિરુપિત કરતાં કહી શકાય.
"મૈ તુજે ભૂલને કી કોશીશ મેં,
 આજ કિતને કરીબ પાતા હું ,
કૌન યે ફાંસલા નિભાયેગા,
 મેં ફરિશ્તા હું સચ નિભાતા હું...
      જે જગતને પોતીકું ગણતો હોય એને કોઈ ભૂલી શકે ખરો ??! કોઈની વચ્ચે જરાય અંતર નહીં,માત્ર સત્યનો જ પ્રભાવ.મહાપુરુષો અણસાર આપે પરંતુ તેને ઝીલવાનું ઓદાયૅ શ્રોતાઓમાં હોવું ઘટે. ધર્મ અને સંપ્રદાયનો તુલનાત્મક અભ્યાસ જરુર થઈ ગયો. વિવાદ નહીં સૌને ધાર્મિક વ્યાસંગની આવશ્યકતા સતત પડધાવી જોઇએ.
       બાપુ કોઈ વિષય પર ક્યારેય માધ્યમો સાથે ફક્ત એકજ દ્રષ્ટિકોણથી નિવેદન કરવાનું યોગ્ય ગણતા નથી.પરંતુ કથાના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાત જરૂર કરે .બાપુએ કહ્યું કે 'તલગાજરડા સૌને હેતાળવા હાથે આવકારે છે. કોઈથી પરહેજ નહીં સૌનો સ્વીકાર .ત્યાં બાપુ એ બધાને પધારવા નિમંત્રિત કર્યા પરંતુ એ સત્ય તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો કે સનાતનની પરંપરા માટે અવિવેક ત્યાં જ શરણાગતિમાં પરિવર્તિત થવો જોઈએ.
    પુ.બાપુની કથા કે પ્રસંગોમાં તેમના સમગ્રતયા વ્યક્તિત્વને નીરખવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. તેઓએ મહુવાના હસનભાઈ રિક્ષાવાળા, તળાજા ના એક ગામડાંના દેવીપુજક શાંતિભાઈને પણ સ્વીકાર્યા છે તો તેઓ કોઈ માટે કેવી રીતે કટુ હોઈ શકે ? હા, જરૂર એટલી જ કે તેમને નીરખવાની સૌષ્ઠવયુક્ત આંખની બાદબાકી થયેલ ન હોય. એશ્વર્ય એ જ પોતાની ઓળખ સાબિત કરનાર કે પછી અદનો આદમી બાપુની પંગતમાં સાથે જ ઉભેલાં દેખાય છે.
   જેઓ બાપુની પ્રતિભા, પાંડિત્ય તથા પોતને ઓળખી શક્યા નથી તે નિવેદનબાજીની અવિવેકી બાલિશતા દર્શાવે તેમાં તેઓની ગરિમા ઝંખવાય છે. જે માઈનસ થાય છે તે ત્યાંજ થાય,આ પક્ષે જરા સરખું ય નહીં. હવે કલ્પના કરો કે તેમના માટે પણ કરુણતા પ્રગટ કરવાની ચેષ્ટાનો અર્થ થાય છે કે બાપુ જીસસની એ વૈચારીક કક્ષાની લગોલગ છે કે જેણે કહ્યું હતું કે' તે શું કરે છે તેની તેને ખબર નથી'. બાપુએ તેમને સ્વિકારી લઈને કેટલી ઊંચાઇ હાંસલ કરી.આપ આગળ પણ કહો છો" સર્વત્ર સુખિનઃ સંતુ ,સર્વે સંતુ નિરામયા" આ સૌની કલ્યાણ ભાવના દર્શાવે છે .આપણાં ગુજરાતી ચિંતક આ.ગુણવંતભાઈ શાહ પણ બાપુની આ ગરીમા માટે કહે છે કે પૂ. મોરારીબાપુનો જામીન થવા હું તૈયાર છું. ત્યાં તેમની છબીનો ઉઘાડ થાય છે.
      એટલું જ કહેવાય બાપુનો ધર્મ છે ."સ્વીકારધર્મ, પરમાથૅધર્મ, સંવાદધર્મ, સત્યધર્મ, કરુણાધર્મ, અહેતુક પ્રેમધર્મ, આતિથ્યધર્મ ,સમાનતાધર્મ, ક્ષમાધર્મ અરે ..,એમ જ કહો ને આ બધાનો સરવાળો એટલે "મોરારીધર્મ "
-છેલ્લે-
 મારી આટલી વાત છે નિજાનંદીકર્મ ! લવ યુ બાપુ !

Sunday, August 18, 2019


રવાન્ડા સફરનામા -૪

એકેગેરામાં આટો

-- તખુભાઈ સાંડસુર

આફ્રિકાખંડ વરસાદ, લીલોતરી અને પ્રાણીઓનાં વૈવિધ્ય માટે પહેલાં યાદ કરવો પડે.વિષુવવૃતનુ પસાર થવું ,ગરમી, વરસાદ, હરિયાળીનું કારક છે .જેથી આ ખંડના થોડાં દેશોને બાદ કરતાં બધા દેશોમાં પ્રાણી-પક્ષી,લીલીકુંજાર ધરા રોમહર્ષણ જોવાની લહેર કલમથી ટપકાવતા તેને અન્યાયકતૉ થાય.રવાન્ડાના પ્રવાસમાં નક્કી જ હતું કે ત્યાં જંગલો, તેના સ્વરૂપને ઢુકડેથી જોવાની ખૂબ મજા પડશે.
           ૨૫ એપ્રિલ ગુરુવારે એકેગેરા અભ્યારણમાં લટાર મારવા માટે નીકળી પડ્યાં. તે કિગાલથી પશ્ચિમમાં ૧૦૦ કિલોમીટર દૂર છે. રસ્તો થોડો કાચો, જેથી બે -અઢી કલાકની મુસાફરી ખરી ..! આ આયોજનનો પાયો  નાંખનાર અને અમને રવાન્ડી આતિથ્ય કરાવનાર શ્રી આશિષભાઈ ઠક્કર હતાં. અમે લગભગ ચાર-પાંચ મોટી જીપોમાં ખડકાય ને સાત- સાડા સાતે નીકળ્યા.
          રસ્તામાં ડ્રાઇવર એલેનએ અમને આ જંગલની ઘણી વિશેષતાઓથી અવગત કર્યા. કેગેરા એક નદીનું નામ હતું અને તેના પરથી આ પાર્ક નું નામ આપવામાં આવ્યું.સને ૧૯૩૪મા અસ્તિત્વમાં આવેલા આ જંગલનો વન વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિલોમીટર છે.પછીથી તેને વિવિધ રીતે વિકસાવવા સરકારે કમર કસી. અહીં કાળો હિપ્પોપોટેમસ બેલ્જિયમથી લાવવામાં આવ્યો. જિરાફને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યું છે.જેની સંખ્યા આજે ૮૦ છે. પાર્કમાં સિંહ ૨૫૦ ની મોટી સંખ્યામાં હતાં. પરંતુ ૧૯૯૪ના નરસંહાર પછી પુનઃ સ્થાપિત થયેલા ખેડૂતો, લોકોએ બધા સિંહનો શિકાર કર્યૉ. ૨૦૧૫ માં સાત જેટલા સિંહને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યા છે.
  અમારી ગાડી હવે પાકૅના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી. તમામ સાથીઓનું રજીસ્ટ્રેશન વગેરે ત્યાં થયા પછી અમે ફરી જીપમાં ગોઠવાયા. દરમિયાન કોઈકે સમાચાર આપ્યા કે નજીકમાં હાથીનું એક ઝુંડ છે,પહેલા તેને જોઈ લઈએ. રીસેપ્શન પરથી વનવિભાગનો ગાઈડ અમારી સાથે જોડાયો. રસ્તાઓ કાચા પરંતુ વિસ્તાર ટેકરાવાળો હોવાથી ચોમાસામાં પણ વાહનો ચાલી શકે તેવો. જંગલ બહુ ગાઢ નથી, મોટા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. તર્ક એવો થયો કે આજુબાજુના વસાહતીઓએ જંગલ રક્ષિત હોવા છતાં તેને કાપતા રહ્યા હોય.વૃક્ષો બોરડી, નીલગીરી અને બીજા અડબાઉ જંગલી વૃક્ષો જોવા મળ્યાં. નાનું ઘાંસ જેમાં નાનાં પ્રાણી દેખાય પણ નહીં. હવે જીપ ઉભી રહી અને તેનું ઉપરનું ફોલ્ડર છાપરું ખોલી નાખ્યું. એક તરફ જંગલી ભેંસોનુ એક ટોળું ચરતુ હતું,સાથે નજીકમાં ત્રણ જેટલા જીરાફ ઊભેલાં જોયાં.  જીરાફના ત્રણ પ્રકાર છે પણ આ જીરાફ મસાઈ જીરાફ તરીકે ઓળખવામાં આવે છે. સફેદ જેવો રંગ દેખાતો હતો તે હાથીઓ હતા.દુરથી તે સફેદ લાગતા હોય. જીપ તેની નજીક લઈ જવા કોશિશ કરી,પણ રસ્તાથી આગળ જઈ શકાય તેમ ન હતું. કોઈ પણ પ્રવાસીને જીપની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો.અમારું એક મુકામ પૂરું થાય એ પહેલાં જિબ્રાના ટોળાંઓ સાવ લગોલગથી પસાર થયાં. ગધેડાના કદના પીળા -કાળા ચટ્ટાપટ્ટા ધરાવતું આ પ્રાણી માનવ સ્વભાવ સાથે થોડું 'મેચ' થઈ ગયેલું લાગ્યું. મુકાભાઈ, જીતુભાઈના કેમેરાની ફ્લેશ હવે ફટાફટ ક્લિક થતી હતી. ૨૫ -૩૦ ના ટોળામાં ફરતાં આ જીબ્રાની સંખ્યા નોંધપાત્ર હશે એમ કલ્પી શકાય.
          અમારી જીપ હવે ક્યાંથી ક્યાં નીકળે છે, તેનો ખ્યાલ રહેતો નહોતો. પાકૅના રસ્તાઓ બધાં સરખા લાગે.  પાંચ છ કિ.મી.ના અંતર પછી અમે રિફરેશમેન્ટ સેન્ટર પર આવીને ઊભા રહ્યાં. અહીં થોડો વિરામ ને ચા- નાસ્તો કરવાનો હતો. તેના ખોરાકની ચીજવસ્તુઓ શાકાહારી ખરી પણ વૈવિધ્યપૂર્ણ હતી. તેમાંથી કેટલાકના સ્વાદ ખૂબ ભૂલભૂલૈયા જેવાં હતા.ચાખી ચાખીને ખાઓ નામેય યાદ રાખવા અઘરા.નજીકમાં એહેમા નામક તળાવ દેખાતું હતું. તે ટેકરી ઉપર મુગટ સમાન આ સેન્ટર પરથી આખું તળાવ, જંગલ અને તેના દ્રશ્યો અદ્ભુત હતા. બાથ ભરીને ભાથું લઇ જવાં જેવા જ.લંચબોક્ષ તૈયાર થઈ ગાડીમાં ગોઠવાયા. અડધાં કલાકનો પડાવ પૂરો કરીને ફરી જીપડાઓએ ચાલતી પકડી. હરણ ,રોઝ, મોર, એનું પચરંગી પક્ષી રસ્તામાં જોતાં ગયાં. જ્યારે અમે એહેમા સરોવરના કાંઠે આવી ઉભાં રહ્યાં તો તળાવના કાંઠે બનાવેલી દીવાલ થી દસ-પંદર ફુટના અંતરે કાળો હિપોપોટેમસ પાણીમાંથી બહાર નીકળ્યો. એક બે મિનિટ માટે પોતાનું શરીર બહાર કાઢે અને ફરી પાણીમાં ગરકાવ થઈ જાય. સાથે આવેલા ગાઈડે અમને તળાવની નજીક ન જવા જણાવ્યું. તેની શિકારી,હિસંક હોવાની તેની ઓળખ હતી. અહીં અમને જંગલના કેટલાક તાલીમી રવાન્ડી વન કર્મચારીઓની મુલાકાત થઇ. તેઓ વન વિભાગમાં નવાં જોડાયેલાં હતાં.પ્રથમ તાલીમ મેળવતાં હતાં તેવું જાણવા મળ્યું. જંગલના એક વિશ્રાંતિસ્થાને અમે ફરી અટક્યાં. સમય બપોરા કરવાનાં ટાણાંથી પણ આગળ નીકળી ગયો હતો. દાળ-ભાત, કેળાં ,કાકડી ને કેરીના રસથી થોડું ભોજન સંપન્ન થયું.
    જંગલી, ભેંસો ,હાથી ,જિરાફ બઘું સમયાંતરે નજરે પડતું રહ્યું. રિસેપ્શન પર ફરી ચેક આઉટ કરાવવાનું હતું. અમારા જૂથ સિવાયના બે- ત્રણ વાહનો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓનાં જોવાં મળ્યા.આ નેશનલ પાર્કની મુલાકાતની ફી ૧૫૦ અમેરિકન ડોલર હોવાનું બોર્ડ જોવા મળ્યુ.માટી વાંસમાંથી બનેલું નાનકડું મકાન ખૂબ કલાત્મક હતું.પ્લાસ્ટિક, અન્ય કોઈ કચરો અહીં ફેંકવા પર પ્રતિબંધ હતો. તેનું ચુસ્તપણે પાલન થતું હોવાનો અનુભવ થયો. વન તેનુ પોતીકાપણું જાળવી રાખવા સફળ થયાનું અનુભવાય છે. સરકાર અને તેના કર્મચારીઓની કાર્ય પ્રતિબદ્ધતા ખૂબ સ્પર્શી ગઈ. અહીં તમને પ્રવાસની કોઈ મુશ્કેલી પડતી નથી.
        એકાએક અમારાં ગ્રુપમાંથી કોઈનો અવાજ સંભળાયો 'દિપડો'.બારીમાંથી જમણી તરફ મેં નજર કરી. લગભગ દસ-પંદર ના ફુટના અંતરે મોટા ઘાસમાં દિપડો જોવા મળ્યો.નાના ધાસમા દેખાય, ફરી આગળ નીકળે ત્યારે નાનું ઘાસ હોયતો જોઈ શકાય તે એકદમ બિન્દાસ, બાદશાહી ધીમી ચાલે આગળ જતો હતો.
    ઘણાનાં મોબાઇલમાં ટાન્ઝાનિયાનો ટાવર આવવાં લાગ્યો હતો. અમે તેની સરહદ પર હતાં. અમારા પસાર થવાનો મુખ્ય રસ્તો ટાન્ઝાનિયા તરફ જતો હતો. અમારી જીપમા થોડી ખરાબી આવી ત્યારે અમે તેનાં ગામડાંમા પણ એક ચક્કર મારી આવ્યાં. ત્યાંની ગરીબી પર ખૂબ કરુણા ઉપજી.
         સાંજ ઢળતા જ્યારે અમે કિગાલીની રેડિશન બ્લુ હોટેલ પર પાછા ફર્યા ત્યારે લાગ્યું કે અમારો આજનો એકેગેરાનો આંટો નહોતો પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની અંઘોળ હતી. એક સફર બધાએ કરવાની જરૂર થાય.
 --- તખુભાઈ સાંડસુર
પ્રિય જીંદગી, જત લખવાનું કે

-તખુભાઈ સાંડસુર

તને જીવતાં, પામતાં શીખવું તે એક કળા જ નથી પણ કૌવત હોય છે. જે તેમ નથી કરી શક્યા કે સમજવાં, પામવાં અધૂરાં સાબિત થયાં તે રગદોળાયા, રડ્યાં, રઝળ્યા છે.કાશ..! તું પોતેજ ટ્યુટર હોત તો!
           તારી નાસમજનો આનંદ કે અનુભૂતિ પછી કદીય થઈ નથી.એ શૈશવના દિવસોમાં તારી નિર્દોષતા મને તથા અનેકોને તારી પાસે ખેંચી લાવવા કેવી ચુંબકીય તાકાત દશૉવતી હતી.યૌવનના એ દિવસો જીવી જાણ્યા કે જ્યારે કોઈ પળ બેસુરી લાગતી નહોતી. સ્વર્ગીય સુખનો 'ગલેમર ટચ ' તેં સતત કરાવ્યો છે. મસ્ત, મસ્તાનગીની ગુલછડીનો સમય તારી સાર્થકતામાં ન્યોછાવર હતો. કોઈ માનુનીના હોઠનું સ્મીત કે ગુલાબની ગુલ્બો તારી પાસે ઝાંખી લાગતી. પછી જાતને ગૌરવ કરવા જેવી તારી કથની અન્યોને કહેતાં જીભ સુકાય કેમ!? કેટલાયની છિન્ન થયેલી સમજ તેને મારી સાથે દ્વેષાત્મક અંકુરોને મહોરતા રાખવા મજબૂર કરતી.
          તું સુખ દુખના હથોડા ઝીલીને કસાયેલી બની ગઈ છે. લાગે છે યમદૂતોનું આહ્વાન પણ તું પરત કરી શકે.હા, સૌંદર્યયુક્ત દિવસોમા તારા ઉલ્લાસનો અતિરેક અષાઢી વીજના ચમકારા જેવો પણ દેખાયો નથી. તે સંયમને દાદ આપવી જ રહી. મને તારામાં ક્યાંક જીવતાં આવડ્યુ ,તો ક્યાંક પછડાયો પણ ખરો, પણ શીખ્યો અને ચાલતો થયો .પશુ-પક્ષીઓની ઈર્ષા થઈ આવે છે કે તેમાં વિચાર તથા વ્યવહારના ખાલીપાએ તેને કેવા હળવાફૂલ રાખ્યાં છે. સામાજિક શિસ્ત,બંધનો,હડિયાપાટીમાં તને પીછાણતા અડધું આયખું તો એમ જ પૂરું થયું. જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
તારો રોજિંદો ઘટનાક્રમ તો ઘાંચીના બળદ સરખો લાગે છે. પરંતુ તારા અટપટા રસ્તાઓ ક્યાંથી ક્યાં નીકળી જાય તે કલ્પનાસુદ્ધામાં આવતું નથી.તે ચિત્રણો ગોથા ખવડાવતાં અનેકને જોયાં છે.જે સંગાથી છે તેને તું અળખામણી લાગે અને "બિછડે હુએ યા નહિ પા સકે"તેનો તેને ઇન્તજાર રહે. ઢુંકડાને ઢુંબો અને દરિયાપારના દિદાર ! વાહ ક્યા બાત.!
        ગુલઝારના શબ્દો જે માસુમ ફિલ્મ માટે લખાયાં હતાં.
"તુજસે નારાજ નહીં જિન્દગી, હેરાન હું મેં ,
   તેરે માસુમ સવાલોસે પરેશાન હું મૈ."
ફરિયાદમાં પૂરતો દમ છે તોય તને સૌ જીવી જાય છે. અંત તરફ તારું ધકેલાવું જાણે બોજ થઈ પડ્યું હોય એમ તેને ઉપાડવાનો હવે ભાર લાગે છે. સૌને જ્યાં‌ સુધી તારી ઉપયોગીતા હતી ત્યાં લગ તને અપાર ચાહી, મમળાવી, બચકાવી છે. શું નથી કર્યું તારા માટે !તારી અસમર્થતા હવે નોનપ્રોડકટીવ બની ગઈ છે. તારી સાથે જીવનારા પણ તને અવગણે છે.તેથી જ તો મારો નાતો'ય તારી સાથે તીતર બીતર થઈ રહ્યો છે.મને હવે તારા અંતનો ભય ડરાવતો નથી. બલ્કે તે શાતા આપી રહ્યો છે.
         તને જીવવાનો નફો-તોટો કરતાં તેમાં નફાનું પલડું ભારે છે.સફળતાના કિનારાઓને પકડી પાડવા તેં ધસમસતાં પ્રવાહમાં કુદી પડતા મને રોક્યો નહીં, બળ આપ્યું છે. તું આવી જ સૌ કોઈ માટે પેશ થતી રહે ,તો કેવું સારું ! થેન્ક્યુ જિંદગી..

- તખુભાઈ સાંડસુર